ઇ-બુક્સ | eBooks

મેઘનાદ સહા

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ભારતના વિજ્ઞાનીના જીવન અને કાર્યની વિગતો આપતાં માહિતીપ્રદ અને પ્રમાણભૂત પુસ્તકો પ્રગટ કરે છે. એની શ્રેણીમાં ડૉ. પ્રહલાદભાઈ છ. પટેલ દ્વારા આ પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે. મેઘનાદ સહાના જીવનકાર્ય વિશેનું આ ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ પુસ્તક છે.
મેઘનાદ સહા દલિત હતા, પણ મહાન શિક્ષક, લેખક, સમાજચિંતક, ઉત્કૃષ્ટ રાષ્ટ્રપ્રેમી અને પ્રખર વિજ્ઞાની હતા. દલિત અને ક્રાંતિકારી હોવાને કારણે સમાજ અને સરકાર તરફથી ઘણું સહન કરવું પડ્યું હતું. તેઓ ઉચ્ચ કોટિના ન્યૂક્લિચર અને સમર્થ યુગપ્રવર્તક ખગોળભૌતિક વિજ્ઞાની હતા. વિજ્ઞાન સંસ્થાઓના સર્જક હતા. તેમની શક્તિ, ક્ષમતા અને વૈજ્ઞાનિક સિદ્ધિઓથી તેઓ વિશ્વનાગરિક બન્યા.
સ્વતંત્ર સાંસદ સભ્ય તરીકે પરિણામલક્ષી અભિગમ અને કાર્યવહીને કારણે તેમની સંસદમાં હાજરી ધ્યાનાકર્ષક રહેતી હતી. કોઈ પણ સમસ્યા પ્રત્યે તેઓ રાજકીય નહીં પણ રાષ્ટ્રીય અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા હતા. તેઓ સર્જનાત્મક ક્રાંિતકારી હતા. તેઓ એકથી વધારે માર્ગોના યાત્રી રહ્યા છે. તેમની અપૂર્વ ક્ષમતાને ન્યાય આપવો અઘરો છે. તેમની દલિતોદ્વારની ભાવનાને ઉજાગર કરવાનું તેથીય અઘરું છે.
તેઓ હંમેશા કહેતા કે માનવજાતે રાષ્ટ્રીય ઉત્પાદન થકી નવોદિત ટૅક્નૉલૉજીનો લાભ અવશ્ય લેવો જોઈએ. ભારતીય અવકાશ પંચના અધ્યક્ષ યુ. આર. રાવત મેઘનાદ સહાને `યુગ પુરુષ’ તરીકે નવાજે છે.

 download .epub  view .pdf

નાટક દેશવિદેશમાં

નાટક, નાટ્યપ્રવૃત્તિ, નાટ્યગૃહો, નાટ્યનિર્માણ, અભિનય, લોકનાટ્ય, રંગકસબ અને નાટકનું ભાવન અને વિવેચન : એમ નાટક અને રંગભૂમિને લગતાં તમામ પાસાંને આવરી લેતી ગુજરાત, ભારત અને વિશ્વના અન્ય દેશોને લગતી અદ્યતન માહિતી વિશ્વકોશમાં અત્રતત્ર વિકીર્ણ હતી તેને સંવર્ધિત કરી તાર્કિક ક્રમમાં સંકલિત કરીને ગ્રંથસ્થ રૂપે મૂકી છે જે એ વિષયના અભ્યાસીઓ અને તાલીમાર્થીઓને ઉપયોગી નીવડે તેમ છે.

 download .epub  view .pdf

મોલ ભરેલું ખેતર

ગુજરાતી ભાષાના ગુજરાતી સાહિત્યમાં કવિ અને વિવેચક તરીકે આગવું સ્થાન ધરાવતા શ્રી મણિલાલ હ. પટેલે ‘મોલ ભરેલું ખેતર’ (સ્વ. કવિ રાવજી પટેલનું જીવનચરિત્ર) પુસ્તકમાં કવિશ્રી મણિલાલ દેસાઈના જીવન અને એમની કવિતા વિશે ઘણું સંશોધન કરીને આ પુસ્તકની રચના કરી છે.

 download .epub  view .pdf

મેધાવી મૂલ્યનિષ્ઠ વિજ્ઞાની સર સી. વી. રામન

સંશોધનક્ષેત્રના જ્યોતિર્ધરની જીવનગાથા
ભૌતિકવિજ્ઞાન પ્રત્યે કુદરતી રુચિ (ભાવ) ધરાવતા યુવાન બુદ્ધિશાળી રામને પોતાનું શિક્ષણ પૂરું કર્યા પછી, સંશોધન-રસપૂર્તિના સંસાધનોના અભાવે, 1907માં કલકત્તા ખાતે સરકારી નોકરીના સંજોગો ઊભા થયા. તેઓ પહેલેથી જ વિજ્ઞાનના જીવ હતા. તેથી જ તો સરકારી નોકરીની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવ્યાની સાથે ડૉ. મહેન્દ્રલાલ સરકાર-સ્થાપિત સંસ્થા `ઇન્ડિયન ઍસોસિયેશન ઑફ કલ્ટિવેશન ઑફ સાયન્સ IACS’ના વિકાસમાં સિંહફાળો આપ્યો. ભૌતિકવિજ્ઞાનમાં રસ સંવર્ધિત થતાં, વધુ લાભકારી સરકારી નોકરી છોડીને ઓછા વેતનથી કલકત્તા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકપદે જોડાયા. આવો હતો તેમનો સંશોધન ખાતર પરિત્યાગ.
પ્રકાશવિજ્ઞાનના ઊંડાણમાં જઈ તેના વ્યાપ સાથે સંશોધન કરતાં `રામનઘટના’ માટે 1930માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો. આ સાથે તેમણે ધ્વનિવિજ્ઞાન, રંગો, ફૂલો અને હીરાઓનો વિશદ સં શોધનાત્મક અભ્યાસ કરેલો.
સરકારની નીતિ પ્રત્યે તીવ્ર મતભેદોને કારણે તેના વિશે કેટલીક ગેરસમજો થવા પામી. તે છતાં પોતાની તાકાત ઉપર, નિવૃત્તિ બાદ સ્વબળે બૅંગ્લોરમાં `રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ સંસ્થાનું સર્જન કર્યું. મરણપર્યંત આ સંસ્થાઓમાં સંશોધન કરી-કરાવી તેને પરિપુષ્ટ કરી ભૌતિકવિજ્ઞાનની આધુનિક શાખાઓ વિકસાવી, તેને વૈશ્વિક કક્ષાએ આરૂઢ કરી.
માણસપારખુ રામનનો અભિગમમાનવીય, સ્વદેશી અને રાષ્ટ્રીય રહ્યો હતો.
મૂલ્યોના ભોગે સમાધાન ન કરનાર રામન બુદ્ધિનિષ્ઠ, અનુરાગી અને અપરિગ્રહી રહ્યા. સાથે સાથે સમગ્ર ભારતમાં સંશોધન ક્ષેત્રે જ્યોતિર્ધર તરીકે કાર્યનિષ્ઠ રહ્યા. અહીં એમનું ચરિત્ર પ્રહ્લાદભાઈ છ. પટેલે રસાળ, પ્રમાણભૂત અને ઊંડા અભ્યાસ બાદ તારવેલી વિગતો સાથે આલેખ્યું છે.

 download .epub  view .pdf

વાસ્તવવાદી નાટક (વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં)

ગુજરાતી રંગભૂમિ ઇતિહાસ ભલે હજુ માંડ 160 વર્ષનો હોય પણ રંગભૂમિનો ઇતિહાસ અઢી-ત્રણ હજાર વર્ષ જેટલો પુરાણો છે. આજે આપણે રંગભૂમિનું જે વાસ્તવતાદી (Realistic) સ્વરૂપ જોઈએ છીએ તે જગતભરના અનેક ચિંતકો, લેખકો અને કલાકારો દ્વારા જાત જાતના વાદો, વિચારો, સિદ્ધાંતો, શૈલીઓ, સ્વરૂપો, પ્રયોગો, પરિવર્તનો વગેરેને અંતે ઘડાયેલું આધુનિક સ્વરૂપ છે. માનવઉત્ક્રાંતિની માફક રંગભૂમિની પણ પોતાની ઉત્ક્રાંતિ છે. આજે લોકપ્રિય ગણાતાં નાટકોની દશા (કે અવદશા !) સમજવા માટે પણ આ ઉત્ક્રાંતિની જાણકારી આપણી આસ્વાદ્યક્ષમતાને વધારનારી છે.

જે વાસ્તવવાદી નાટ્યસ્વરૂપ સાથે આપણે સુપરિચિત છીએ તે સ્વરૂપ આપણું પોતાનું, ભારતીય કલાસ્વરૂપ છે જ નહીં પણ મુખ્યત્વે યુરોપમાંથી જન્મેલું અને ત્યાંની જ્ઞાનવિજ્ઞાનની પ્રગતિ સાથે ક્રમશ: વિકસેલું એક વિચારપ્રધાન આધુનિક કલાસ્વરૂપ છે. ગ્રીક અે સંસ્કૃત નાટકથી શરૂ થયેલી રંગભૂમિએ તેના સદીઓના વિકાસ દરમિયાન રંગદર્શીવાદ, નિસર્ગવાદ, વાસ્તવવાદ, અભિવ્યક્તિવાદ, પ્રતીકવાદ વગેરે અનેક પ્રકારનાં નોખનોખાં શૈલી-સ્વરૂપો જોયાં છે. કોઈ પણ કલાનું સ્વરૂપ તેના સત્ત્વથી અળગું નથી હોતું. વળી આ સત્ત્વ બંને તેના આનુષંગિક કાળ-સંજોગોથી સીધું જ પ્રભાવિત હોય છે. નાટ્યસાહિત્યમાં વાસ્તવવાદની આ તેજોમય દીર્ઘયાત્રા તેના નિર્ણાયક મુકામની ઐતિહાસિક અગત્યને સમજવામાં ઉપકારક નીવડે તેવી છે.

 download .epub  view .pdf

તરસ્યા મલકનો મેઘ

પન્નાલાલની હરોળમાં બેસે તેવા અનેક સર્જકો ગુજરાતમાં છે; ઉત્તમ જાનપદી ચેતનાના સર્જકો પણ છે; માનવીના હૈયાના પડેપડને ઉખેળીને તેની વેદનાને વાણીમાં ઉતારનાર વાચસ્પતિઓ પણ છે; પરંતુ આટલું સંઘર્ષયુક્ત રંગીન જીવન જીવ્યા પછી માનવતાનો મહિમા ગાતું આટલું હૃદયસ્પર્શી સાહિત્ય પીરસનાર પન્નાલાલ તો એક અને અદ્વિતીય છે.

પન્નાલાલની આ જીવનકથા એક રીતે વખાના માર્યા મનેખની વીતકકથા છે તો બીજી રીતે જીવનનો ભરપૂર રસ માણનાર મોજીલા માણસની અસાધારણ અનુભવકથા જણાય છે. પ્રેમ અને વેદનાના તંતુઓ કથાના પટમાં સ્વાભાવિક રીતે વણાતા આવે છે.

ગુજરાતી સાહિત્યમાં એક છેડે કલ્પનાનો મુક્ત વિનિયોગ કરનાર ચરિત્રસર્જક કનૈયાલાલ મુનશી છે અને બીજે છેડે સત્ય – નિર્ભેળ સત્યના વિનિયોગથી રસ જમાવનાર ચરિત્રકાર નારાયણ દેસાઈ છે. બંનેએ પોતપોતાની રીતે સફળતા હાંસલ કરી છે. મણિલાલે આ બંનેય ચરિત્રકારોની ખૂબીઓનો લાભ લીધો છે.

તેમની જીવનકથા તેમની કથાપરંપરાના એક મર્મી અભ્યાસી ને અનુગામી કથાસર્જક મણિલાલ હ. પટેલ પાસેથી મળે છે તે સુભગ સંજોગ છે.

ધીરુભાઈ ઠાકર

 download .epub  view .pdf

મેઘાણીચરિત

વીસમી સદીના બીજા દાયકામાં અંગ્રેજી સાથેનો એક યુવાન ગ્રૅજ્યુએટ, તેય વણિક, લોકપ્રેમ ને શબ્દશ્રદ્ધાના અદમ્ય ખ્યાલથી પ્રેરાઈને, વિલાયતયાત્રાના લાભ સાથેનું સ્વબળે પોતાને મળેલું એક પ્રસિદ્ધ વેપારી પેઢીમાંનું ઊંચા દામ-દરમાયાવાળું સ્થાન ઘડીના છઠ્ઠા ભાગમાં ફગવી દે, અને વતનમાં આવી આખુંયે આયખું કલમને ધરી દે, એ પુન: પુન: સ્મરણીય મેઘાણીજીવનનું આ સાહિત્યિક ચરિત્ર છે. મેઘાણીએ `શબ્દનો વેપાર’ માંડ્યો તો શબ્દે એની અઢળક રૂપસમૃદ્ધિથી એમને અને આપણને બેયને કેવાં ન્યાલ કરી દીધાં એની અહીં વાત છે. મેઘાણીજીવનની ભોંય પર મેઘાણીસાહિત્યનો આ આલેખ છે.

 download .epub  view .pdf

સિદ્ધાંતસારનું અવલોકન

ઓગણીસમી સદીમાં પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો સંઘર્ષ થયો તે દરમ્યાન પ્રાચીન આર્ય ધર્મને દુનિયાના તમામ ધર્મોના કરતાં શ્રેષ્ઠ સાબિત કરવાનો પ્રયત્ન થયો હતો એ સંદર્ભમાં પુસ્તક `સિદ્ધાંતસાર’નું અવલોકન કવિ કાન્તે, કાન્તાને પત્રોરૂપે, લખી મોકલેલું, તીક્ષ્ણ કટાક્ષ અને મીઠા પ્રહારોથી શરૂ થયેલું કાન્તનું વક્તવ્ય અધવચથી તેમનું માનસપરિવર્તન થતાં કેવું બદલાય છે, તેનું રસિક પ્રતિબિંબ આ પત્રોમાં પડેલું જોવા મળે છે. મૂળ `જ્ઞાનસુધા’ માસિકમાં ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં પ્રગટ થયેલા આ પત્રો 1927માં પુસ્તકરૂપે કાન્તે પ્રગટ કર્યા હતા, પરંતુ પછી ઘણા વખતથી તે ઉપલબ્ધ નહોતા. યોગ્ય ભૂમિકા સહિત સંપાદિત સ્વરૂપમાં ગુજરાતી સાહિત્યના એક રસિક પ્રકરણનો સાહિત્યરસિકોની નવી પેઢીને પરિચય થશે.

 download .epub  view .pdf

ગ્રંથના પંથના અનોખા યાત્રી

ભાષા-સંસ્કારપ્રેમી સાહિત્યિક પત્રકાર

યશવંત દોશી

પોતાની જાત વિશે ભાગ્યે જ બોલનાર કે લખનાર યશવંત દોશીએ એક વાર પોતાને વિશે લખ્યું હતું :

`મારે મારી જાતને પ્રમાણપત્ર આપવાનું હોય તો હું આમ આપું : આ માણસને પુસ્તકો વિશે જાણવામાં ખૂબ રસ છે. બીજું બધું વાંચવાનું પડતું મૂકીને એ પુસ્તકો વિશેની માહિતી તરત હાથમાં લે છે. એને લીધે પુસ્તકો પરત્વેની વિવેકશક્તિ એનામાં કદાચ ખીલી પણ હોય. પણ એ પુસ્તકોનો પ્રેમી છે, એમતો હું વિના સંકોચે કહી શકું.’

યશવંતભાઈ એક સંનિષ્ઠ અને સજ્જ લેખક હતા, સમીક્ષક હતા, અનુવાદક હતા, સાહિત્યિક પત્રકાર હતા, સંપાદક અને તંત્રી હતા, પણ તેમના વ્યક્તિત્વનાં આ બધાં પાસાંને એકસૂત્રે બાંધી રાખનાર તો હતો તેમનો સાચુકલો, પ્રગાઢ પુસ્તક-પ્રેમ. વાડીલાલ ડગલીની સાથે મળીને શરૂ કરેલ પરિચય ટ્રસ્ટ અને તેનાં પ્રકાશનો `ગ્રંથ’ માસિક અને `પરિચય પુસ્તક’ દ્વારા યશવંતભાઈએ વ્યાપક અર્થમાં લોકશિક્ષણનું જે ભગીરથ કામકર્યું તેનો જોટો, આપણી ભાષામાં તો મળવો મુશ્કેલ છે. આ ઉપરાંત તેમણે મુંબઈથી પ્રગટ થતાં કેટલાંક વર્તમાનપત્રોમાં પણ નિયમિત રીતે કૉલમો લખી. પણ પોતાનાં આ બધાં લખાણોને ગ્રંથસ્થ કરવા અંગે તેમણે ક્યારેય રસ દાખવ્યો નહિ.

શ્રી યશવંત દોશીની જન્મશતાબ્દીના વર્ષમાં પ્રગટ થઈ રહેલા આ પુસ્તકમાં જાણીતા સમીક્ષક, સંપાદક, અનુવાદક અને યશવંતભાઈના નિકટવર્તી સાથી દીપક મહેતાએ તેમનાં જીવન અને કાર્યનો પરિચય આપ્યો છે.

 download .epub  view .pdf

નાટ્યતાલીમના નેપથ્યે

આ પુસ્તકમાં શિક્ષણની પૂરક પ્રવૃત્તિ તરીકે કૉલેજ અને યુનિવર્સિટી કક્ષાએ નાટ્યતાલીમનો પ્રયોગ કઈ રીતે ઉપયોગ થઈ શકે અને શિક્ષણ તેમાં કેવો મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી શકે એનું લેખકે તાલીમ-શિબિરોના પોતાના અનુભવથી મિશ્રિત સૈદ્ધાન્તિક નિરૂપણ રસપ્રદ શૈલીમાં કરેલું છે. તે કળાકારને ઉપયોગી છે એટલું જ શિક્ષણ સંસ્થાઓને ઉપયોગી છે.

 download .epub  view .pdf