સત્પથી, નંદિની (શ્રીમતી) (. 9 જૂન 1931, વિશ્વનાથપુર, જિ. ખુર્દા, ઓરિસા; . 2005) : ઊડિયા લેખિકા અને અનુવાદક અને પ્રખર રાજકારણી. તેમણે ઊડિયામાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1958માં તેઓ ઓરિસા મહિલા રાહત આયોગનાં સેક્રેટરી; માસિક ‘ધરિત્રી’ અને ‘કલના’નાં સંપાદિકા; 1962-67 તથા 1968-72 દરમિયાન રાજ્યસભાનાં સભ્ય; 1966-68 દરમિયાન માહિતી અને પ્રકાશન વિભાગનાં મંત્રી; 1972-73 અને 1974-76 ઓરિસાનાં મુખ્યમંત્રી; 19721995 ઓરિસા વિધાનસભાનાં ચૂંટાયેલ સભ્ય તથા રાજ્ય આયોજન બૉર્ડનાં પ્રમુખ; ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટીનાં અધ્યક્ષા; બાળકો અને યુવાનો માટેની આંતરરાષ્ટ્રીય ફિલ્મ સેન્ટર, પૅરિસનાં સંપાદકમંડળનાં સભ્ય રહ્યાં અને 1977માં કાગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને બાબુ જગજીવનરામના કાગ્રેસ-ડેમૉક્રેટિક પક્ષમાં જોડાયાં હતાં.

તેમણે સમાજસેવા સાથોસાથ લેખનકાર્ય કર્યું.

તેમણે પાંચ ગ્રંથો આપ્યા છે : ‘કેતોતી કથા’ (1963); ‘સપ્તદશી’ (1988) તેમના વાર્તાસંગ્રહો છે. ‘ગાંધીકથામૃત’ (1970); ‘રેવન્યૂ ટિકિટ’ (1990) બંને અંગ્રેજીમાંથી અનુવાદ છે; ‘લજ્જા’ (1994) તસ્લિમા નસ્રિનની બંગાળી નવલકથાનો અનુવાદ છે.

તેમણે યુનોની, 25મી વાર્ષિક ઉજવણી વખતે અમેરિકાનો અને ફિલ્મ અને કલ્ચરલ ડેલિગેશનના નેતા તરીકે ત્રણ વખત યુ.એસ.એસ.આર.ના પ્રવાસો કરેલા. વળી ફ્રાન્સ, યુ.કે., જર્મની અને મેક્સિકોમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

નંદિની સત્પથી (શ્રીમતી)

1995માં તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું ટ્રાન્સલેશન પ્રાઇઝ પ્રાપ્ત થયું છે. વળી ઓરિસા સાહિત્ય અકાદમી અને વિશ્વ મિલન પ્રજાતંત્ર પ્રચાર સમિતિ દ્વારા પણ તેમને સન્માનવામાં આવ્યાં હતાં.

બળદેવભાઈ કનીજિયા