પટેલ, ચીમનલાલ નારણદાસ (. 23 ડિસેમ્બર 1918, અમદાવાદ; . 30 જાન્યુઆરી 2004) : ગુજરાતી લેખક અને વિવેચક, અંગ્રેજીના પ્રસિદ્ધ અધ્યાપક. વખત જતાં શિક્ષણ જગતમાં તેઓ સી. એન. પટેલના નામે અને સાહિત્યક્ષેત્રે ચી. ના. પટેલ તરીકે જાણીતા થયા. 1940માં બી.એ. તથા 1944માં પ્રથમ વર્ગ સાથે એમ.એ. થયા બાદ કૉલેજમાં અંગ્રેજીના સફળ અધ્યાપક અને આચાર્ય તરીકે તથા ત્યારબાદ ભારત સરકાર દ્વારા પ્રકાશિત ‘ક્લેક્ટેડ વક્ર્સ ઑવ્ મહાત્મા ગાંધી’ નામક ગ્રંથશ્રેણીના અનુવાદક, ઉપ-મુખ્ય સંપાદક અને માનાર્હ સલાહકાર તરીકે નોંધપાત્ર સેવા આપી. ભારતીય અને પાશ્ચાત્ય શિષ્ટ સાહિત્યનું તેમનું વિશાળ વાચન અને ચિંતન તેમનાં વિવેચનોમાં પ્રતિબિંબિત થાય છે. 1975માં પ્રકાશિત થયેલા તેમના ગ્રંથ ‘અભિક્રમ’માં તથા તે પછીનાં પુસ્તકોના લેખોમાં વ્યક્ત થયેલી પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના ઐતિહાસિક પ્રવાહો અને જીવનમૂલ્યોની ઊંડી સમજ ધરાવતી તેમની દૃષ્ટિ લખાણોને સત્ત્વશીલ બનાવે છે. ‘અભિક્રમ’માં સાહિત્યિક પ્રશ્નો, સાહિત્યમીમાંસા કે ગુજરાતી, સંસ્કૃત તથા અંગ્રેજી રચનાઓને આ દૃષ્ટિબિંદુથી મૂલવવામાં આવી છે. ‘ટ્રેજડી  સાહિત્યમાં અને જીવનમાં’(1978)માં પાશ્ચાત્ય સાહિત્ય, ‘રામાયણ’, ‘મહાભારત’, ‘સરસ્વતીચંદ્ર’ અને ‘ગાંધીજીવન’ ને તેમાંથી રજૂ થયેલા કરુણ-દર્શનને લગતાં દૃષ્ટાંતોનું વિવેચન કર્યું છે. 1980માં પ્રગટ કરેલા ‘કથાબોધ’ ગ્રંથમાં બંગાળી, ગુજરાતી તથા પાશ્ચાત્ય સાહિત્યની રચનાઓને તેમાં દર્શાવેલી ભાવનાઓનું વિશ્લેષણ કર્યું છે. ‘ગાંધીજીની સત્યસાધના અને બીજા લેખો’(1978)માં ગાંધીજી અને શ્રી અરવિંદની જીવનદૃષ્ટિ વચ્ચે રહેલો તફાવત, ગાંધીજીની પ્રવૃત્તિઓમાં વ્યક્ત થતા એમના જીવનનાં મૂલ્યો વગેરેને દર્શાવવામાં આવ્યાં છે. ‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’માં પ્રગટ થયેલી ‘ગાંધીજી’ પુસ્તિકામાં તેમની ભાષામાં રહેલી સર્જનશક્તિને પ્રગટ કરી છે. ‘વિચારતરંગ’(1986)માં સમાજ અને સંસ્કૃતિ, સાહિત્ય, ગાંધીજી વિશેના લેખો તથા ગુજરાતી સાહિત્ય પરિષદના બત્રીસમા અધિવેશનમાં વિવેચનવિભાગના પ્રમુખપદેથી આપેલ વ્યાખ્યાનનો સમાવેશ થાય છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘ગાંધીચરિત’ (1995) ગ્રંથમાં અનેક નબળાઈઓથી ભરેલા સામાન્ય માનવીમાંથી વિશ્વવંદ્ય સંત સુધીનો ગાંધીજીનો વિકાસ દર્શાવતાં  સત્યના સૂર્યના એક તેજસ્વી કિરણનો લેખકે અનુભવેલો સ્પર્શ પ્રતિબિંબિત થાય છે. 1982માં પ્રસિદ્ધ કરેલ ‘વાલ્મીકીય રામાયણ’ એ ‘વાલ્મીકિ રામાયણ’નો સરળ ગુજરાતી સંક્ષેપ છે.

જયકુમાર ર. શુક્લ