ઇ-બુક્સ | eBooks

હસ્તપ્રતવિજ્ઞાન

હસ્તપ્રતવિજ્ઞાન એટલે પ્રાચીન સમયનાં પુસ્તકોની હસ્તપ્રતોને વાંચી, ઉકેલીને શુદ્ધ લખાણ રૂપે સંપાદિત કરવાનું શાસ્ત્ર. સદીઓ પહેલાં મુદ્રણયંત્રની શોધ થઈ નહોતી એ સમયમાં, પ્રાચીન લિપિમાં કવિઓ અને વિદ્વાનો હસ્તલિખિત રચનાઓ કરતા. તે હસ્તપ્રતો લહિયાઓ દ્વારા નકલો થઈને પેઢી-દર-પેઢી જળવાઈ રહેતી. આવા હસ્તપ્રતોના ભંડારો દરેક દેશમાં દરેક ભાષામાં દરેક સંસ્કારી પ્રજા અમૂલ્ય વારસા રૂપે સંઘરી રાખે છે. ગુજરાતમાં આવી હજારો હસ્તપ્રતો વિવિધ સ્થળે જૈન ગ્રંથભંડારો તથા અન્ય ભંડારોમાં સચવાઈ રહેલી છે. તેનું સંશોધન-સંપાદન કરીને શુદ્ધ સમીક્ષિત વાચના રૂપે પ્રગટ કરવાની અભ્યાસોપયોગી પ્રવૃત્તિ છેલ્લી બે સદી દરમ્યાન ચાલી છે. તેને પરિણામે માનવસંસ્કૃતિ અનેકધા સમૃદ્ધ થયેલી છે.

આ ક્ષેત્ર વિશેષ ખેડાયેલું ન હોવાથી અનુભવી સંશોધક પ્રા.જયંત પ્રે. ઠાકરે લખેલ આ ગ્રંથ આગવું મહત્ત્વ ધરાવે છે. વિદ્યારસિક વાચકોને હસ્તપ્રતવિષયક આ પ્રકારનો ઝીણવટપૂર્વકનો સર્વતોમુખી વિશદ અભ્યાસ અનેકધા રસપ્રદ બની રહેશે.

 download .epub  view .pdf

ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિકો : માહિતીકોશ

ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિકો વિશે સર્વાંગી માહિતીકોશ

ગુજરાતના સ્વાંતંત્ર્યસૈનિકોના આ માહિતીકોશમાં દેશના સ્વાતંત્ર્ય માટે ભાગ લેનારા 4,212 જેટલા સ્વાંત્ર્યસૈનિકોની વિગતો આપવામાં આવી છે. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામથી શરૂ કરીને 1947 સુધીની આરઝી હકૂમત તથા 1961માં ગોવાના મુક્તિસંગ્રામમાં ભાગ લેનારા ગુજરાતી સ્વાતંત્ર્યવીરોની વિગતો આમાં સમાવવામાં આવી છે. ભારતનાં બીજાં રાજ્યોના અને ભારતની બહાર રહીને પણ સ્વાતંત્ર્ય માટેના આંદોલનમાં ભાગ લેનારા સ્વાતંત્ર્યસૈનિકોનો પણ આ માહિતીકોશમાં સમાવેશ થયો છે. માહિતીકોશની આ દ્વિતીય સંવર્ધિત આવૃત્તિમાં 977 જેટલા વધુ સ્વાંત્ર્યસૈનિકોની માહિતી ઉમેરી છે. કેટલાક સ્વાતંત્ર્યસૈનિકોને આંદોલનમાં ભાગ લેવા માટે જેલમાં જવું પડ્યું છે; પરંતુ તેમના કાર્યની વિગત મળી નથી તેવા 1,956 સ્વાતંત્ર્યસૈનિકોની યાદી પણ આમાં આપવામાં આવી છે. આ રીતે દેશના સ્વાતંત્ર્યસંગ્રામની લડતમાં એક યા બીજી રીતે સક્રિય ભાગ લેનારા લગભગ તમામ સ્વાતંત્ર્યસૈનિકોનો આ માહિતીકોશમાં સમાવેશ કર્યો છે.

 download .epub  view .pdf

તળની બોલી

ગ્રામજીવનના સામાજિક સંબંધ નિમિત્તે થયેલા વિભાજનને ધ્યાનમાં રાખીને ઉત્તર ગુજરાતમાં આવેલ દોતોર પરગણું અને તેની આજુબાજુના વિસ્તારની વિવિધ જાતિઓનાં હુન્નર અને સાધનોની વિગત અહીં રજૂ કરી છે.
આ ઉપરાંત તેમનાં પહેરવેશ, ઘરેણાં, રહેઠાણ, વાનગીઓ, દેવ-દેવીઓ વગેરેનાં નામ અને પ્રચલિત કહેવતો, રૂઢિપ્રયોગો, બોલતાં બેવડાતા શબ્દો તેમજ લગ્ન-મૃત્યુ સમયે ઉપયોગમાં લેવાતા તથા `અ’ થી `હ’ સુધીના શબ્દોને સાંકળતી શબ્દાવલીનો કક્કાવારી પ્રમાણે અહીં સમાવેશ કર્યો છે.

 download .epub  view .pdf

જ્ઞાનયજ્ઞના આચાર્ય

ઋષિતુલ્ય પ્રતિભા પુરુષની જીવનકથા

`જ્ઞાનયજ્ઞના આચાર્ય’ – ધીરુભાઈ ઠાકરની આ જીવનકથા, એમના સાડા નવ દાયકા (95 વર્ષ)ના સફળ અને સાર્થક જીવનનો રસપ્રદ આલેખ રજૂ કરે છે. આપણા શિક્ષણસમાજનું દસ્તાવેજી છતાં રસાળ શૈલીમાં અહીં ઊપસતું ચિત્ર આસ્વાદ્ય હોવા સાથે પેઢીઓ માટેય પ્રેરક છે. ધીરુભાઈ સતત વિદ્યાવ્યાસંગી આચાર્ય રહ્યા. વિશ્વની સચરાચરસૃષ્ટિનું અને માનવવિદ્યાઓ તથા શાસ્ત્રોનું સકળ જ્ઞાન ગુજરાતી ભાષામાં અવતારવાનું ભગીરથકાર્ય `વિશ્વકોશ’ (25 ગ્રંથો) સ્વરૂપે ગુજરાતને સમર્પિત કરનાર આ ઋષિતુલ્ય પ્રતિભા પુરુષનું `જીવન-મિશન’ પણ આ જીવનકથા દ્વારા સહુને સુલભ થઈ રહ્યું છે, એ એક વિરલ સુયોગ છે. ડૉ. ધીરુભાઈ ઠાકરના શૈશવથી આરંભીને એમના સમગ્ર જીવનને અને વિશેષ એમના વિદ્યાપુરુષાર્થને `જ્ઞાનયજ્ઞના આચાર્ય’ પુસ્તકમાં ડૉ. મણિલાલ હ. પટેલે વિસ્તૃતપણે આલેખ્યા છે. વળી એક વિશેષ સુયોગ પણ એ છે કે આપણા સુખ્યાત સર્જક-વિવેચક મણિલાલ હ. પટેલ ધીરુભાઈ ઠાકરના વિદ્યાર્થી પણ રહ્યા છે. એક સર્જક-વિદ્યાર્થીની કલમે લખાયેલી પોતાના ઋષિતુલ્ય ગુરુની જીવનકથા આથી અત્યંત રસપ્રદ બની છે.

 download .epub  view .pdf