ઇ-બુક્સ | eBooks

ચીકુ
સોનલ પરીખની કલમ બહુ સાહજિકતાથી અનેક ક્ષેત્રોમાં વિહરે છે. કાવ્યો, ફિલ્મી ગીતોનું ગીતોનું વિવરણ અને રસાસ્વાદ, સમાજના સાંપ્રત પ્રવાહોનું નિરીક્ષણ અને વિવેચન, મૌલિક વિચારોનું લોકભોગ્ય આલેખન – અને હવે તો લઘુનવલ અને નવલકરથાના પડકારો પણ ઝીલવાની વૃત્તિ ! આ બધું જોતાં એમની પાસેથી ચીકુ જેવી સાદ્યંત રસાળ કિશોરાવસ્થાને આકર્ષતી પ્રાણીકથા-ખરેખર તો કુટુંબકથા મળે એમાં મને સહેજે નવાઈ નથી લાગતી. અનુભવાય છે માત્ર આનંદ ! – ધીરુબહેન પટેલ

વિશ્વનું શિલ્પ-સ્થાપત્ય
લલિતકલાઓ (fine arts)માં શિલ્પ અને સ્થાપત્ય એ બે દૃશ્ય કલાઓ (visual arts) છે. વિશ્વના શિલ્પ-સ્થાપત્યનો અભ્યાસ વ્યાપક અને ગહન છે. તેથી અહીં ગાગરમાં સાગર સમાવવાનો નમ્ર પ્રયત્ન કરવામાં આવ્યો છે. પ્રવાસનાં સ્થળોએ જવાનું થાય ત્યારે ત્યાંની શિલ્પ -સ્થાપત્યકલાના નમૂનાઓને જોઈને આશ્ચર્ય થાય, આનંદની અનુભૂતિ થાય અને તેના ઇતિહાસ તથા તેની અગત્ય વિશે જાણવાની ઉત્કંઠા જાગ્રત થાય. અહીં આ ઉત્કંઠાને સંતોષવાનો અને તેના વિશે વધુ રસાભિમુખ કરવાનો આશય છે. કલાનું શિક્ષણ આપતી સંસ્થાઓને અને શિલ્પ-સ્થાપત્યકલામાં રુચિ ધરાવનારા સૌ કોઈને આ ગ્રંથ ઉપયોગી નીવડશે.

લોકવિદ્યા-પરિચય
લોકવિદ્યા જેવો અતિપરિચિત લાગતો છતાં શિક્ષિત-અશિક્ષિત સર્વેને અનેક રીતે અપરિચિત વિષય અહીં નિરૂપવામાં આવ્યો છે. લોકસંસ્કૃતિનાં અનેક પાસાં આલેખીને લોકવિદ્યાના પરિચયથી મનુષ્ય-સમાજના વર્તમાન સાથે ભૂતકાળનો સંસ્પર્શ કેવો થાય છે તે અહીં આલેખાયું છે.
લોકવિદ્યાનાં બે મુખ્ય અંગો લોકસાહિત્ય અને લોકસંગીત ઉપરાંત લોકકલા અને કસબ, સામ્પ્રત લોકજીવન, લોકસાહિત્ય સંશોધન વગેરેની સવિસ્તર અને સચિત્ર માહિતી અહીં રજૂ થયેલ છે. અન્ય દેશોના લોકવિદ્યાકુળનાં પુસ્તકોની વિગતો તથા એની સંદર્ભસામગ્રીનો આ ગ્રંથમાં સમાવેશ થયો છે. લોકવિદ્યાનાં પાયાનાં મૂળભૂત તત્ત્વોનો પરિચય આપવાની સાથોસાથ ગુજરાતની લોકસંપદા વિશે મૂલ્યવાન માહિતીઆમાં આલેખાઈ છે.

શહીદ વિનોદ કિનારીવાલા
ગુજરાત કૉલેજના પ્રાંગણમાં ચણાયેલી અને એમના જેવા ભાવનાશાળી યુવાક-યુવતીઓને માટે હમેશાં પ્રેરણાદાયી બનનારી ઈ. સ. 1942નાં સ્વાતંત્ર્યસંગ્રામના કૉલેજના શહીદ વિદ્યાર્થી સ્વ. વિનોદ કિનારીવાલાનું અને તેની શહીદીની ઘટનાને આલેખતું ડૉ. બિપિન સાંગણકર લિખિત જીવનચરિત્ર.

ડાયનોસૉર
આ પુસ્તકમાં પૃથ્વીના પટ પર ભૂસ્તરીય અતીતમાં થઈ ગયેલાં વિશાળકાય સરીસૃપોના સમૂહ ડાયનોસૉર ની વિસ્તૃત પ્રમાણભૂત માહિતી રજૂ કરવામાં આવી છે.
ડાયનોસૉરનાં ઉદ્ભવ, ઉત્ક્રાંતિ અને વિલોપન ઉપરાંત તેના વિવિધ પ્રકારો, તેના જીવાવશેષોના પુરાવાની માહિતી આપેલ છે. પૃથ્વીના પેટાળમાં જુદા જુદા સ્તરે પ્રાણીઓના અવશેષો કેવી રીતે સચવાય છે, કેવી રીતે રૂપાન્તર પામે છે અને તે કયા સમયનું પ્રતિનિધિત્વ ધરાવે છે તેની વિગતો પણ આ પુસ્તકમાં મળી રહે છે.
વળી ભારતમાં અને તેમાંયે ગુજરાત રાજ્યમાં ડાયનોસૉરના અવશેષો ક્યાં મળે છે તેની વિગતે ચર્ચા કરી છે.

સ્વસ્થ જીવનશૈલીનો આધાર શાકાહાર
સમગ્ર ચૈતન્ય સૃષ્ટિનાં પોષણ અને વિકાસ માટે સૂર્યપ્રકાશ, પાણી, હવા અને ખોરાકની અત્યંત આવશ્યકતા રહે છે. સૂર્યપ્રકાશ, પાણી અને હવા કુદરતની દેન છે, જ્યારે ખોરાકની પસંદગીમાં મનુષ્ય સ્વતંત્ર છે. આથી જ ખોરાક જેટલો સ્વાસ્થ્યપ્રદ તેટલી સ્વસ્થ જીવનશૈલી. તેથી જ પોષણયુક્ત આહાર કેવો અને કેટલો હોવો જોઈએ તે માટે અભ્યાસ અને સંશોધનો થાય છે.
વિવિધ દેશોમાં શાકાહારનું કેવું મહત્ત્વ છે અને શાકાહારના કેવા પ્રકારો સ્વીકારવામાં આવે છે તેની છણાવટ આ પુસ્તકમાં કરવામાં આવી છે. વિવિધ ધર્મોમાં પણ નિરામિષ આહારને અગ્રિમતા આપવામાં આવી છે તથા માંસાહારનાં ભયસ્થાનો પણ દર્શાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત માનવઅધિકારોની જેમ પ્રાણીઓના અધિકારની વિભાવના સ્વીકારતા વિશ્વના નામાંકિત મહાનુભાવોનાં મંતવ્ય પણ નોંધપાત્ર છે.
એકવીસમી સદીની કોવિડ-19 (કોરોના) નામની મહામારીએ જ્યારે પૂરા વિશ્વને ભરડામાં લીધું ત્યારે માંસાહારના ગેરફાયદા માટે લોકોમાં જાગરુક્તા આવી, કારણ કે એક સમય એવો હતો જ્યારે શાકાહારના ગેરફાયદા અને માંસાહારના ફાયદાઓ વિશે ઘણો ભ્રામક પ્રચાર કરવામાં આવેલો. પણ છેલ્લાં કેટલાંક વર્ષોના અભ્યાસ પછી એવું તારણ બહાર આવ્યું છે કે, સંક્રમિત રોગોમાંથી મોટા ભાગના રોગો પશુ અને પક્ષીઓ દ્વારા ફેલાયેલા જોવા મળે છે.
આ ઉપરાંત હાલના સમયમાં પર્યાવરણની સમસ્યાને પણ અગત્યતા આપતાં માંસાહારથી થતા જમીન, પાણી, હવાના પ્રદૂષણના બગાડને પણ અક્ષમ્ય લેખી શકાય તેવું સ્વીકારવામાં આવે છે.
આથી આપણે કહીએ કે માનવીની સ્વસ્થ જીવનશૈલી અને પૃથ્વીના સ્વસ્થ પર્યાવરણના મુખ્ય આધાર તરીકે શાકાહાર માત્ર અગત્યનો જ નહીં પણ અનિવાર્ય છે.

મેઘનાદ સહા
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ભારતના વિજ્ઞાનીના જીવન અને કાર્યની વિગતો આપતાં માહિતીપ્રદ અને પ્રમાણભૂત પુસ્તકો પ્રગટ કરે છે. એની શ્રેણીમાં ડૉ. પ્રહલાદભાઈ છ. પટેલ દ્વારા આ પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે. મેઘનાદ સહાના જીવનકાર્ય વિશેનું આ ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ પુસ્તક છે.
મેઘનાદ સહા દલિત હતા, પણ મહાન શિક્ષક, લેખક, સમાજચિંતક, ઉત્કૃષ્ટ રાષ્ટ્રપ્રેમી અને પ્રખર વિજ્ઞાની હતા. દલિત અને ક્રાંતિકારી હોવાને કારણે સમાજ અને સરકાર તરફથી ઘણું સહન કરવું પડ્યું હતું. તેઓ ઉચ્ચ કોટિના ન્યૂક્લિચર અને સમર્થ યુગપ્રવર્તક ખગોળભૌતિક વિજ્ઞાની હતા. વિજ્ઞાન સંસ્થાઓના સર્જક હતા. તેમની શક્તિ, ક્ષમતા અને વૈજ્ઞાનિક સિદ્ધિઓથી તેઓ વિશ્વનાગરિક બન્યા.
સ્વતંત્ર સાંસદ સભ્ય તરીકે પરિણામલક્ષી અભિગમ અને કાર્યવહીને કારણે તેમની સંસદમાં હાજરી ધ્યાનાકર્ષક રહેતી હતી. કોઈ પણ સમસ્યા પ્રત્યે તેઓ રાજકીય નહીં પણ રાષ્ટ્રીય અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા હતા. તેઓ સર્જનાત્મક ક્રાંિતકારી હતા. તેઓ એકથી વધારે માર્ગોના યાત્રી રહ્યા છે. તેમની અપૂર્વ ક્ષમતાને ન્યાય આપવો અઘરો છે. તેમની દલિતોદ્વારની ભાવનાને ઉજાગર કરવાનું તેથીય અઘરું છે.
તેઓ હંમેશા કહેતા કે માનવજાતે રાષ્ટ્રીય ઉત્પાદન થકી નવોદિત ટૅક્નૉલૉજીનો લાભ અવશ્ય લેવો જોઈએ. ભારતીય અવકાશ પંચના અધ્યક્ષ યુ. આર. રાવત મેઘનાદ સહાને `યુગ પુરુષ’ તરીકે નવાજે છે.

નાટક દેશવિદેશમાં
નાટક, નાટ્યપ્રવૃત્તિ, નાટ્યગૃહો, નાટ્યનિર્માણ, અભિનય, લોકનાટ્ય, રંગકસબ અને નાટકનું ભાવન અને વિવેચન : એમ નાટક અને રંગભૂમિને લગતાં તમામ પાસાંને આવરી લેતી ગુજરાત, ભારત અને વિશ્વના અન્ય દેશોને લગતી અદ્યતન માહિતી વિશ્વકોશમાં અત્રતત્ર વિકીર્ણ હતી તેને સંવર્ધિત કરી તાર્કિક ક્રમમાં સંકલિત કરીને ગ્રંથસ્થ રૂપે મૂકી છે જે એ વિષયના અભ્યાસીઓ અને તાલીમાર્થીઓને ઉપયોગી નીવડે તેમ છે.

મોલ ભરેલું ખેતર
ગુજરાતી ભાષાના ગુજરાતી સાહિત્યમાં કવિ અને વિવેચક તરીકે આગવું સ્થાન ધરાવતા શ્રી મણિલાલ હ. પટેલે ‘મોલ ભરેલું ખેતર’ (સ્વ. કવિ રાવજી પટેલનું જીવનચરિત્ર) પુસ્તકમાં કવિશ્રી મણિલાલ દેસાઈના જીવન અને એમની કવિતા વિશે ઘણું સંશોધન કરીને આ પુસ્તકની રચના કરી છે.

મેધાવી મૂલ્યનિષ્ઠ વિજ્ઞાની સર સી. વી. રામન
સંશોધનક્ષેત્રના જ્યોતિર્ધરની જીવનગાથા
ભૌતિકવિજ્ઞાન પ્રત્યે કુદરતી રુચિ (ભાવ) ધરાવતા યુવાન બુદ્ધિશાળી રામને પોતાનું શિક્ષણ પૂરું કર્યા પછી, સંશોધન-રસપૂર્તિના સંસાધનોના અભાવે, 1907માં કલકત્તા ખાતે સરકારી નોકરીના સંજોગો ઊભા થયા. તેઓ પહેલેથી જ વિજ્ઞાનના જીવ હતા. તેથી જ તો સરકારી નોકરીની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવ્યાની સાથે ડૉ. મહેન્દ્રલાલ સરકાર-સ્થાપિત સંસ્થા `ઇન્ડિયન ઍસોસિયેશન ઑફ કલ્ટિવેશન ઑફ સાયન્સ IACS’ના વિકાસમાં સિંહફાળો આપ્યો. ભૌતિકવિજ્ઞાનમાં રસ સંવર્ધિત થતાં, વધુ લાભકારી સરકારી નોકરી છોડીને ઓછા વેતનથી કલકત્તા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકપદે જોડાયા. આવો હતો તેમનો સંશોધન ખાતર પરિત્યાગ.
પ્રકાશવિજ્ઞાનના ઊંડાણમાં જઈ તેના વ્યાપ સાથે સંશોધન કરતાં `રામનઘટના’ માટે 1930માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો. આ સાથે તેમણે ધ્વનિવિજ્ઞાન, રંગો, ફૂલો અને હીરાઓનો વિશદ સં શોધનાત્મક અભ્યાસ કરેલો.
સરકારની નીતિ પ્રત્યે તીવ્ર મતભેદોને કારણે તેના વિશે કેટલીક ગેરસમજો થવા પામી. તે છતાં પોતાની તાકાત ઉપર, નિવૃત્તિ બાદ સ્વબળે બૅંગ્લોરમાં `રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ સંસ્થાનું સર્જન કર્યું. મરણપર્યંત આ સંસ્થાઓમાં સંશોધન કરી-કરાવી તેને પરિપુષ્ટ કરી ભૌતિકવિજ્ઞાનની આધુનિક શાખાઓ વિકસાવી, તેને વૈશ્વિક કક્ષાએ આરૂઢ કરી.
માણસપારખુ રામનનો અભિગમમાનવીય, સ્વદેશી અને રાષ્ટ્રીય રહ્યો હતો.
મૂલ્યોના ભોગે સમાધાન ન કરનાર રામન બુદ્ધિનિષ્ઠ, અનુરાગી અને અપરિગ્રહી રહ્યા. સાથે સાથે સમગ્ર ભારતમાં સંશોધન ક્ષેત્રે જ્યોતિર્ધર તરીકે કાર્યનિષ્ઠ રહ્યા. અહીં એમનું ચરિત્ર પ્રહ્લાદભાઈ છ. પટેલે રસાળ, પ્રમાણભૂત અને ઊંડા અભ્યાસ બાદ તારવેલી વિગતો સાથે આલેખ્યું છે.
- « Previous
- 1
- 2
- 3
- 4
- Next »