શાતકર્ણિ 2જો : આંધ્રના સાતવાહન વંશનો છઠ્ઠો રાજા. હાથીગુફા અને ભીલસાના અભિલેખોમાં તેનો ઉલ્લેખ મળે છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે તેના શાસનનો સમય સૌથી લાંબો – 56 વર્ષનો હતો. પશ્ચિમ ભારતમાંથી તેના પુષ્કળ સિક્કા મળ્યા છે. કેટલાક વિદ્વાનોના મતાનુસાર તેણે પૂર્વ માળવા જીત્યું હતું. મત્સ્યપુરાણની વંશાવળી મુજબ તેના પછી લંબોદર, આપિલક, મેઘસ્વાતિ વગેરે રાજાઓ થઈ ગયા. શાતકર્ણિ 2જાએ ઈ. પૂ. 166થી ઈ. પૂ. 111 સુધી શાસન કર્યું હોવાનું માનવામાં આવે છે.

ફાલ્ગુની પરીખ