સાનિયા (શ્રીમતી) (જ. 10 નવેમ્બર 1952, સાંગલી, મહારાષ્ટ્ર) : મરાઠી લેખિકા. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.કોમ.ની ડિગ્રી મેળવી. માનસોપચાર પદ્ધતિમાં સ્વૈચ્છિક સલાહકાર; કૉપી-રાઇટર અને જાહેરખબરોમાં અનુવાદક તરીકે કારકિર્દી શરૂ કરી; સાથોસાથ લેખનકાર્ય પણ કર્યું.

તેમણે અત્યાર સુધીમાં 11 ગ્રંથો આપ્યા છે. ‘શોધ’ (1980), ‘પ્રતીતિ’ (1989), ‘દિશા ઘરચ્યા’ (1991), ‘ઓળખ’ (1993), ‘પરિમાણ’ (1996) તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો અને ‘સ્થળાંતર’ (1994) તથા ‘આવર્તન’ (1996) તેમની જાણીતી નવલકથાઓ છે. તેમણે ઑસ્ટ્રેલિયા, સિંગાપોર અને જાપાનનો પ્રવાસ ખેડ્યો છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1990માં ડૉ. અ. વા. વર્ટી પુરસ્કાર; 1991માં મહારાષ્ટ્ર રાજ્ય ઍવૉર્ડ; 1994માં મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ પુરસ્કાર; 1996માં જયવંત દળવી સ્મૃતિ પુરસ્કાર તથા વિ. સ. ખાંડેકર સ્મૃતિ પુરસ્કાર આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા