સાલ
દ્વિદળી વર્ગમાં આવેલા ડિપ્ટરૉકાર્પેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Shorea robusta Gaertn. f. [હિં., બં. સાલ, સખુ, શાલ; મ., ગુ. સાલ, રાળ (resin); તે. ગૂગલ, ગુગ્ગીલામુ (resin); ત. કુંગિલિયામ (resin); ક. કાબ્બા (resin); મલ. મારામારમ (resin); અં. સાલ] છે. તે ખૂબ મોટું, ઉપ-પર્ણપાતી (sub-deciduous) છે અને ભાગ્યે જ તદ્દન પર્ણવિહીન હોય છે. ઉત્તર-પૂર્વીય અને મધ્ય ભારતના ભાગોમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. છાલ રાતી-બદામી અથવા ભૂખરી, લીસી કે ઊભી તિરાડોવાળી હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક, 10-30 સેમી. × 5-18 સેમી., અંડ-લંબચોરસ (ovate-oblong), ચર્મિલ અને પરિપક્વતાએ ચળકતાં હોય છે. પુષ્પો કક્ષીય કે અગ્રીય લઘુપુષ્પગુચ્છ(panicle)માં શિથિલ રીતે ગોઠવાયેલાં, પીળાં અને નાનાં હોય છે. ફળ 10 મિમી.-15 મિમી. લાંબું, આશરે 10.0 મિમી. વ્યાસવાળું, અંડાકાર, લાલ કે આછા પીળાશ પડતા લીલા રંગનું, અસ્ફોટી (indehiscent), એકબીજમય અને પાંચ, અસમાન, 5-7 સેમી. લાંબાં, પાંખ જેવાં ચપટાં દીર્ઘસ્થાયી (persistent) વજ્રપત્રો વડે ઘેરાયેલું હોય છે. બીજ અંડાકાર હોય છે અને અસમાન માંસલ બીજપત્રો ધરાવે છે.
સાલના વિતરણના મુખ્ય બે પ્રદેશો છે : (1) ગંગાનાં મેદાનોની ઉત્તરમાં અને (2) ગંગાનાં મેદાનોની દક્ષિણમાં. ઉત્તરીય પ્રદેશની પશ્ચિમની અંતિમ સીમા હિમાચલ પ્રદેશનો કાંગરા જિલ્લો છે; પરંતુ સાલનાં જંગલોનો લગભગ સળંગ પટ્ટો હરિયાણાના અંબાલા જિલ્લાથી શરૂ થઈ ઉપહિમાલયી માર્ગ અને બાહ્ય હિમાલયમાં આસામના દારંગ જિલ્લા અને ત્રિપુરા સુધી લંબાયેલો છે. કેટલીક જગાઓએ તે મેદાનોમાં અમુક અંતર સુધી વિસ્તરે છે અને બાહ્ય હિમાલયની ખીણોમાં 1,700 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. તે આસામની ગારોની ટેકરીઓ, નૉવગોંત્ર, કામરૂપ અને ખાસી તેમજ જેન્શિયા ટેકરીઓમાં પણ થાય છે. દક્ષિણમાં સાલનું વિતરણ પશ્ચિમ બંગાળના પશ્ચિમી ભાગોથી શરૂ થઈ, ઓરિસામાં થઈ દક્ષિણમાં વિશાખાપટ્ટનમ્ અને પૂર્વીય અને દક્ષિણી મધ્ય પ્રદેશનો મોટો ભાગ અને પશ્ચિમમાં છિંદવાડા અને હોશંગાબાદ જિલ્લા સુધી થયેલું છે.
આકૃતિ 1 : સાલ(Shorea robusta)ની પુષ્પ સહિતની શાખા
સરેરાશ પરિસ્થિતિમાં સાલ 18 મી.-30 મી.ની ઊંચાઈ અને 1.8 મી.-2.1 મી.નો ઘેરાવો પ્રાપ્ત કરે છે. અત્યંત અનુકૂળ પરિસ્થિતિમાં તેની ઊંચાઈ 45 મી. જેટલી અને ઘેરાવો 3.6 મી. કે તેથી વધારે જોવા મળે છે. પ્રતિકૂળ સંજોગોમાં અને નીચલી ગુણવત્તાવાળાં જંગલોમાં તેની વૃદ્ધિ કુંઠિત થાય છે અને તેની ઊંચાઈ 9 મી.12 મી. અને ઘેરાવો 0.9 મી.1.2 મી. જેટલો હોય છે. જંગલમાં અનુકૂળ પરિસ્થિતિમાં ઊગતાં સાલનાં વૃક્ષો સ્પષ્ટ અને સીધું મુખ્ય પ્રકાંડ (bole) ધરાવે છે; 45 મી. ઊંચાં વૃક્ષોમાં થડની લંબાઈ 18 મી.24 મી. હોય છે.
આબોહવા અને મૃદા : તે વિવિધ પ્રકારની આબોહવામાં થાય છે. પશ્ચિમી ઉપ-હિમાલયી માર્ગની ખીણોમાં અને મધ્ય ભારતના ભાગોમાં તે હિમને કારણે ઘણું સહન કરે છે. વિતરણના ઉત્તરીય પ્રદેશના પૂર્વીય ભાગોમાં તે ભેજવાળી છતાં એકસરખી આબોહવામાં થાય છે. આસામમાં તેનો વિસ્તાર મુખ્યત્વે ભેજને કારણે મર્યાદિત બને છે; જે ભૂમિગત-વૃદ્ધિ (undergrowth) વિપુલ પ્રમાણમાં પ્રેરે છે; તેથી સાલના અંકુરોના સ્થાપન માટે મૃદા પ્રતિકૂળ બને છે. મધ્ય ભારતમાં તે શુષ્ક વિસ્તારોની હદ સુધી જ જોવા મળે છે, પરંતુ શુષ્ક આબોહવા ધરાવતા પ્રદેશમાં તે પ્રવેશતું નથી. સમગ્રપણે સાલના વિતરણને ધ્યાનમાં લેતાં મહત્તમ છાયા-તાપમાન 44° સે.થી 47° સે. અને લઘુતમ છાયા-તાપમાન – 1° સે.થી 7° સે. સુધીનું હોય છે. સામાન્ય વાર્ષિક વરસાદ 100 સેમી.થી 450 સેમી. જેટલો જરૂરી હોય છે.
સાલની વૃદ્ધિ માટે સૌથી અનુકૂળ મૃદા સારા નિતારવાળી, ભેજયુક્ત ઊંડી રેતાળ ગોરાડુ છે. તેની અવમૃદા (sub-soil) જલનિકાસ (drainage) માટે સારી હોવી જોઈએ. તેથી તે ફળદ્રૂપ છિદ્રાળુ ગોરાડુ મૃદાના ઊંડા થરની નીચે ગોલાશ્મ (boulder) નિક્ષેપ ધરાવતી ભૂમિમાં સારી રીતે થાય છે. અવમૃદામાં વધારે પડતી માટી (clay) હોય તો સાલની વૃદ્ધિ કુંઠિત થાય છે.
સાલનાં જંગલો : ભારતીય વૃક્ષોમાં સાલ સૌથી વધારે પ્રમાણમાં જૂથ બનાવતી વૃક્ષ-જાતિઓ પૈકીની એક જાતિ છે. અનુકૂળ પરિસ્થિતિમાં તે સમૂહોમાં પુનર્જનન પામી વધતે-ઓછે અંશે સમ-આયુ (even-aged) પાક તરીકે વિકસે છે. આવાં જંગલો સપાટ અથવા ધીરે રહીને સપાટ ભૂમિમાં પરિણમતા ઢોળાવો(જ્યાં પહેલાં વૃક્ષની વૃદ્ધિનો અભાવ હતો.)ની લાક્ષણિકતા છે. વળી, સાલ ઘણી વાર વિષમ-આયુ (uneven-aged) પાક-સ્વરૂપે અથવા વધતે-ઓછે અંશે અન્ય જાતિઓ સાથે વિખરાયેલી અવસ્થામાં પણ જોવા મળે છે. આ પ્રકારની સ્થિતિ પહાડી કે ખંડિત પ્રદેશ(broken country)માં જોવા મળે છે; જ્યાં પ્રજનન અને વૃદ્ધિ માટેની પરિસ્થિતિ સ્થળ મુજબ બદલાય છે. સાલની સહચારી (companion) જાતિઓની સંખ્યા પુષ્કળ હોય છે અને જુદાં જુદાં સ્થળોએ જુદી જુદી હોય છે. કેટલાંક સ્થળોએ તે Dendrocalamus strictus જેવી વાંસની જાતિઓ સાથે મિશ્ર થાય છે.
સાલનાં જંગલોને શુષ્ક અને ભેજવાળાં એમ બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે. આ બંને પ્રકારો વચ્ચે વિવિધ ક્રમિકતા જોવા મળે છે. શુષ્ક જંગલો શુષ્ક અને ઘણી વાર ખડકાળ પ્રદેશ, ખુલ્લી કે કઠોર ભૂમિ અને છીછરી મૃદા તેની લાક્ષણિકતા છે. આવાં જંગલો મધ્ય ભારતમાં અને ઉત્તરીય પ્રદેશના પશ્ચિમી વિસ્તારમાં જોવા મળે છે. આવાં જંગલોમાં સાલની સામાન્ય સહચારી જાતિઓમાં ચારોળી (Buchanania latifolia) અને કેટલાંક સ્થળોએ -ટીમરુ Diospyros tomentosa અને ટીમરુ – D. melanoxylonનો સમાવેશ થાય છે. ભેજવાળાં સાલનાં જંગલો આસામ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે; જ્યાં અનેક સદાહરિત સહચારી-જાતિઓ થાય છે. મધ્યમ પ્રકારનાં જંગલો શુષ્કને બદલે ભેજવાળાં હોય છે. આવાં જંગલો ઉત્તર પ્રદેશ અને છોટા નાગપુરની ખીણોમાં થાય છે. સાલનાં જંગલો ભારતમાં સૌથી વધારે વિસ્તરેલાં છે અને તે કુલ જંગલવિસ્તારનો લગભગ 13.3 % ભાગ રોકે છે.
વનસંવર્ધિત (silvicultural) લક્ષણો : સાલ પ્રકાશાપેક્ષી (light-demander) હોવા છતાં મધ્યમસરના છાયા હેઠળ પણ જીવવાની ક્ષમતા ધરાવે છે. પ્રારંભિક તબક્કામાં તેનો સૌથી વધારે વિકાસ પૂર્ણ શિરોપરી (overhead) પ્રકાશ દ્વારા થાય છે; પરંતુ હિમ અને શુષ્કતા સામે તેને રક્ષણ મળવું જરૂરી છે. સામાન્યત: સાલ ઘણી લંબાઈ ધરાવતું મજબૂત સોટીમૂળ ઉત્પન્ન કરે છે, જે નીચેના ભેજવાળા સ્તર સુધી પહોંચે છે. તેથી તેની પાણીની જરૂરિયાત પૂરી પડે છે. ચોમાસું નિષ્ફળ જતાં ઉદ્ભવતી શુષ્કતાથી અવમૃદાનું પાણીનું સ્તર નીચે ઊતરે છે અને તે સ્તરથી ઉપરના ભાગમાં ઉત્પન્ન થતી શુષ્કતા સાલનાં વૃક્ષોને ઘણું નુકસાન પહોંચાડે છે. અંતિમ પરિસ્થિતિમાં વૃક્ષો સમૂહમાં નાશ પામે છે. સાલ તેના સહચારીઓ કરતાં હિમ સામે સારી રીતે ટકે છે; પરંતુ તૃણ-વિસ્તારોમાં ભારે હિમને કારણે સાલને ઈજાઓ પહોંચે છે; રોપાઓ અને ઝાડીવન-પ્રરોહો (coppice shoots) નાશ પામે છે. ભારે હિમ અને અતિશય ઠંડા પવનો એધા (cambium) અને કાષ્ઠના જથ્થા અને તેની ગુણવત્તા પર અસર કરે છે.
આકૃતિ 2 : સાલનાં પરિપક્વ વૃક્ષો
સાલ તેના પ્રદેશની સૌથી અગ્નિરોધક (fire-resistant) જાતિ ગણાય છે અને દગ્ધ સવાનામાં, જ્યાં મોટાભાગની અન્ય વનસ્પતિઓ થઈ શકતી નથી ત્યાં તે સ્થાપિત થઈ શકે છે. અગ્નિને કારણે થયેલી ઈજાઓ સામે તે પુન:પ્રાપ્તિ(recovery)ની નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે. જોકે તીવ્ર શુષ્કતા પછી અગ્નિને કારણે થતું નુકસાન વધારે હોય છે. તેનું મૂળતંત્ર ઊંડું હોવાથી કુદરતી તોફાનો સામે ટકી શકે છે. ખરાબ નિતારવાળી માટી ધરાવતી ભૂમિમાં સોટીમૂળ કેટલીક વાર કોહવાય છે, તેથી તેને તોફાનોથી નુકસાન થાય છે. પ્રારંભિક અવસ્થામાં સૂવર અને શાહુડી તરુણ વનસ્પતિઓને ઉખાડી નાખે છે. તે જ પ્રમાણે હરણ અને ઢોર પણ ખૂબ નુકસાન પહોંચાડે છે. અતિશય ચરાણથી અને મૃદા કઠણ થવાથી નૈસર્ગિક પુનર્જનન થતું અટકી જાય છે. વન્ય હાથીઓ પણ નાનાં વૃક્ષોના નીચેના ભાગમાંથી છાલ ઉખાડી નાખે છે.
પુનર્જનન (regeneration) : સાલનું નૈસર્ગિક અને કૃત્રિમ પુનર્જનન વિવિધ, સ્વતંત્ર અને પરિવર્તી (variable) પરિબળો દ્વારા થાય છે. તેનાં ફળો (160-190/કિગ્રા.) ચોમાસાની શરૂઆતમાં જૂન મહિનામાં પાકે છે. અનુકૂળ પરિસ્થિતિમાં બીજ વૃક્ષ પરથી પડ્યા પછી તરત જ અંકુરણ પામે છે. કેટલીક વાર તો તે વૃક્ષ પર હોય અને અંકુરણ પામે છે. તાજાં અને સ્વસ્થ બીજની ફળદ્રૂપતા પુષ્કળ પ્રમાણમાં હોવા છતાં તેની જીવનક્ષમતા (viability) ટૂંકી હોય છે અને ભાગ્યે જ બે અઠવાડિયાં ટકે છે. નૈસર્ગિક પુનર્જનન માટેનું સૌથી અગત્યનું પરિબળ બીજ પડવાનો અને ચોમાસું શરૂ થવાના સમય વચ્ચેનો ગાળો છે. સમયસરનો વરસાદ અને અન્ય અનુકૂળ પરિબળોની હાજરીમાં સાલનું નૈસર્ગિક પુનર્જનન સારું થાય છે. માતૃવૃક્ષોની વચ્ચે 27 મી.-36 મી.ના અંતરે અને વરસાદ દરમિયાન વારંવાર નીંદણને લીધે બીજાંકુરોને સ્થાપિત થવામાં મદદ થાય છે. ઘણા દિવસો સુધી વરસાદ ન પડે તો શુષ્કતા-મૃત્યુદર (mortality) વધે છે. ખરાબ વાતન(aeration)ને લીધે ક્ષતિગ્રસ્ત મૃદાનું પરિબળ બીજાંકુરોના પશ્ર્ચક્ષય (die-back) માટે જવાબદાર બને છે.
સાલના કૃત્રિમ પુનર્જનનને હવે વધારે મહત્ત્વ આપવામાં આવે છે. આ માટે સીધી વાવણી અને આરોપણ-પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે કોઈ પણ પદ્ધતિમાં જમીન પર પડેલાં તાજાં અને સ્વસ્થ બીજ પસંદ કરાય છે અને તરત જ વાવવામાં આવે છે. ખેતરમાં પાકોની સાથે હરોળ-વાવણી(line-sowing)થી અથવા ધરુવાડિયામાં વાવણીથી સંતોષકારક પરિણામો મળ્યાં છે. પ્રથમ વરસાદ દરમિયાન ધરુવાડિયામાં ઉછેરેલાં બીજાંકુરો અથવા 23 વર્ષના રોપાઓનાં લગભગ 45 સેમી. લાંબાં સોટીમૂળ અને 2.5 સેમી. લાંબા પ્રરોહનું કૃન્તન (pruning) કરી વરસાદમાં જેમ બને તેમ જલદી રોપવાથી સારી સફળતા પ્રાપ્ત થાય છે. હવા-દાબ (air-layering) પણ સફળ પદ્ધતિ જણાઈ છે. કટકારોપણ(cutting)-પદ્ધતિ દ્વારા દૂબળા છોડ મળે છે.
રોગો અને જીવાત : સાલને નુકસાન પહોંચાડતી ફૂગની 150થી વધારે જાતિઓ નોંધાઈ છે. Daldinia, Fomes, Ganoderma, Hexagonia, Lentinus, Lenzites, Polyporus, Polystichus, Stereum, Trametes વગેરેની જાતિઓ ઘણા પ્રકારના સડા (rot) માટે જવાબદાર છે. સાલના સ્તંભોને ફૂગ દ્વારા ઘણું નુકસાન પહોંચે છે. Fomes lignosus અને Trametes cubensis દ્વારા બદામી ઘન સડો (brown cubical rot), Fomes lividus દ્વારા સફેદ રેસાનો સડો, Polystichus steinheilianus દ્વારા સફેદ પોચો સડો, Lentinus subrudus દ્વારા રસકાષ્ઠ અને અંત:કાષ્ઠનો સફેદ પોચો સડો, Stereum hirsutum દ્વારા કાષ્ઠના છોલનો સફેદ પોચો સડો અને Polyporus ostreoformis દ્વારા બદામી રેસાનો સડો થાય છે.
ઉપયોગમાં લેવાયેલ સાલના અંત:કાષ્ઠનો સડો મોટેભાગે જીવંત વૃક્ષમાં વિવિધ અવસ્થાએ થતા ચેપને કારણે થાય છે. Fomes caryophylli અને Hymenochacte rubiginosa-થી સાલ અશક્ત બને છે. Hypoxylon mediterraneum var. microspora મૃત્યુ પામી રહેલ અને મૃત્યુ પામેલ સાલ સાથે સંકળાયેલી ફૂગ છે. આગ અને હિમ જેવાં કેટલાંક પરિબળો આ ફૂગને સાલ પર ચેપ લગાડવા માટેની પૂર્વાનુકૂલતા (predisposition) કરી આપે છે.
સાલ પર આક્રમણ કરતી જીવાતોમાં વિપત્રકો (defoliators) અને વેધકો(borers)નો સમાવેશ થાય છે. વિપત્રકોમાં Lymantria mathura અને Maurilia iconica ઉત્તર ભારત અને પશ્ચિમ બંગાળમાં ખૂબ નુકસાન પહોંચાડે છે. રસકાષ્ઠ અને અંત:કાષ્ઠને મુખ્ય નુકસાન Hoplocerambyx spiricornis અને Aeolesthes holocericea (બંને કીટકો Cerambycidae કુળના સભ્યો છે.) દ્વારા પહોંચે છે.
કાષ્ઠના વેધકો Anthribidae, Curculionidae, Bostrychidae, Platypodidae અને Scolytidae કુળના સભ્યો છે. કાષ્ઠ પર દરિયાઈ વેધકો પણ આક્રમણ કરે છે. છાલ પર Arbolidae, Coccidae અને Termatidae કુળનાં કીટકો આક્રમણ કરે છે. Hoplocerambyx spinicornis નામના વેધકના આક્રમણનું ચિહ્ન રાળનો પુષ્કળ પ્રમાણમાં થતો સ્રાવ છે. સાલના સ્તંભને નુકસાન કરનારાં મુખ્ય વેધકો Bostrychidae, Platypodidae અને Scolytidae કુળનાં છે. કેટલાંક મૃદુકાયો (molluscs) પણ કાષ્ઠ-વેધકો તરીકે વર્તે છે.
વિવિધ વિસ્તારોમાં થતાં સાલનાં વૃક્ષો પર લૉરેન્થેસી કુળની કેટલીક પરોપજીવી જાતિઓ; જેમ કે, Dendrophthoe falcata and Macrosolen cochinchinensis આક્રમણ કરે છે. તે માટે અસરગ્રસ્ત શાખાઓના કર્તનની ભલામણ કરવામાં આવે છે. શાખાકર્તન (lopping) ડિસેમ્બરના અંત સુધીમાં પૂરું કરી લેવું જરૂરી છે; કેમ કે, તે સમયે પરોપજીવીનાં ફળ પરિપક્વ થાય છે અને તેમનું પક્ષીઓ દ્વારા વિકિરણ થાય છે.
વૃદ્ધિ અને ઉત્પાદન : સાલના બહોળા વિતરણને કારણે તેની વૃદ્ધિનો દર દરેક સ્થળે બદલાતો રહે છે. નમૂનાના પ્લૉટ અને ઉપવનો(plantations)માં ઘણાં વર્ષો સુધી વૃક્ષની ઊંચાઈ અને ઘેરાવાનાં માપ લેવામાં આવ્યાં છે. તેના પરથી સામાન્ય તારણો આ પ્રમાણે કાઢવામાં આવ્યાં છે : (i) કૃત્રિમ રીતે ઉછેરેલાં સાલનાં વૃક્ષોનો વૃદ્ધિનો દર નૈસર્ગિક પાક કરતાં તુલનામાં વધારે ઝડપી હોય છે. (ii) 35 વર્ષ સુધી સાલના વૃક્ષની ઊંચાઈમાં થતો વૃદ્ધિનો દર ઝડપી રહે છે. તેના પછી વૃદ્ધિનો દર ઘટે છે. જાડાઈમાં થતી વૃદ્ધિનો દર 50 વર્ષની ઉંમર સુધી વધતો જ રહે છે, પરંતુ તે પછી જાડાઈમાં થતી વૃદ્ધિનો દર નૈસર્ગિક પાક જેટલો જ રહે છે. (iii) સારી ગુણવત્તા ધરાવતા સાલનાં જંગલોમાં 80 વર્ષ સુધી તે સરેરાશ 33 મી.ની ઊંચાઈ અને 40 સેમી. જેટલો વ્યાસ ધારણ કરે છે. વિરલન(thinning)ની માત્રા વધારવાથી તેનો વૃદ્ધિનો દર વધે છે.
ચાર જુદી જુદી ગુણવત્તા ધરાવતાં સ્થળોએ સમાયુ સાલના પાકમાં જોવા મળતી વૃદ્ધિ અને ઉત્પાદન સારણી 1માં આપવામાં આવ્યાં છે.
સારણી 1 : ચાર જુદી જુદી ગુણવત્તા ધરાવતાં સ્થળોએ સમાયુ સાલના પાકમાં જોવા મળતી વૃદ્ધિ અને ઉત્પાદન
(I, II, III & IV – સ્થાનના પાકો) |
||||||||||||||||
ઉંમર |
સરેરાશ ઊંચાઈ (મી.) |
સરેરાશ વ્યાસ (સેમી.) |
પ્રતિ હેક્ટર વૃક્ષની સંખ્યા |
પ્રતિ હેક્ટર કાષ્ઠનું ઉત્પાદન |
||||||||||||
![]() I II III IV |
I II III IV |
![]() I II III IV |
I II III IV |
|||||||||||||
20 | 14.93 | 12.80 | 10.05 | 7.01 | 14.22 | 12.19 | 10.16 | 7.62 | 712 | 781 | 914 | 1136 | 1.39 | – | – | – |
40 | 22.86 | 18.89 | 14.93 | 11.27 | 24.63 | 21.08 | 17.52 | 13.97 | 420 | 489 | 553 | 640 | 92.26 | 51.72 | 18.87 | 3.49 |
60 | 28.95 | 23.46 | 18.89 | 14.32 | 33.52 | 28.95 | 24.38 | 19.81 | 287 | 341 | 378 | 403 | 272.61 | 167.76 | 79.68 | 30.75 |
80 | 33.52 | 27.43 | 21.64 | 16.45 | 41.14 | 36.06 | 30.73 | 25.14 | 200 | 235 | 252 | 262 | 469.72 | 306.16 | 168.45 | 75.49 |
100 | 36.88 | 30.17 | 23.77 | 17.67 | 48.26 | 42.67 | 36.32 | 29.46 | 148 | 170 | 183 | 193 | 662.65 | 452.25 | 252.33 | 124.42 |
120 | 39.62 | 32.30 | 25.29 | 18.28 | 54.86 | 48.51 | 41.14 | 33.27 | 116 | 131 | 141 | 151 | 832.50 | 581.56 | 325.73 | 164.26 |
140 | 41.75 | 34.13 | 26.51 | 18.89 | 62.48 | 54.10 | 45.46 | 36.32 | 94 | 106 | 116 | 126 | 963.22 | 683.62 | 387.24 | 197.81 |
150 | 42.36 | 34.74 | 27.12 | 19.20 | 64.26 | 56.64 | 47.49 | 37.84 | 84 | 96 | 106 | 116 | 1,015.64 | 723.46 | 414.50 | 211.79 |
વૃદ્ધિનું સમાન વલણ ધરાવતાં બધાં સાલના પાકોનું ચાર અનુક્રમિક ગુણવત્તા ધરાવતાં સ્થળોમાં વર્ગીકરણ કરવામાં આવે છે. પર્ણસમૂહના બંધારણની દૃષ્ટિએ આ ચાર વર્ગો સાતત્ય ધરાવે છે. સારણી 2માં કૃત્રિમ રીતે ઉછેરેલા ઉપવનમાં સાલની વૃદ્ધિ અને ઉત્પાદન દર્શાવવામાં આવ્યાં છે. આ સારણી પરથી એવું ફલિત થાય છે કે કૃત્રિમ રીતે ઉછેરેલા ઉપવનનો વૃદ્ધિનો દર અને ઉત્પાદન સ્થળ-Iના નૈસર્ગિક પાક કરતાં વધારે છે.
સારણી 2 : કૃત્રિમ રીતે ઊછરેલાં સાલના ઉપવનનો
વૃદ્ધિનો દર અને ઉત્પાદન
ઉંમર
વર્ષ |
સરેરાશ
ઊંચાઈ (મી.) |
સરેરાશ
વ્યાસ (સેમી.) |
પ્રતિ હૅક્ટર
વૃક્ષની સંખ્યા |
પ્રતિ હૅક્ટર
કાષ્ઠનું ઉત્પાદન (ઘન મી.) |
10 | 11.3 | 2.4 | 1,757 | 0 |
20 | 20.7 | 19.8 | 544 | 33.6 |
40 | 31.3 | 33.8 | 257 | 179.1 |
60 | 34.7 | 43.4 | 173 | 273.6 |
65 | 35.4 | 44.7 | 161 | 293.9 |
ઇમારતી કાષ્ઠ : ભારતમાં સાલનું કાષ્ઠ સૌથી વધારે વપરાશ ધરાવે છે. તે ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતમાં બાંધકામ અને ઘરગથ્થુ કાષ્ઠમાં સૌથી વધુ માગ ધરાવતા કાષ્ઠ પૈકીનું એક છે. સામર્થ્ય અને ટકાઉપણાના સંદર્ભમાં તેનાં સ્પર્ધક કાષ્ઠ બહુ ઓછાં છે.
તાજું હોય ત્યારે રસકાષ્ઠ આછું બદામી સફેદ હોય છે, પરંતુ જો અરક્ષિત છોડી દેવામાં આવે તો ફૂગના ચેપને કારણે લગભગ કાળું બને છે. અંત:કાષ્ઠ પ્રથમ વાર ખુલ્લામાં આવતાં આછું બદામી અને સમય જતાં ઘેરો રાતો બદામી રંગ ધારણ કરે છે. રસકાષ્ઠ અને અંત:કાષ્ઠ વચ્ચેનો રંગ એકસરખો અને સ્પષ્ટ હોતો નથી. ખાસ કરીને રસકાષ્ઠનું અંત:કાષ્ઠમાં રૂપાંતર થતું હોય ત્યારે આ સ્થિતિ જોવા મળે છે. આ સંક્રામી (transitional) વિભાગને કેટલીક વાર ‘કચ્ચા-પક્કા’ અંત:કાષ્ઠ કહે છે, જેથી વાસ્તવિક અંત:કાષ્ઠ અલગ તારવી શકાય. ‘કચ્ચા-પક્કા’ અંત:કાષ્ઠ રસકાષ્ઠની જેમ ભારે ટાયલોસિસ (tylosis) હોતા નથી. સાલનું કાષ્ઠ ઝાંખું, તદ્દન લીસું, લાક્ષણિક પહોળા પટ્ટાઓમાં અંતર્ગ્રથિત (interlocked) કણિકાઓવાળું, મધ્યમથી જાડા ગઠનવાળું, અત્યંત કઠોર અને ભારેથી અતિ ભારે (વિ. ગુ. 0.68-0.82; વજન 801-903 કિગ્રા./ઘન મી.) હોય છે.
સાલનું સંશોષણ (seasoning) ખૂબ કઠિન હોય છે. તે બહુ ધીમું સુકાય છે; અને તે પ્રક્રિયા દરમિયાન ચિરાય છે, વળી જાય છે અને સપાટીએથી તિરાડો પડે છે. વધુ પડતા ચીરાઓ પડતાં લાકડાના જાડા ટુકડાઓ બને છે. રક્ષિત સ્થાનો પર આવરણ હેઠળ ધીમું સંશોષણ સારાં પરિણામો આપે છે. પાટડાઓનું સંશોષણ અને ત્યાર પછી રૂપાંતરણ (conversion) અને ખુલ્લી થપ્પીઓ બનાવવાથી પણ સારાં પરિણામો મળે છે. કેટલીક વાર લીલું ઇમારતી કાષ્ઠ બાંધકામના હેતુઓ માટે વપરાય છે, કારણ કે સાલના બહારના સ્તરો ઝડપથી ભેજ ગુમાવે છે અને ભેજવાળી કે વરસાદવાળી સ્થિતિમાં વાતાવરણમાંથી ઝડપથી ભેજનું પુન:શોષણ કરે છે. તેનું ક્લિન-સંશોષણ 24-30 દિવસમાં થાય છે. વળી આરંભિક અને અંતિમ બાષ્પન (steaming) ઉપરાંત, નિશ્ચિત સમયાંતરે વચગાળાનાં બાષ્પન (દરેક વખતે 2-4 કલાક માટે 55° સે./100 % સાપેક્ષ ભેજ) આપવામાં આવે છે.
સાલનું અંત:કાષ્ઠ અત્યંત ટકાઉ હોય છે. તેનું ખુલ્લી પરિસ્થિતિમાં (જમીનની ઉપર, જમીનમાં અને પાણીમાં) લાંબું જીવન હોય છે. ગ્રેવયાર્ડ કસોટીઓ દર્શાવે છે કે કાષ્ઠ 20 વર્ષ પછી પણ સારી સ્થિતિમાં રહે છે. રેલવે-સ્લીપરોનું સામાન્ય જીવન 16થી 18 વર્ષનું હોય છે. ઊંચી ગુણવત્તા ધરાવતા સાલનું ભોંયતળિયું કે સ્તંભ 50 વર્ષ પછી પણ સારી સ્થિતિમાં રહે છે. સાલના સ્તંભને યોગ્ય રાસાયણિક ચિકિત્સા આપવામાં આવે તો તેનું 25-40 વર્ષનું જીવન શક્ય છે.
અંત:કાષ્ઠ ખૂબ ઉચ્ચતાપસહ (refractory) હોવાથી બાજુમાંથી કે છેડેથી પરિરક્ષક(preservative)નો પ્રવેશ થઈ શકતો નથી. જલવાહિનીઓમાં ટાયલોસિસનું નિર્માણ પુષ્કળ પ્રમાણમાં થતું હોવાથી અંત:કાષ્ઠની ચિકિત્સા મુશ્કેલ છે. તેની તુલનામાં રસકાષ્ઠની ચિકિત્સા સરળ હોય છે. સાલના થાંભલાઓની વિદ્યુત સંચારણ લાઇન(electric transmission)માં પુષ્કળ માગ હોય છે. તે માટે થાંભલાઓને ‘ખુલ્લી ટાંકી-પ્રક્રિયા’ (open tank process) દ્વારા ચિકિત્સા આપવામાં આવે છે; જેના દ્વારા રસકાષ્ઠમાં રસાયણનો પૂર્ણ પ્રવેશ થાય છે. લૉરી-પ્રક્રિયામાં માત્ર કર્બુરિત (mottled) પ્રવેશ થાય છે. સામાન્ય રીતે અંત:કાષ્ઠ 48 કિગ્રા. તેલ/ઘન મી. સપાટી-ચિકિત્સા ગ્રહણ કરે છે; જ્યારે રસકાષ્ઠ 192 કિગ્રા. તેલ/ઘન મી. ગ્રહણ કરે છે.
સાલના કાષ્ઠ પર રેસાઓના ભારે અંતર્ગ્રથનને કારણે વહેરવાનું કે ખરાદીકામ સરળ નથી. લીલા કાષ્ઠ પર સૂકા કાષ્ઠ કરતાં ઓછી મુશ્કેલી પડે છે.
સાગના કાષ્ઠના ગુણધર્મોના સંદર્ભમાં સાલના કાષ્ઠની તુલનાત્મક ઉપયુક્તતા (suitability) ટકાવારીમાં આ પ્રમાણે છે : વજન 120-130, પાટડાનું સામર્થ્ય 105-120, પાટડાની દુર્નમ્યતા (stiffness) 110-130, સ્તંભની ઉપયુક્તતા 105-120, આઘાત-અવરોધકક્ષમતા (shock-resisting ability) 115-140, આકારની જાળવણી 55-60, અપરૂપણ (shear) 110-150 અને કઠોરતા (hardness) 120-170.
સાલનો સૌથી વધારે પુરવઠો ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આસામ દ્વારા પૂરો પડે છે. સાલના ઘણા ઉપયોગો છે. તે સૌથી સારા સ્લીપર માટે ભારતમાં દેવદાર અને સાગની તુલના કરે છે. ભારતમાં રેલવેના 50 % જેટલાં કાષ્ઠના સ્લીપર સાલમાંથી બનાવવામાં આવે છે. તેની બેલી અને સ્તંભ સ્વરૂપે ઘણી માગ છે. પરિરક્ષણની ચિકિત્સા આપ્યા પછી વિદ્યુત, ટેલિગ્રાફ અને ટેલિફોન લાઇનના થાંભલા તરીકે તે ઉપયોગમાં લેવામાં આવે છે. જોકે સાલના કાષ્ઠનો ઉપયોગ બાંધકામ અને ઘરગથ્થુ ઇમારતી કાષ્ઠ તરીકે સૌથી વધારે થાય છે. તેનો ઉપયોગ પાટડા, નિશ્ચિત કદના કાષ્ઠના ટુકડાઓ (scantlings), તરાપાઓ અને ભોંયતળિયા માટે થાય છે. તે ખાણના કામમાં; ઇમારતના પાયામાં દાખલ કરાતા વજનદાર થાંભલાઓ; પુલ, હોડી, રેલવેના ડબ્બાઓ અને વૅગન બનાવવામાં; પૈડાંના આરાઓ, પરિઘ અને કેન્દ્ર બનાવવામાં; કૃષિનાં ઓજારો, ઓજારના હાથાઓ, તંબુઓના ખીલાઓ, પ્રવાહી સંગ્રહવાનાં પીપ વગેરે બનાવવામાં ઉપયોગી છે. તે બળતણ માટેનું ખૂબ સારું કાષ્ઠ છે. કાષ્ઠનું ઉષ્મીયમાન (calorific value) : રસકાષ્ઠ 5,095 કૅલરી, 9,173 બી.ટી.યુ.; અંત:કાષ્ઠ 5,433 કૅલરી; 9,779 બી.ટી.યુ.. કાષ્ઠ બળતી વખતે ગુંદરની નલિકાઓને કારણે તણખા ઉત્પન્ન કરે છે. 100 ગ્રા. કાષ્ઠનું વિનાશક નિસ્યંદન કરતાં કોલસો 37.20 ગ્રા., એસેટિક ઍસિડ 2.5 ગ્રા., ફૉર્મિક ઍસિડ 0.27 ગ્રા., મિથાઇલ આલ્કોહૉલ 0.76 ગ્રા., દ્રાવ્ય ડામર 4.31 ગ્રા. અને પાયરોલિગ્નિનયુક્ત જલ 28.55 ઘ. સેમી. તેમજ વાયુ 12.55 ઘ. સેમી. ઉત્પન્ન થાય છે. સાલનો માવો વાંસના માવા સાથે મિશ્ર કરી તેનો કાગળ બનાવવામાં ઉપયોગ થાય છે. કાષ્ઠનું એક રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : પાણી 12.5 %, a-સૅલ્યુલોઝ 44.04 %, લિગ્નિન 32.44 %, પૅન્ટોસન 17.50 % અને ભસ્મ 0.53 %. સાલના અંત:કાષ્ઠમાં હોપિએફિનૉલ હોય છે. અંત:કાષ્ઠના નિષ્કર્ષકો- (extractives)માંથી લ્યુકોઍન્થોસાયનિડિન, બે ટ્રાઇટર્પેનૉઇડ (C30H48O5રH2O), એક તટસ્થ સંયોજન, એક ટર્પિન આલ્કોહૉલ અને કેટલીક મીણયુક્ત અશુદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
છાલ : પાટડાના રૂપાંતરણ દરમિયાન સાલની છાલ વિપુલ જથ્થામાં પ્રાપ્ત થાય છે. 2.7 મી.થી 3.0 મી.નો ઘેરાવો ધરાવતા મોટા પાટડામાંથી 13 % જેટલી અને 30 સેમી.થી 40 સેમી. ઘેરાવો ધરાવતા પાટડામાંથી લગભગ 38 % છાલ મળે છે. પહેલાં કેટલાંક સ્થળોએ બળતણ તરીકે ઉપયોગ થતો હતો. સાલની છાલ પર્ણો અને શાખાઓ સહિત ચર્મશોધન-દ્રવ્ય તરીકે વપરાય છે. તેના વિવિધ ભાગોમાં ટેનિન-દ્રવ્ય આ પ્રમાણે છે : છાલ 7-12 %, કોમળ પર્ણો 20 %, શાખાઓ અને પર્ણો 22 %. છાલનો છંટકાવ-શુષ્ક (spray-dried) જલીય નિષ્કર્ષ 39.6 % ટેનિન ધરાવે છે અને ટેનિન-બિનટેનિન ગુણોત્તર 0.73 જેટલો હોય છે. નિષ્કર્ષ આછા લાલ રંગનો હોય છે અને ટેનિન પાયરોગેલોલ પ્રકારનું હોય છે. નિષ્કર્ષનો સસ્તા ચર્મશોધનના દ્રવ્ય તરીકે કે અન્ય ચર્મશોધન દ્રવ્યો સાથે મિશ્ર સ્વરૂપમાં ઉપયોગ થાય છે. વિરંજન (bleaching) પછી તે ચર્મપરિષ્કાર શાળા(tannery)માં ઉપયોગમાં લેવાય છે. છાલમાંથી ઑલિયેનોલિક ઍસિડ પણ અલગ કરવામાં આવે છે.
છાલના નિષ્કર્ષ પછી રહેલ અવશેષનું એક રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : પાણી 13.46 %, લિગ્નિન 25.8 %, પૅન્ટોસન 15.6 %, ફરફ્યુરાલ 9.1 %, હોલોસૅલ્યુલોઝ 52.19 % અને ભસ્મ 5.97 %. તે બૉર્ડ અને સૅલ્યુલોઝ અલગ કરવા માટે વપરાય છે. તેના અવશેષમાં વહેર ઉમેરીને બનાવાતાં બૉર્ડ મજબૂત બને છે. ફિનૉલિક પ્લાસ્ટિકમાં 150° સે.200° સે. તાપમાને સાલની છાલ પૂરક (filler) તરીકે વાપરતાં સારાં પરિણામો મળ્યાં છે. સાલના ફૂગ વડે લાગેલા ચેપવાળા કાષ્ઠના વહેરમાંથી પણ બૉર્ડ અને પ્લાસ્ટિક બને છે; જે ઇચ્છિત સામર્થ્ય અને જલરોધી ગુણધર્મો ધરાવે છે. અવશેષમાંથી આશરે 30 % જેટલો સારા ચળકાટવાળો વિરંજિત સૅલ્યુલોઝ પ્રાપ્ત થાય છે. વિરંજિત સૅલ્યુલોઝ 81.2 % જેટલો a-સૅલ્યુલોઝ ધરાવે છે. તેમાંથી આછો ભૂખરો, કેટલેક અંશે કણિકામય સૅલ્યુલોઝ-ગુંદર બનાવાય છે; જે વ્યાપારિક ગુંદરની સાથે તુલના કરે છે. અવશેષમાંથી પ્રાપ્ત સૅલ્યુલોઝ(રેસાની લંબાઈ, 1.0થી 1.55 મિમી.)માંથી વીંટાળવાના કાગળ બનાવવામાં આવે છે.
રાળ (resin) અને તેલ : સાલના થડને ચીરો મૂકતાં ઓલિયોરેઝિનનો સ્રાવ થાય છે. તેને ‘સાલ ડામર’ કે ‘બંગાળ ડામર’ (લાલ ધૂના, રાળ, ધૂપ, ગૂગળ) કહે છે. એક વૃક્ષ દ્વારા વાર્ષિક 4થી 5 કિગ્રા. રાળ ઉત્પન્ન થાય છે. નિષ્કાસન માટેની પદ્ધતિમાં જમીનથી 90-120 સેમી. ઊંચે 3-5 સાંકડી પટ્ટીના આકારે કાપ મૂકવામાં આવે છે. લગભગ 12 દિવસમાં આ ખાંચો રાળથી ભરાઈ જાય છે; જે સફેદ રંગનું પ્રવાહી હોય છે અને સુકાતાં બદામી રંગનું બને છે. ખાંચનાં પોલાણોમાંથી આ રાળ એકત્રિત કરવામાં આવે છે. તે પછી પણ સ્રવણ(exudation)ની ક્રિયા ચાલુ રહે છે અને પહેલાંની જેમ રાળ એકત્રિત કરવામાં આવે છે. વર્ષ દરમિયાન આ પ્રક્રિયાનું કેટલીક વાર પુનરાવર્તન કરવામાં આવે છે. બધું મળીને ત્રણ વાર રાળ મેળવવામાં આવે છે. પહેલી વાર જુલાઈમાં, બીજી વાર ઑક્ટોબરમાં અને ત્રીજી વાર જાન્યુઆરીમાં. પહેલી વાર એકત્રિત કરવામાં આવેલી રાળ ગુણવત્તા અને જથ્થા બંનેની દૃષ્ટિએ સૌથી સારી હોય છે. પટ્ટી આકારે મૂકવામાં આવેલ કાપની અંત:સ્થ રચનામાં એધાના પ્રદેશની નજીક આવેલા રસકાષ્ઠમાં ટાયલોસિસનું નિર્માણ થતાં રાળના સ્રવણની ક્રિયા અટકી જાય છે.
ભારતમાં સાલની રાળ વિપુલ જથ્થામાં ઉત્પન્ન થાય છે અને અગત્યની વ્યાપારિક રાળ પૈકીની એક છે. સામાન્ય રીતે તે ખરબચડી, સ્ટેલૅક્ટાઇટીય (stalactitic) અને બરડ ટુકડાઓની બનેલી હોય છે. તેનું કદ 16 ઘ.સેમી.-24 ઘ.સેમી., રંગે આછા પીળા રંગની, લગભગ અપારદર્શક અને મંદ રાળયુક્ત બાલ્સમીય ગંધ ધરાવે છે. તેના કેટલાક અચળાંક આ પ્રમાણે છે : વિ.ગુ. 0.94-0.96, સાબુકરણ-આંક (sap. val.), 35-37, ઍસિડ-મૂલ્ય 22-24 અને વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન [α]D + 2.0°થી 11.5°. ગૂગળ ધાર્મિક પ્રસંગોએ અને અગ્નિસંસ્કાર વખતે વપરાય છે. તે પુષ્કળ પ્રમાણમાં સફેદ ધુમાડો ઉત્પન્ન કરે છે. તેનો નીચલી ગુણવત્તાના રંગકામ અને વાર્નિશમાં ઉપયોગ થાય છે. તે બૂટપૉલિશ, કાર્બન-પેપર, ટાઇપરાઇટરની રિબનના ઉત્પાદનમાં જરૂરી પોચા મીણને કઠણ બનાવવામાં ઉપયોગી છે. તેનો દીવાલ અને છાપરાં માટે પ્લાસ્ટરના માધ્યમ તરીકે અને પ્લાયવૂડ, ઍસ્બેસ્ટૉસ, ચાદર (sheet) વગેરે માટે સિમેન્ટ-દ્રવ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. રાળનો ઔષધ બનાવવામાં સંકોચક (astringent) અને સ્વચ્છક (detergent) તરીકે ઉપયોગ થાય છે અને તે અતિસાર (diarrhoea) અને મરડામાં આપવામાં આવે છે. ત્વચાના અને કાનના રોગોના મલમોમાં એક ઘટક તરીકે તે ઉપયોગમાં લેવાય છે.
સાલની રાળના શુષ્ક નિસ્યંદનથી બાષ્પશીલ તેલ ઉત્પન્ન થાય છે. તેને ‘ચૂઆ’ તેલ કહે છે. નમૂનાઓના સ્રોત પર આધાર રાખીને તેલનું ઉત્પાદન 41 %થી 68 % થાય છે. તેલ આછું બદામી-પીળું હોય છે અને ધૂપ જેવી સુગંધ ધરાવે છે. જોકે બજારમાંથી મેળવેલું તેલ ઘેરું બદામી, અપારદર્શક અને ગોળની રસી (treacle) જેવી ઘટ્ટતા(consistency)વાળું હોય છે. તેલના અચળાંકો આ પ્રમાણે છે : વિ. ગુ. 29° 0.9420, વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન 0°, વક્રીભવનાંક
1.5186, ઍસિડ-મૂલ્ય 4.42, સાબુકરણ-આંક 15.72 અને ઍસિટાયલેશન પછી સાબુકરણ-આંક 39.49. તે 96 % તટસ્થ અને 3 % અને 1.0 % અનુક્રમે ફિનૉલીય અને ઍસિડીય ઘટકો ધરાવે છે. ‘ચૂઆ’ તેલનો ભારે અત્તરોના સ્થાપક (fixative) તરીકે અને ચૂસવાની કે પીવાની તમાકુને સુગંધિત બનાવવામાં ઉપયોગ થાય છે. ત્વચાના અને કાનના રોગોમાં તેનો પૂતિરોધી (antiseptic) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેલના બિન-ફિનૉલીય ઘટકની કેન્દ્રસ્થ ચેતાતંત્ર પર અવનમન (depressing) અસર થાય છે. ફિનૉલીય ઘટક ઓછી અસર કરે છે.
બીજ અને બીજનું તેલ : ખોરાકની અછતના સમયે સાલનાં બીજ ભૂંજીને ખવાય છે. જોકે તે ખાસ સ્વાદિષ્ટ હોતાં નથી. વિશલ્કિત (decorticated) બીજ મરઘાં-બતકાંના ખોરાકમાં મકાઈના જથ્થાની 5 % જેટલી અવેજી કરે છે. સાલના શુષ્ક બીજના લોટનું એક રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : પાણી 5.13 %, પ્રોટીન 6.16 %, ઈથર-નિષ્કર્ષ 16.77 %, રેસો 4.81 %, નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 63.25 %, કૅલ્શિયમ 0.18 %, કુલ ભસ્મ 3.78 % અને ઍસિડ અદ્રાવ્ય ભસ્મ 0.95 %.
સાલ 19 %-20 % જેટલું મેદીય તેલ (સાલ-માખણ) ઉત્પન્ન કરે છે. આ તેલ બીજપત્રોમાં સંગૃહીત થયેલું હોય છે. (બીજના વજનનો 72 % જેટલો ભાગ મીંજનો હોય છે.) ભારતમાં સાલના બીજનું વાર્ષિક ઉત્પાદન 2,12,230 ટન જેટલું થાય છે; જેમાંથી 23,770 ટન જેટલું તેલનું ઉત્પાદન થઈ શકે. સાલના માખણના ઉત્પાદન અને તેના ઉપયોગે નોંધપાત્ર ધ્યાન આકર્ષિત કર્યું છે. પાણીમાં છાલા સાથે બીજ ઉકાળીને ઠરવા દઈ ઉપરનું તેલ નિતારી લેવામાં આવે છે. ઠંડા હવામાનમાં તે માખણની જેમ ઘટ્ટ બને છે. તેલ લીલાશ પડતું સફેદથી માંડી સફેદ રંગનું હોય છે. તેના અચળાંકો આ પ્રમાણે છે : વિ.ગુ.30° 0.916, ગલનબિંદુ (m.p.) 37° સે., ઍસિડ-મૂલ્ય 6, સાબુકરણ-આંક 186 અને આયોડિન-મૂલ્ય 35. તેલનો ઉપયોગ રાંધવામાં અને દીવો કે ફાનસ સળગાવવામાં થાય છે. તેનું ઘી સાથે અપમિશ્રણ કરવામાં આવે છે. તે સાબુની બનાવટમાં અન્ય મૃદુ તેલ સાથે મિશ્ર કરીને વાપરી શકાય છે અને કોકો-માખણની અવેજીમાં ચૉકલેટ બનાવવામાં ઉપયોગી છે.
સાલના તેલનો ખોળ 10-12 % પ્રોટીન અને લગભગ 50 % જેટલો સ્ટાર્ચ ધરાવે છે અને ઢોર અને મરઘાં-બતકાંના ખોરાક તરીકે વપરાય છે. બીજના લોટમાં આવશ્યક ઍમિનોઍસિડની સાંદ્રતા આ પ્રમાણે છે : થ્રિયૉનિન 7.8 %, વેલાઇન-મિથિયૉનિન 7.0 %, નૉરલ્યુસિન-લ્યુસિન-આઇસૉલ્યુસિન 12.0 %, આર્જિનિન 6.8 %, હિસ્ટિડિન 4.8 %, લાયસિન 5.7 % અને ફિનિલઍલેનિન-ટ્રિપ્ટોફેન 3.4 %. બીજના ખોળનો ઉપયોગ ખાતર તરીકે પણ થાય છે.
અન્ય ઉપયોગો : સાલ ટાસાર રેશમના કીડા(Antheraea mylitta)ની અને લાખના કીટક(Laccifer lacca)ની ‘કુસુમી’ જાતની યજમાન વનસ્પતિ છે. તેનાં પર્ણોનો ચારા તરીકે ઓછો ઉપયોગ થાય છે. પશ્ચિમ બંગાળ, આસામ અને ઓરિસાના કેટલાક ભાગોમાં પર્ણો બીડી બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. પર્ણોને ટાંકીને પતરાળાં અને પડિયા પણ બનાવવામાં આવે છે. ફળની લૂગદી અતિસારમાં વપરાય છે. સાલ વિપુલ પ્રમાણમાં પુષ્પો ઉત્પન્ન કરી મધનું પુષ્કળ ઉત્પાદન કરે છે.
સાલની સાથે સંબંધિત ભારતમાં થતી અન્ય જાતિઓમાં મકાઈ (Shorea assamica Dyer.), તાલુરા (S. roxburghii G. Don.) અને થામ્બા(S. kumbuggaia Roxb.)નો સમાવેશ થાય છે.
બળદેવભાઈ પટેલ