ઇ-બુક્સ | eBooks

વસન્તસૂચિ
વીસમી સદીના પ્રારંભે આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવે ગુજરાતી ભાષા-સાહિત્યના વિકાસાર્થે અને કોઈ પણ વિદ્યાશાખામાં થતાં સંશોધન-વિવેચનથી અભ્યાસીઓ પરિચિત રહે તેમજ એ સદીની સાહિત્યિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય ગતિવિધિનો પરિચય સમાજને મળી રહે એવા શુભાશયથી `વસન્ત’ સામયિકનો આરંભ કરેલો. `વસન્ત’ આડત્રીસ વર્ષ ચાલ્યું. એ માત્ર સર્જનાત્મક-વિવેચનાત્મક સાહિત્યનું સામયિક નહોતું; પરંતુ એમાં ઇતિહાસ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજકારણ, ધર્મ, વિજ્ઞાન, સંગીત ઇત્યાદિના લેખો પણ પ્રસિદ્ધ થતા. એ પ્રકાશિત સાહિત્ય વિશેની જાણકારી ભાવિ અભ્યાસીઓને મળી રહે તે માટે આ `વસન્તસૂચિ’ તૈયાર કરી છે. અહીં વર્ષવાર -વિષયવાર લેખસૂચિ સાથે લેખસૂચિ અને તખલ્લુસોનો સમાવેશ કર્યો છે. `આ જમાનામાં તો સૂચિ એ જ ગ્રંથનો દીવો છે.’ – એ ઉમાશંકર જોશીનું કથન સૂચિની મહત્તાને નિર્દેશ છે એની પ્રતીતિ આ સૂચિ દ્વારા પણ થશે.

જ્ઞાનાંજન : 2
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની શ્રી ભદ્રંકર વિદ્યાદીપક વ્યાખ્યાનશ્રેણીનાં વ્યાખ્યાનોનો આ બીજો ગ્રંથ `જ્ઞાનાંજન-2’ શિક્ષણ, વિજ્ઞાન, સમાજ અને ધર્મચિંતન જેવા વિષયો પર તજ્જ્ઞોએ કરેલા અભ્યાસનું જ્ઞાનાંજન આપે છે. એમાં જદુનાથ સરકાર જેવા ઇતિહાસવિદ તેમજ રામમનોહર લોહિયા જેવા રાજપુરુષનાં વ્યક્તિત્વ, લેખન અને વિચારસૃષ્ટિનો પરિચય પ્રાપ્ત થાય છે. અમૂલના ભૂતકાળનો ઇતિહાસ અને `કલ્પસર પ્રકલ્પ’થી સર્જાનારું ભવિષ્ય – બંને વિશે એ ક્ષેત્રના ઊંડા અભ્યાસીઓએ વાત કરી છે.
શિક્ષણ અને વિજ્ઞાન વિશેના લેખોમાં આજનાં શિક્ષણ અને વિજ્ઞાનની સ્થિતિ વિશે સ્વાધ્યાયનિષ્ઠ અવલોકનો મળે છે. જુદા જુદા શિક્ષણવિદોએ પોતાની રીતે શિક્ષણ વિશેની વિભાવના પ્રગટ કરી છે. ભારતીય લોકશાહી અને ગુજરાતની મહાજનપરંપરા વિશે અહીં અધિકૃત વ્યક્તિઓના લેખો સાંપડ્યા છે.
હકીકતમાં આટલા બધા ભિન્ન ભિન્ન વિષયો વિશે એના તજ્જ્ઞોએ કરેલા અભ્યાસનું સુફળ અહીં પ્રાપ્ત થાય છે. જ્ઞાનાંજનના આ બીજા ભાગમાં વૈચારિક સમૃદ્ધિ, વર્તમાન પરિસ્થિતિ અંગે ગવેષણા, વિજ્ઞાનનાં વિવિધ પાસાંઓ વિશે અભ્યાસ, શિક્ષણની જુદી જુદી તરાહો વિશે ચિંતન ઉપરાંત ધર્મચિંતન અને ધ્યાનસાધના જેવા વિષયોને પણ આવરી લીધા છે અને આ વ્યાપક વિષય પરના ગંભીર અભ્યાસલેખો આ ગ્રંથને રસપ્રદ, માહિતીપૂર્ણ તથા સર્વજનભોગ્ય બનાવે છે.

જ્ઞાનાંજન : 1
સાહિત્ય અને અન્ય માનવવિદ્યાઓના વિશાળ ગગનમાં મનોરમ મેઘધનુષ દૃષ્ટિગોચર થાય અને હૃદયમાં બ્રહ્મસ્વાદસહોદર આનંદ પ્રગટ થાય તેવો અનુભવ આ ગ્રંથના સાહિત્યાકાશમાં વિહરતા વાચકને થશે. આનું કારણ એ છે કે અહીં સાહિત્યની સર્જન-પ્રક્રિયાથી માંડીને પ્રવાસ, હાસ્ય, આત્મકથા, લોકસાહિત્ય, સંગીત અને સાહિત્યમાં વિજ્ઞાન સુધીના વિષયોની ચર્ચા કરવામાં આવી છે. જેમણે સમગ્ર જીવન અમુક કલાસ્વરૂપના સ્વાધ્યાય અને સર્જનમાં વ્યતીત કર્યું છે એવી અભ્યાસી વ્યક્તિઓએ અહીં એ સ્વરૂપ અંગેના એમના બહુમુલ્ય વિચારો વ્યક્ત કર્યા છે. આ દૃષ્ટિએ આ ગ્રંથ માનવવિદ્યાના અભ્યાસીઓ અને સંસ્કારી વાચકોને સાહિત્યની પ્રક્રિયા, સાહિત્યકૃતિઓ, સાહિત્યનો આસ્વાદ, ચિત્રકલા અને સ્થાપત્યકલા જેવી કલાઓના મહિમાનો સંતર્પક ખ્યાલ આપશે.

ગુજરાતી રંગભૂમિ રિદ્ધિ અને રોનક
ગુજરાતી રંગભૂમિની સ્થાપનાને દોઢસો વર્ષ પૂરાં થાય છે તે નિમિત્તે ગુજરાતની વ્યવસાયી રંગભૂમિની પ્રવૃત્તિની અધિકૃત સંકલિત માહિતી આપતો ગ્રંથ `ગુજરાત રંગભૂમિ : રિદ્ધિ અને રોનક’ તૈયાર થયો, તેના ફળ રૂપે અહીં નાટકો, નાટ્યસંસ્થાઓ, નાટ્યકારો, દિગ્દર્શકો, નટો, નટીઓ, સંગીતકારો, સન્નિવેશકારો અને પ્રેક્ષકો અંગે રસપ્રદ માહિતી સંપાદિત કરીને મૂકેલ છે. આ ગ્રંથમાં ગુજરાતી થિયેટરના ઇતિહાસની અનેક ખૂટતી કડીઓ ઉમેરીને `ગુજરાતી રંગભૂમિની રિદ્ધિ અને રોનક’ને ઉઠાવ આપતી જૂની રંગભૂમિનો ચહેરોમહોરો ઉપસાવી આપવાનો પ્રયાસ છે. નાટ્યરસિકો અને અભ્યાસીઓને તે ગમશે તેવી આશા છે.

સત્યની મુખોમુખ
મારે એવી દુનિયામાં જીવવું છે…
“મારે એવી દુનિયામાં જીવવું છે જ્યાં કોઈને નિષ્કાસિત કરેલ ન હોય. હું કોઈને નિષ્કાસિત નહિ કરું. આવતી કાલે હું પેલા પાદરીને `તમે અમુકને બાપ્તિસ્મા નહિ આપી શકો, કેમ કે તમે સામ્યવાદના વિરોધી છો’ એમ નહિ કહું. બીજા પાદરીને એમ પણ નહિ કહું કે `તમારું સર્જન, તમારું કાવ્ય હું પ્રગટ નહિ કરું, કારણ કે તમે સામ્યવાદી છો.’ મારે એવી દુનિયામાં જીવવું છે જ્યાંના લોકો માત્ર માનવ હોય એને બીજું કોઈ વિશેષણ લાગ્યું ન હોય. કોઈ પણ પ્રકારના નિયમ, શબ્દ કે લેબલની માથાકૂટ કર્યા સિવાય માત્ર માનવ હોય તેવી દુનિયામાં હું જીવવા માગું છું. બધા જ પ્રકારના ચર્ચમાં બધા માણસો જઈ શકે, બધાં જ છાપાખાનામાં બધા જઈ શકે એમ હું િચ્છું છું. કોઈ મેયરની ઑફિસના દરવાજે કોઈક બીજાને પકડવા રાહ જોતું હોય અને બીજા કોઈકને દેશવટો આપતું હોય, એવું મારે જોઈતું નથી. દરેક જણ સ્મિત વેરતાં વેરતાં નગર સભાગૃહમાં જાય અને તેમાંથી નીકળે એમ હું ઇચ્છું છું…. બધા જ લોકો મુક્તતાથી બોલી શકે, વાંચી શકે, સાંભળી શકે અને વિકાસ પામી શકે. સંઘર્ષને દૂર કરવા માટેનો સંઘર્ષ કશુંક સાધન બને એ સિવાય હું સંઘર્ષનો અર્થ સમજી શક્યો નથી. સખત પગલાંને દૂર કરવા માટેનો સંઘર્ષ કશુંક સાધન બે એ સિવાય હું સંઘર્ષનો અર્થ સમજી શક્યો નથી. સખત પગલાંને દૂર કરવા માટે સખત પગલાં લેવાય તે સિવાય સખત પગલાંનો અર્થ હું સમજી શક્યો નથી. એક રસ્તો મેં લીધો છે; કેમ કે એ રસ્તો આપણને બધાને ચિરંતન બંધુત્વ સુધી લઈ જશે એમ હું માનું છું. હું તે સર્વવ્યાપી વિશાળ અજરામર સત્તતત્ત્વ માટે લડી રહ્યો છું…. આપણે સર્વલક્ષી પ્રેમ તરફ જઈ રહ્યા છીએ.
મને ખબર છે કે આપણા સૌના માથા ઉપર બૉંબનો ભય ઝળુંબી રહ્યો છે, એવી ભયંકર ન્યૂક્લિયર વિપત્તિ આવવાની છે જે કોઈને જીવતા નહિ છોડે. આ પૃથ્વી ઉપર કશુંય રહેશે નહિ. વારુ, પણ તેનાથી મારી આશા ચલિત થશે નહિ. કટોકટીની આ ક્ષણે, અજંપાના આ અનુભવની વચ્ચે, આપણે જાણીએ છીએ કે જાગૃત દૃષ્ટિમાં સાચો પ્રકાશ પ્રવેશશે. આપણે સૌ એકબીજાને સમજતા થઈશું. આપણે સાથે આગળ વધીશું. આ આશાને કોઈ કચડી શક્શે નહિ.’ (પૃ. 218-219)
પાબ્લો નેરુદા

લિપિ
માનવસંસ્કૃતિના અન્વેષણ અને નિરૂપણમાં લેખનકલા મહત્ત્વનું અંગ ગણાય છે. માનવીએ લેખનકલાની શોધ કરી ત્યારથી એને મહત્ત્વનું વ્યવહારનું સાધન ઉપલબ્ધ થયું તે ભાષાની વર્ણમાળા. આ વર્ણમાલા લખવાની રીત તે લિપિ. વિશ્વ અને ભારતના સંદર્ભમાં લિપિના વિકાસનાં સોપાનો, લિપિઓનું વર્ગીકરણ, વિવિધ લિપિઓની વર્ણમાળાઓ વચ્ચે આંતરિક સામ્ય, વિભિન્ન સંસ્કૃતિઓ અને ભાષાઓની લિપિઓની ઉત્પત્તિ, તે તે લિપિઓના પ્રાચીન લેખો વગેરે બાબતોની વૈજ્ઞાનિક પણ રસપ્રદ સચિત્ર માહિતી આ પુસ્તિકામાં આપવામાં આવી છે.

કેટલાક સાહિત્યિક વિવાદો
ગુજરાતી સાહિત્ય સન્માન્ય વિદ્વાન ડૉ. ધીરુભાઈ ઠાકરે ભારે જહેમત લઈ દલપત-નર્મદથી રમેશ શુકલ અને જયંત કોઠારી સુધીના અનેક વિદ્વાનોએ સાહિત્યનાં વિવિધ પાસાં વિશે જે સાધક-બાધક ચર્ચાઓ વખતોવખત કરી છે તેનો પ્રમાણભૂત ચિતાર ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં આપી તેનાથી એકંદરે ગુજરાતી ભાષા તથા સાહિત્યને કેવો લાભ થયો છે તેનું તટસ્થ ભૂમિકાએ રહીને અહીં સ્વસ્થ-દર્શન રજૂ કર્યું છે. ગુજરાતી સાહિત્યિક વિવાદો વિશે વ્રજલાલ દવેએ `ગુજરાતી સાહિત્યકોશ’ના ત્રીજા ભાગમાં એક નોંધ આપી છે, પરંતુ એ અગાઉ ડૉ. ધીરુભાઈએ તો આવા વિવાદોને અનુલક્ષીને વ્યાખ્યાનમાળા જ આપવાનું જે સ્વપ્ન સેવેલું તે જઈફ વયે પણ જે રીતે અહીં સિદ્ધ થયું છે તેનો આનંદ આપણને સૌને છે. પ્રશિષ્ટ સાહિત્યિક રુચિ ધરાવનારા આપણા આ વિદ્વાન પ્રસ્તુત વાદવિવાદોના નિમિત્તે આપણા સારસ્વતધર્મી અને સારસ્વતકર્મી વિદ્વાનોના મનોરાજ્યનો – એમની ચિંતન – મનનની ગતિવિધિનોયે જે નકશો આપે છે, એમના વ્યક્તિની જે ઝાંયઝલક દર્શાવે છે તે વળી આ ગ્રંથની આનુષંગિક – વધારાની ઉપલબ્ધિ છે. પ્રસ્તુત ગ્રંથ આપણા ગુજરાતી સાહિત્યના તલાવગાહી અધ્યયન અને મૂલ્યાંકનમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ઉપકારક થશે એવી શ્રદ્ધા છે. સ્વર્ણિમ ગુજરાતના શુભ અવસરે એક સંનિષ્ઠ સારસ્વતે સાહિત્ય પ્રત્યેના સ્નેહથી જે આ મૂલ્યવાન ગ્રંથ-મુદ્રા સમર્પી છે તેનું આપણે સ્વાગત કરીએ છીએ.
ચંદ્રકાન્ત

વિશ્વકોશવિમર્શ
વિશ્વકોશની રચના કે વિશ્વકોશનો ખાસ અભ્યાસ કરવા ઇચ્છનારને માર્ગદર્શક નીવડે તેવું આ પુસ્તકનું આયોજન થયેલું છે. કદાચ, આ પ્રકારનું આપણી ભાષામાં આ વિષયનું આ પહેલું જ પ્રકાશન છે.

આપણી મોંઘેરી ધરોહર
આ પુસ્તકમાં ગુજરાતની આગવી અને મોંઘેરી પ્રતિભા શ્રી પ્ર. ચુ. વૈદ્યના જીવનકાર્યનો પ્રમાણભૂત આલેખ રજૂ થયો છે. વૈદ્યસાહેબે ગુજરાતના જનજીવન પર એમની સાદગી અને વિદ્વત્તાથી આગવો પ્રભાવ પાડ્યો હતો. વૈજ્ઞાનિકો, રાજપુરુષો, કલાકારો, સાહિત્યકારો અને વિશાળ જનસમુદાયને સ્પર્શતી એમની પ્રવૃત્તિ હતી.
પ્રભાવશાળી વક્તા, કુશળ લેખક, વ્યાયામ-વીર અને આગવી નેતૃત્વશક્તિ ધરાવતા હતા. સાંપ્રત બનાવો પર સુંદર ટિપ્પણી કરતા હતા. ગાંધીવાદી જીવનશૈલી ધરાવતા આ વિદ્વાન ગણિત જેવા વિષયમાં વિદ્યાર્થીઓની આગવી ચાહના ધરાવતા હતા.
તેમણે સાપેક્ષતાવાદમાં `વૈદ્ય મૅટ્રિક’ની શોધ કરી બ્રહ્માંડની કેટલીક ભેદી ઘટનાઓનું રહસ્ય છતું કર્યું હતું. એ વિષયમાં તો તેઓ વિશ્વપ્રસિદ્ધ હતા.
ગુજરાતમાં તેમણે ગણિતશિક્ષણની કાયાપલટ કરી દીધી હતી. ગણિતમાં જૂના જર્જરિત અભ્યાસક્રમોને તેમણે દરેક કક્ષાએ દસ-બાર વર્ષના પ્રયત્નો થકી વધુ આધુનિક બનાવ્યા હતા. એ માટે તેમણે એક સમૃદ્ધ સામયિક `સુગણિતમ્’ની સ્થાપના કરી હતી. એમના પુષ્કળ લેખો `કુમાર’માં પ્રસિદ્ધિ પામ્યા હતા અને એ બધા પાછળથી પુસ્તકો સ્વરૂપે પણ પ્રગટ થયા છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પ્રારંભકાળની પ્રવૃત્તિમાં એમની પાસેથી પ્રેરણા અને માર્ગદર્શન મળ્યાં હતાં.
તેઓ ગુજરાતને ઘણી ઉત્તમ ધરોહર સોંપી ગયા છે.
એક બહુઆયામી પુરુષની આ જીવનકથા છે.

સવ્યસાચીનો શબ્દવેધ
ગાંધીયુગના બે સમર્થ સર્જક સુન્દરમ્-ઉમાશંકરે જે દિશા ભણી ગતિ કરી તેમાં કૃતિના રસબિન્દુને પામીને ભાવકને તેનાથી અવગત કરાવવાનો અભિગમ રહ્યો હતો. એ અભિગમે એમની વિવેચના શુષ્ક ન બનતા રસલક્ષી બની. એમાં જ્ઞાનનો ભાર નહીં, પણ સમજની સરળ અભિવ્યક્તિ છે. આ જ માર્ગ એમના સમકાલીન – અનુકાલીન વિવેચકોએ અપનાવ્યો. અલબત્ત, સહુની આગવી વિવેચનરીતિ તો હતી જ. ધીરુભાઈ ઠાકર આ ધારાના મર્મજ્ઞ અભ્યાસી વિવેચક. એમની વિવેચનાનો પ્રધાન સૂર કૃતિના આસ્વાદનો રહ્યો છે, તો એની મર્યાદાનો નિર્દેશ કરવાનું એ ચૂક્યા નથી. આસ્વાદ પૂર્વે વિવેચ્ય કૃતિના સંદર્ભે તેઓ જે ભૂમિકા બાંધે છે તેમાં સાહિત્યના ઇતિહાસકારની દૃષ્ટિનું દર્શન થાય છે. એમણે કૃતિલક્ષી વિવેચના કરી છે તો સ્વરૂપલક્ષી વિવેચના એમની પાસેથી મળી છે. સૈદ્ધાન્તિક વિવેચનામાં એમનો સંચાર છે. સર્જકના વ્યવહારજગત કે મનોજગતને ઉઘાડી એના સર્જનનું મૂલ્યાંકન કરવાનો એમનો અભિગમ રહ્યો છે. વળી એમની નાટ્યરુચિ અને રંગભૂમિના પ્રત્યક્ષ પરિચયે એમણે કરેલી નાટ્યવિવેચના સૂચક બની રહે છે. એમનાં વ્યાખ્યાનોમાં વિવેચનાત્મક અંશો મળે છે તો સંસ્થાગત કે માહિતીપ્રદ લેખમાં હકીકતને નાણવાનું તેઓ ચૂકતા નથી. સાક્ષરોનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે ત્યાં પણ મૂલ્યાંકન-વિવેચન વર્તાય છે. એમની સમતોલ દૃષ્ટિએ જટિલ પણ ઉકલી રહે છે. કોઈ વાદ-વાડામાં તેઓ ગૂંથાયાગૂંચાયા નથી, પરિણામે પરંપરાના અનાદાર વગર એમણે નવાનો સ્વીકાર કર્યો છે. આધુનિક-અનુ-આધુનિક સર્જકોની કૃતિઓને એમણે પ્રમાણી છે. એમનો વિવેચનપ્રવાસ પ્રસન્નકર બન્યો છે એમના વિદ્યાવ્યાસંગે.