હડપ્પા : સિંધુ સંસ્કૃતિનું પ્રથમ નગર. વર્તમાન પાકિસ્તાનના પૂર્વક્ષેત્રમાં સાહિવાલ શહેર(જિ. મોન્ટગોમરી)ની પશ્ચિમ–દક્ષિણે (નૈર્ઋત્યમાં), સિંધુ નદીની સહાયક રાવી નદીના કિનારે તે આવેલ છે. સર્વપ્રથમ ચાર્લ્સ મસોને આ પુરાસ્થળનો ઈ. સ. 1826માં ઉલ્લેખ કર્યો હતો. 1853 અને 1856માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તરફથી જનરલ કનિંગહામે અહીંની ક્ષેત્રીય તપાસ કરી. એકશૃંગી પશુ અને ચિત્રાત્મક લિપિ અંકિત કેટલીક મુદ્રાઓ (seals) એકત્ર કરી હતી. 1856માં કરાંચીથી લાહોર જનારી રેલ લાઇનના પાટા પાથરવાના ખોદકામ દરમિયાન આ પુરાતાત્વિક સ્થળનું સ્વરૂપ પ્રકટ થયું. આ દરમિયાન અનેક પુરાવશેષો હાથ લાગ્યા. અંતત: 1921માં દયારામ સાહની દ્વારા જ્હૉન માર્શલના નિર્દેશનમાં અહીં વિધિવત્ ઉત્ખનન કરાયું, જે 1923–24થી 1924–25 સુધી ચાલતું રહ્યું. આ ઉત્ખનન દ્વારા વિશિષ્ટ મુદ્રાઓ ઉપરાંત એવા કેટલાક અવશેષ પણ પ્રાપ્ત થયા જેનાથી આ સભ્યતા તામ્રપાષાણકાલીન સભ્યતા હોવાનાં પ્રમાણ મળતાં હતાં. દયારામ સાહની પછી પણ 1926–27 અને 1933–34થી સતત આઠ વર્ષ પર્યન્ત માધો સ્વરૂપ વત્સે અહીં વિસ્તૃત ઉત્ખનન કર્યું. 1949માં મોર્ટીમર વ્હીલરે હડપ્પાના પશ્ચિમી દુર્ગના ટિમ્બાનું ઉત્ખનન કરી અહીંની સુરક્ષા દીવાલનું સ્વરૂપ પ્રકાશમાં આણ્યું. આ બધાં ઉત્ખનનના આધારે આ સભ્યતા(નગર)ની વિશેષતાઓ નોંધીએ.

  

હડપ્પાના અવશેષો

હડપ્પા સભ્યતાની સર્વપ્રથમ વિશેષતા તેના નગરનું સુનિયોજિત સ્વરૂપ ગણાવી શકાય. સંપૂર્ણ નગર સમકોણ રીતે એકબીજાને ક્રૉસ કરતી સડકો દ્વારા શતરંજ સ્વરૂપે વિભાજિત હતું. હડપ્પાના બંને ટિમ્બાના ઉત્ખનનમાંથી પશ્ચિમમાં દુર્ગ અને પૂર્વમાં નગરના અવશેષ પ્રાપ્ત થયા છે. દુર્ગ-ક્ષેત્ર રક્ષણાત્મક દીવાલ(કોટ)થી ઘેરાયલ હતું. દુર્ગનું પ્રમુખ દ્વાર ઉત્તર દિશામાં અને બીજું દક્ષિણ તરફ આવેલ છે. સમલંબ ચતુર્ભુજ આકારવાળા આ દુર્ગની લંબાઈ ઉત્તર-દક્ષિણ 420 મીટર અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 196 મીટર છે, તો તેની ઊંચાઈ છે સરેરાશ 12થી 15 મીટર. દુર્ગની અધિકાંશ ઈંટો ચોરાઈ કે નાશ પામી હોવાથી તેના આકાર-સ્વરૂપ વિશે વિશેષ જાણી શકાતું નથી.

હડપ્પા નગરમાં પ્રારંભથી જ ભવનનિર્માણમાં પાકી ઈંટો વપરાઈ છે. આ ઈંટો સરેરાશ 11 × 5.5 × 2.53 ઇંચની છે. કાચી ઈંટોથી બનાવાયેલ કેટલાંક મકાન પણ મળ્યાં છે, જે સંભવત: ગરીબ વર્ગનાં રહ્યાં હશે. કાચી ઈંટોની સાથે પાકી ઈંટો પણ વપરાઈ હોવાનું જણાયું છે; પરંતુ તેના પર પ્લાસ્ટર કરી દેવાયેલ હોવાથી બંનેમાં ભેદ કરવો મુશ્કેલ બની રહે છે.

મકાનોના પાયામાં સારી રીતે પકવેલ માટીના ટુકડાઓ–ગઠ્ઠાઓનો ઉપયોગ કરાયો છે. આ પ્રથા મોહેં-જો-દડોનાં મકાનોમાં જોવા મળતી નથી એ નોંધવું ઉલ્લેખનીય છે. ઈંટોના ચણતરમાં અધિકતર માટીનો અને ક્વચિત્ ચિરોડીનો પણ ઉપયોગ કરાયો છે. જેમ કે ગોળાકાર ચબૂતરા અને સાર્વજનિક નાલીઓના ફર્શ બનાવવા માટે માટી કે ખડી પથરાયેલ ઈંટો વપરાઈ છે, તો સ્નાનાગારોની ફર્શ પાકી ઈંટોથી જ બનાવાઈ છે; અને સહેજ પણ પાણી ઊતરે નહિ એ રીતે તેના સાંધા પૂરવામાં આવ્યા છે. ઉત્ખનન દરમિયાન મકાનોની દીવાલોના જ અવશેષ મળ્યા હોઈ ઓરડાઓની ઊંચાઈ કે બારીઓ વિશે કંઈ જાણી શકાતું નથી. ત્રણ સીડીઓની ઉપલબ્ધિ મકાનો એકાધિક મજલવાળા હોવાનું સિદ્ધ કરે છે.

કોઠારના અવશેષો, હડપ્પા

હડપ્પાના નગર-આયોજનમાં આ વિશિષ્ટ રચના છે. સમગ્ર નગર ગટરથી જોડાયેલ છે. કેટલીક જગ્યાએ તે ખુલ્લી છે તો અધિકાંશ ઢંકાયેલી છે. આના માટે પાકી ઈંટો વપરાયેલી છે. નાની-મોટી બંને પ્રકારની આ ગટર ક્રમશ: ઘર અથવા સડકની સમાંતર બનેલ છે. ગટરના અંતે કચરો એકઠો કરવાની મોટી કૂંડીઓ બનાવાતી હતી, જે ઢંકાયેલી રહેતી.

હડપ્પામાંથી બે પ્રકારનાં મકાનોના અવશેષ મળ્યા છે : આવાસીય અને સાર્વજનિક. આવાસીય મકાનોમાં એક અત્યંત ઉલ્લેખનીય છે. આમાં અન્ય મકાન–રહેણાકથી સ્ત્રીઓના રહેવાની વ્યવસ્થા (જનાનખાના) અલગ કરાઈ હતી. આ મકાનના ખુલ્લા પ્રાંગણચોકમાં દક્ષિણ–પૂર્વ તરફ લગભગ 33 ઇંચ વ્યાસવાળો એક કૂવો છે, આનો ઉપયોગ ઘરના તેમજ બહારના પણ કરી શકે એ રીતે બનાવાયેલ છે. કૂવાની વિપરીત દિશામાં ઉત્તર તરફ દ્વારપાલ(વૉચમૅન)ની ઓરડી છે; જ્યાંથી Z આકારે જનાનખાના તરફ રસ્તો જાય છે. પૂર્વ બાજુના ઓરડાઓ અતિથિગૃહ હોવાનું મનાય છે. આ ઓરડાઓ ઉપરાંત અન્ય ઘણા ઓરડાઓ છે જેનો ઘરના સદસ્યો ઉપયોગ કરતા હશે. ચોતરફ ઓરડાઓની મધ્યમાં વિશાળ ચૉક પણ છે. આ મકાનોના દરવાજા પ્રમાણમાં નાના છે.

કોઠાર : એક ટિમ્બાના ઉત્તર–પશ્ચિમે (વાયવ્ય દિશામાં) આવેલ વિશાળ અન્નભંડાર હડપ્પાનું સર્વોત્કૃષ્ટ સાર્વજનિક મકાન (બિલ્ડિંગ) છે. આમાં સામ-સામા વિશાળ છ-છ ઓરડાઓ છે, જેની વચ્ચે નેળિયું છે. આ વિશાળ ઓરડાઓને કાચી-પાકી ઈંટોથી નાના નાના ચાર વિભાગોમાં વિભાજિત કરાયા છે. ઓરડાઓમાં હવાઉજાસની પૂરતી વ્યવસ્થા કરાયેલ છે. ઉત્તર–દક્ષિણ 51.21 મી. અને પૂર્વ–પશ્ચિમ 41.15 મી. આ અન્નાગાર હડપ્પા નગરજનો માટે એક મહત્વપૂર્ણ સાર્વજનિક ભવન રહ્યું હશે. આની ફર્શ લાકડાની બનાવાયેલ હતી. સંભવત: એ સમયે સિક્કાઓનું એટલું પ્રચલન ન હોઈ કરસ્વરૂપે એકત્ર કરાયેલ અન્નનો અહીં સંગ્રહ કરાતો હોવો જોઈએ.

હડપ્પાના ઉત્ખનન દરમિયાન પ્રાપ્ત કબર(સમાધિ)સમૂહ ઉલ્લેખનીય છે. આને ‘સમાધિ એચ’ નામ અપાયું છે. આ રીતે એક અન્ય કબ્રસ્તાનને ‘સમાધિ આર-37’ નામ અપાયું છે. સાધારણતયા કબરોનું નિર્માણ જમીનમાં ખાડા ખોદી કરાયેલું છે. શબને સામાન્ય રીતે ઉત્તર–દક્ષિણમાં રખાતું, જેથી માથું ઉત્તર બાજુ રહી શકે. એક કબરમાંથી લાકડાના તાબૂતના પણ પ્રમાણ-અવશેષ મળ્યા છે. શબની સાથે અંત્યેષ્ટિ સામગ્રી રૂપે દૈનિક વપરાશની ચીજવસ્તુઓ રખાતી. પ્રત્યેક કબરમાં એક શબ રખાતું. આ કબરોના આધારે બે પ્રકારની અંત્યેષ્ટિ થતી હોવાનું તારણ કરવામાં આવ્યું છે : પ્રારંભમાં શબને અંત્યેષ્ટિ સામગ્રી સાથે સીધું જ જમીનમાં ખાડો (કબર) ખોદી દાટી દેવાતું તો બીજા પ્રકારમાં શબને પશુ-પક્ષીઓને ખાવા માટે ખુલ્લામાં છોડી દેવાતું અને પછી બચેલાં હાડકાંઓને એક મૃત્પાત્રમાં ભરી દફન કરાતું. આ પ્રકારનાં પાત્રોમાંથી એક કરતાં અધિક શબોનાં અસ્થિઓ પણ પ્રાપ્ત થયાં છે.

હડપ્પામાંથી અત્યન્ત વિશિષ્ટ સ્વરૂપની મુદ્રાઓ (seals) પ્રાપ્ત થઈ છે. આ મુદ્રાઓ લંબગોળ, લંબચૉરસ, ચૉરસ વગેરે સ્વરૂપમાં છે અને તેના પર મગરમચ્છ, એકશૃંગી પશુ, ખૂંધવાળો બળદ, માનવબલિ દૃશ્યનું અંકન વગેરે અંકિત છે. અર્ધ માનવ અને અર્ધ પશુની આકૃતિ પણ ચિત્રિત કરાયેલ છે. પક્વ માટી અને વિભિન્ન ધાતુઓમાંથી બનાવાયેલ આ મુદ્રાઓ પર કેટલીકમાં ચિત્રાત્મક લિપિ પણ અંકિત છે.

કૂવો, હડપ્પા

હડપ્પામાંથી પ્રાપ્ત વાસણો પક્વ માટી, પથ્થર અને ધાતુમાંથી નિર્મિત છે. આમાંનાં કેટલાંક શબપાત્ર રૂપે અને અધિકાંશ દૈનિક ઉપયોગ માટે પ્રયોજાતાં હતાં. વિશાળ ને મધ્યમ આકારના ઘડા (ગોળી), જે ગોળાકાર કે અંડાકાર છે; લાંબાં તેમજ સાંકડાં મોંવાળાં વાસણ; નીચેથી અણીવાળાં વાસણ સંભવત: આને જમીનમાં અર્ધે સુધી દાટીને રખાતાં; ઉપરાંત સપાટ કે સામાન્ય ઊંડાઈવાળી રકાબી-છીબાં; પ્યાલા, કટોરા, નાની-મોટી કુલડીઓ, ઢાંકણો, પાયાવાળી થાળી પણ પ્રાપ્ત થયેલ છે. આનો અલગ અલગ ઉપયોગ થતો રહ્યો હશે. આ વાસણો માટીમાંથી બનાવ્યાં બાદ તેને પકવવામાં આવતાં. આનાથી તેનો રંગ લાલ થઈ જતો. આ વાસણોને ઘણી વાર ચિત્રિત પણ કરાયેલ છે. આમાં પશુઆકૃતિઓ, મોર, મરઘી, માછલી, મછવારા તેમજ પીપળો વગેરે વૃક્ષનાં ચિત્રણ છે. આ વાસણો ચાકડા પર બનાવાતાં, કેટલાંક હાથથી પણ બનાવેલાં છે. હડપ્પામાંથી સીમિત સંખ્યામાં ધાતુનિર્મિત વાસણો મળ્યાં છે. આમાં રકાબીઓ અને ઢાંકણ વગેરે મુખ્ય ગણી શકાય. તાંબા-કાંસાનાં પાત્રોમાં ઘડા, પ્યાલા વગેરે ઉલ્લેખનીય છે.

મૂર્તિઓનું નિર્માણ પક્વ માટીની સાથે જ ધાતુમાંથી પણ કરાયેલ છે. પુરુષ-મૂર્તિઓમાં હાથ બાંધેલ મૂર્તિ, કંઠહાર અને વાઘામ્બર પહેરેલ પુરુષ, ખુરશી પર બેઠેલ દાઢીવાળો પુરુષ, શૃંગધારી પુરુષ-મૂર્તિઓ ઉલ્લેખનીય છે. લોટ બાંધતી, લંબગોળ ખુરશી કે પાટલી પર બેઠેલ સ્તનપાન કરાવતી સ્ત્રી વગેરે મૂર્તિઓ અત્યંત દર્શનીય છે. આ મૂર્તિઓની શિરોભૂષા અત્યન્ત આકર્ષક છે, તો વાનર, સુવર, બકરી, ઘેટું, બિલાડી, ખૂંધવાળો બળદ, ગેંડો, હાથી ઇત્યાદિ પશુઓ ઉપરાંત માછલી-કાચબા જેવાં જળચરોનાં શિલ્પો પણ પ્રાપ્ત થયાં છે. પોપટ, ઘુવડ, ઊડતી ચકલી, સમડી, કબૂતર, મોર, બતક વગેરે પક્ષીઓનાં શિલ્પો ઉલ્લેખનીય છે.

પ્રસ્તરમાંથી બનાવાયેલ લિંગ, યોનિ ઇત્યાદિની આકૃતિઓ, બાણનાં ફળાં, વાટવાના પથ્થર, તાંબા-કાંસાનાં ચપ્પુ, નખખોતરણી, સોય, પિન, માછલી પકડવાના કાંટા વગેરે નોંધનીય છે. આ ઉપરાંત શંખ, હાથીદાંત, તાંબા-સોનાના મણકા–પેન્ડેન્ટ, વીંટીઓ, બટન, બાજુબંધ, તાવીજ, કાનનાં આભૂષણ વગેરે પણ ઉલ્લેખનીય છે, તો વિભિન્ન પ્રકારનાં માટી કે પથ્થરમાંથી બનાવાયેલ રમકડાંઓમાં ગાડી-ગાડાં; ચકલીની આકૃતિવાળી સીટી, દડા, પાંચીકા વગેરે.

ઘઉં, જવ, તરબૂચ, દાડમ, નારિયેલ ઇત્યાદિ મુખ્ય ખાદ્ય પદાર્થો હોવાનું પ્રાપ્ત પુરાવાઓને આધારે કહી શકાય. ખજૂરની આયાત થતી હોવાનું મનાય છે.

હડપ્પાના લોકો કયા ધર્મના હતા કે કયો ધર્મ પાળતા હતા તે નિશ્ચિત કહેવું શક્ય નથી. ધાર્મિકતાનો અંદાજ રમકડાં, વાસણો પરનાં ચિત્રાંકન અને મહદ્અંશે મુદ્રાઓ પરથી આવી શકે. લિંગ, યોનિ આકારના પથ્થર, એકશૃંગી પ્રાણી, ત્રિદળનાં વાસણ પરનાં ચિહન, લગભગ દરેક મકાનમાં સ્નાન માટે કૂવો વગેરે પ્રચલિત હિન્દુ ધર્મમાં અત્યારે પણ જોઈ શકાતું હોવાનું અને આના આધારે આવો જ કોઈ ધર્મ તે વખતે પ્રચલિત હોવાનું અર્થાત્ માતૃપૂજા, લિંગપૂજા, વૃક્ષપૂજા વગેરેનાં મૂળ આ કાળનાં પણ હોવાનું ડૉ. હસમુખ સાંકળિયાનું તારણ છે.

સમયાંકન : હડપ્પામાંથી પ્રાપ્ત વિભિન્ન પુરાવશેષોનાં પ્રમાણ અને વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓનાં સમાન પ્રમાણોના તુલનાત્મક અધ્યયન દ્વારા આ સ્થળોનું સમયાંકન કરાયું છે. આ ઉપરાંત રેડિયો કાર્બનનો પણ પ્રયોગ કરાયેલ છે. આ બધાં પ્રમાણોના આધારે મોર્ટીમર વ્હીલરે આ સ્થળોનું સમયાંકન લગભગ 2500થી 1500 ઈ. પૂ. નિર્ધારેલ છે. તો આ પછી લોથલ, કાલીબંગા, કોટદીજી વગેરેનો કિરણોત્સર્ગ પદ્ધતિએ કોલસા ઇત્યાદિના સઘન પરીક્ષણ-અભ્યાસના આધારે ઈ. પૂ. 2400માં સિંધ અને પંજાબમાં આ સંસ્કૃતિ પૂર્ણપણે વિકસી હતી. હજી નીચેના થરો ખોદ્યા વિનાના જ પડ્યા છે એ પણ એટલું જ મહત્વનું છે. સંભવ છે કે સંપૂર્ણ ખોદકામ બાદ સમયમાં ફેરફાર પણ થાય.

હડપ્પા સંસ્કૃતિનો ઉદભવ–પ્રારંભ કઈ રીતે થયો એ જેમ નક્કી નથી તેમ તેના અંત વિશે અનિશ્ચિતતા છે. સંભવત: નદીનાં અસાધારણ પૂર, ધરતીકંપ વગેરેને આના વિનાશ–અંત માટે કારણભૂત માનવામાં આવે છે. એક અનુમાન મુજબ કોઈ વિશાળ આક્રમણના કારણે આ નાગરી-સભ્યતાનો અંત આવ્યો હોય.

હસમુખ વ્યાસ