વર્ધમાન ભુક્તિ : મૈત્રકકાલના ‘ભુક્તિ’ નામના વહીવટી ભૂભાગ તરીકે વર્ધમાન (વઢવાણ). આ કાલ દરમિયાન મોટા વહીવટી વિભાગોમાં ‘વિષય’ શબ્દ વધુ પ્રચલિત હતો. એ હાલના જિલ્લા જેવો વિભાગ હતો. ‘ભુક્તિ’ ઉત્તર ભારત તથા પૂર્વ ભારતમાં વિષય કરતાં મોટો વહીવટી વિભાગ હતો, જ્યારે પશ્ચિમ ભારતમાં એ વિષયના પર્યાયરૂપ લાગે છે; ઉ.ત., વર્ધમાન ભુક્તિ, માલવક ભુક્તિ વગેરે. વલભીના મૈત્રકકાલના શીલાદિત્ય 5માના ઈ.સ. 721 તથા 722નાં દાનશાસનોમાં ‘વર્ધમાન ભુક્તિ’માંથી આવેલા બ્રાહ્મણોને દાન આપ્યું હતું, તેમ ઉલ્લેખ છે.

જયકુમાર ર. શુક્લ