અનામી (જ. 26 જૂન 1918, ડભોડા જિ. ગાંધીનગર; અ. 25 મે 2009-) : ગુજરાતી ભાષાના શિષ્ટ કવિ અને વિવેચક. મૂળ નામ રણજિતભાઈ મોહનલાલ પટેલ. વતન દહેગામ નજીક ડભોડા. 1942માંગુજરાતી-સંસ્કૃત સાથે બી. એ.આને 1944માં એમ.એ., 1956માં પીએચ.ડી. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. શામળકૃત ‘સિંહાસનબત્રીસી’નું સંશોધન-સંપાદન એમણે પીએચ.ડી.ની પદવી નિમિત્તે કરેલું. વર્ષો સુધી નડિયાદની જે. ઍન્ડ જે. કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા પછી મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાવિભાગમાં 1958થી જોડાયા બાદ 1977માં અધ્યક્ષસ્થાનેથી નિવૃત્ત થયા. ગોવર્ધન સાહિત્ય સભા, નડિયાદના ભૂતપૂર્વ પ્રમુખ હતા.

એમની સર્જનપ્રવૃત્તિનું પ્રધાન ક્ષેત્ર કવિતા. ‘કાવ્યસંહિતા’ (1938) અને ‘ચક્રવાક’ (1946)માં મુખ્યત્વેપ્રણયકાવ્યો છે. ‘સ્નેહશતક’ (1950)માં છંદોબદ્ધ ગેયકાવ્યો છે. ‘પરિમલ’ (1965)માં એમણે પોતે ચૂંટેલી પ્રતિનિધિ રચનાઓ છે. ‘રટણા’ (1983)માં પ્રકૃતિ, ઈશ્વર અને ભક્તિ કેન્દ્રસ્થાને છે.  ‘શિવમ્’  (1999) પ્રગટ થયેલો કાવ્યસંગ્રહ છે.

વ્યક્તિનિષ્ઠ પ્રણય, પ્રકૃતિસૌંદર્ય અને ઈશ્વરભાવ ઉપરાંત કૌટુંબિક સંબંધો પણ એમના કવનવિષયો રહ્યા છે. આ કવિ ગ્રામસંસ્કૃતિ, જીવનની સાદગી અને ભાવનાશીલતાના ચાહક છે.

‘સારસ’ (1957) સંગ્રહમાં આકાશવાણી પરથી રજૂ થયેલા ગીતો છે., ‘ત્રિવેણી’ (1957), ‘અનામી-ભક્તિસુધા’ (1990), ‘આપણી વાત’ (1990), ‘અજીત-નાટિકા’ (અપ્રગટ), ‘કવિવર ટાગોરનું જીવન કવન’ (1965), ‘ગુજરાતણોની શરીરસંપત્તિ’ (1945) તથા ‘આપણું રાષ્ટ્રગીત’ (1965) અને નવલિકાસંગ્રહ ‘ભણેલી ભીખ અને બીજી વાતો’ (1957)માં આકાશવાણીના મજૂરવર્ગ માટેના કાર્યક્રમોમાં રજૂ થયેલી સત્યઘટના પર આધારિત 21 વાતો છે. આ ુપરાંત ‘સંતસૌરભ’ (1975), ‘ત્રણ વૈશાખી પૂર્ણિમા’ (ત્રિઅંકી નાટક) (1991) તથા ‘શામળ’ (1961, સંપાદન), ‘સિંહાસનબત્રીસી’ (1970, સંપાદન) અને ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યસ્વરૂપોનો વિકાસ’ (1958) જેવાં અન્ય પુસ્તકો પણ તેમની પાસેથી મળ્યાં છે.

રમણલાલ જોશી