વિજ્ઞાન અને ટેક્નૉલૉજીનો વિકાસ : એક સમયે કાર્ય કરવા માટે સ્નાયુબળનો ઉપયોગ કરવો પડતો હતો. ત્યારબાદ હસ્તપ્રયોગી કૌશલ્યનો વારો આવ્યો અને અત્યારે તે માટે બુદ્ધિ-શક્તિના પ્રયોજનનો સમય ચાલી રહ્યો છે. પંક્તિઓ વચ્ચે વાંચતાં વિજ્ઞાન અને ટેક્નૉલૉજી આધારિત વિકાસના ઇતિહાસની ઝલક મળી રહે છે.

આજે એક તરફ થોડાક લોકોને માટે મૂડીનું નિર્માણ કરવાના માર્ગો વધતા જાય છે, તો બીજી તરફ ઘણા લોકોને મહામહેનતે પણ બે ડગલાં માંડવા માર્ગ મળતો નથી. તેની સાથે વિશ્વની જનસંખ્યામાં અણધાર્યો વધારો થઈ રહ્યો છે. પરિણામે, થોડાક તવંગર લોકો વધુ તવંગર બને અને ઘણા ગરીબ લોકો વધુ ગરીબ બને તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે. આ પરિસ્થિતિ સામે ટેક્નૉલૉજી એવું પરિબળ છે, જે આર્થિક વિકાસને વેગ આપી શકે, જીવનધોરણ ઊંચું લઈ જઈ શકે, સ્વનિર્ભરતા અને સલામતી બક્ષીને રાષ્ટ્રને મજબૂત બનાવી શકે. યુ.એસ., યુરોપ અને જાપાન જેવાં રાષ્ટ્રો ટેક્નૉલૉજીના વિકાસથી જ મજબૂત થયાં છે.

વિજ્ઞાન જ્યારે વ્યવહારમાં પ્રયોજાય છે ત્યારે તે ટેક્નૉલૉજીનું સ્વરૂપ ધારણ કરે છે, તે દરમિયાન તે કેટલાક તબક્કાઓમાં થઈને પસાર થાય છે. વિજ્ઞાનના સિદ્ધાંતોને આધારે ઉદ્યોગોની ભૂમિકા તૈયાર થાય છે. ઉદ્યોગો તેમની જરૂરિયાત મુજબ અને ઉત્પાદ(product)ની ગુણવત્તા વધારવા માટે સંશોધન અને વિકાસ(Research and Development – R & D)નો આશ્રય લે છે. તેમાંથી ઉપયોગી ટેક્નૉલૉજીનો વિકાસ થાય છે. ટેક્નૉલૉજીમાં કરાયેલા શોધનવર્ધનથી ઉદ્યોગનું નવીનીકરણ કરવામાં આવે છે. આ પ્રવિધિ ચાલુ રાખી તેને આગળ ધપાવવામાં આવે છે. વિકસિત રાષ્ટ્રોમાં આવી પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે.

ઉદાહરણ તરીકે, વિશ્વનાં રાષ્ટ્રો અવકાશ-સંશોધન કાર્યક્રમનો ઉદ્યોગોમાં ઉપયોગ કરી શકે છે. ઇસરો (Indian Space Research Organization) અને નાસા(National Aeronautics and Space Administration)એ 50થી વધુ પ્રક્રિયાઓ અને ઉત્પાદો વિકસાવેલાં છે. તે પછી, 27 ઉદ્યોગોને તે માટેના પરવાના અપાયા છે.

માનવશક્તિના પ્રશિક્ષણ અને સુલભ ટેક્નૉલૉજીના સર્જન માટે સમુચિત સંસ્થાઓ ઊભી કરીને તત્કાલીન યુ.એસ.એસ.આર., યુ.એસ., યુ.કે., જાપાન અને યુરોપનાં કેટલાંક રાષ્ટ્રોએ નોંધપાત્ર પ્રગતિ સાધી છે. રાષ્ટ્રની સલામતી તથા સ્વનિર્ભરતા માટે સંશોધન અને વિકાસ(R & D)ને સારું એવું મહત્વ અપાયું છે તેથી આધુનિકીકરણની બુનિયાદ મજબૂત બની છે. તે માટે પ્રયોગશાળાનાં પરિણામો ચાર દીવાલો વચ્ચે ન રાખતાં બહારના વિસ્તારો (fields) એટલે કે માર્કેટ સુધી લઈ જવાં જરૂરી છે. તો જ વિજ્ઞાન, ટેક્નૉલૉજી બનીને ઉદ્યોગો સુધી પહોંચી શકે.

હાલને તબક્કે લેસર, રેસા-પ્રકાશિકી, અવકાશ-ટેક્નૉલૉજી, ન્યૂક્લિયર વિખંડન (fission) અને સંલયન (fusion) તથા બાયૉટેક્નૉલૉજીનો પુરબહારમાં વિકાસ અને ઉપયોગ થઈ રહ્યો છે. આ તમામ ટેક્નૉલૉજીનાં પ્રયોજનોથી મળતા ફાયદા અને પેદા થતાં ભયસ્થાનો સમાજ અને રાષ્ટ્ર સામે અવારનવાર આવતાં રહે છે. નવી પ્રગતિત ટેક્નૉલૉજીથી માનવજાતની કેટલીક સમસ્યાઓ બેશક હલ થઈ શકી છે; તો બીજી કેટલીક સમસ્યાઓને વધુ જટિલ બનાવીને માણસના અસ્તિત્વ સામે ખતરો પણ પેદા કર્યો છે.  જેમ કે, ન્યૂક્લિયર ટેક્નૉલૉજી માનવજાતના સર્વાંગી વિકાસ માટે ઊર્જાનું સર્જન કરી શકે છે અને પરમાણુ-બૉમ્બ દ્વારા વિનાશ નોતરી શકે છે. અવકાશ ટેક્નૉલૉજીથી સંદેશાવ્યવહાર અને પૃથ્વીના પેટાળની અંદરનાં સંસાધનોની ખોજ કરી શકાય છે, તો બીજી બાજુએ તેથી યુદ્ધલક્ષી જાસૂસી પણ કરી શકાય છે.

અર્ધવાહકો, કમ્પ્યૂટર, કૃત્રિમ બુદ્ધિ, રોબૉટિક્સ અને દ્રવ્ય-ટેક્નૉલૉજીના આગમન સાથે વૈજ્ઞાનિક શોધો અને તેમની ટેક્નૉલૉજી વચ્ચેનો ગાળો એકદમ સાંકડો થઈ ગયો છે. આથી વિજ્ઞાન અને ટેક્નૉલૉજીમાં R & Dની અનુકૂળતાઓ વધી છે તેથી ભાવિ ટેક્નૉલૉજીનાં વલણો કેવાં હશે તેનો ખ્યાલ કરવાનું સંભવિત બનતું જાય છે. પરિણામે ભાવિ ટેક્નૉલૉજીની આગાહી (forecasting) થઈ શકે એમ છે.

ટેક્નૉલૉજીના સંદર્ભમાં વિજ્ઞાનની શક્તિ ઘણીબધી હોય અને સમાજને લગતી તમામ જરૂરિયાતો સંતોષવા સક્ષમ હોય તો એમ લાગે છે કે ભાવિ ટેક્નૉલૉજીની સંભવિત આગાહી પણ કરી શકાય. આવી આગાહીમાં દશ-વીસ કે વધુ વર્ષ પછી કેવાં યંત્રો, ઓજારો, પ્રયુક્તિઓ, શસ્ત્રો તૈયાર કરી શકાશે તેનો અંદાજ કાઢી શકાય ખરો. આવી આગાહી આધારિત અંદાજો ભાવિ આયોજનમાં મદદરૂપ થઈ શકે. ખાનગી નિર્માણકર્તાઓ (ઉત્પાદકો) ભાવિ ટેક્નૉલૉજીમાં મસમોટો નફો ઘર ભેગો કરવા વધુ રસપૂર્વક સક્રિય બને એ સમજાય એવું છે. તેથી ગ્રાહકો કે સમાજને કેટલાક ફાયદા કે ગેરફાયદા થશે તે વિચારવા જેવી બાબત રહે છે.

ઘણાબધા સવાલો જે સપાટી ઉપર આવતા દેખાય છે તે તેટલા સરળ નથી, પણ તેમનાં મૂળ ઘણાં ઊંડાં ગયેલાં હોય છે. વિજ્ઞાનમાંથી ટેક્નૉલૉજી અને ટેક્નૉલૉજીમાંથી ઉપકારક પ્રયુક્તિઓનો માર્ગ સમાજ માટે સીધો ને સરળ નથી. વિજ્ઞાનની શોધો આધારિત પ્રયુક્તિઓ સમાજની છેવાડાની વ્યક્તિ સુધી પહોંચતાં સદીઓ લાગે છે. આની સ્પષ્ટતા માટે એક જ ઉદાહરણ બસ છે. માઇકલ ફૅરડેએ વિદ્યુતપ્રેરણના નિયમો 1831માં શોધી કાઢ્યા. વિદ્યુત-જનિત્રો (generators) અને મોટરો આ નિયમો ઉપર કાર્ય કરે છે તે છતાં, તે સમયે ઘરમાં કે શેરીમાં આ શોધનો ઉપયોગ વિદ્યુતગોળા ચલાવવામાં થઈ શક્યો નહિ; કારણ કે તે સમયે વિદ્યુતગોળાની શોધ થઈ ન હતી. સૌપહેલાં ગરમ તાંતણા (filament) આધારિત દીવો શોધાયો  તો તે બિલકુલ થોડાક જ સમયમાં ડૂલ થઈ ગયો; કારણ કે ગોળામાં શૂન્યાવકાશ પેદા કરવા માટે તે સમયે શૂન્યાવકાશ પંપ શોધાયો ન હતો. આ બધું 1881માં (50 વર્ષ બાદ), એડિસને વિદ્યુત ગોળો શોધ્યો અને વિદ્યુતમથકો તૈયાર થયાં ત્યારે, શક્ય બન્યું. આ રીતે ફૅરડેની શોધને વ્યવહારમાં પ્રયોજવા બીજી પ્રયુક્તિઓ અને ટેક્નૉલૉજી તૈયાર ન થઈ ત્યાં સુધી એટલે કે 50 વર્ષ રાહ જોવી પડી.

હવે સુખદ બાબત તો એ છે કે શોધ અને તેના પ્રયોજન વચ્ચે સમયગાળો ઘટી રહ્યો છે. ઉપરનું દૃષ્ટાંત હજુ પણ અમુક સંજોગોમાં બરાબર ન્યાયયુક્ત (valid) છે. અત્યારે કેટલાંક સૈદ્ધાંતિક (શુદ્ધ) સંશોધનો તો કેટલાંક વ્યાવહારિક (પ્રયુક્ત) સંશોધનો ચાલે છે. પ્રયુક્ત સંશોધનોમાંથી કેટલીક ‘શક્ય’ (possible) ટેક્નૉલૉજી બને છે. ત્યારબાદ અન્ય ક્ષેત્રોમાંથી પ્રાપ્ત થયેલી ટેક્નૉલૉજીને આધારે તે ‘સંભવિત સફળ’ ટેક્નૉલૉજીમાં પરિવર્તન પામે છે, છેલ્લે તે ‘વાસ્તવિક’ ટેક્નૉલૉજીના માર્ગે વળે છે.

આવતીકાલની ટેક્નૉલૉજીનું આગળથી મનમાં ચિત્ર તૈયાર કરવા માટે સંશોધન-ક્ષેત્રો તથા આર્થિક અને સામાજિક પાસાંઓ ઉપર પણ નજર રાખવી આવશ્યક છે. આવી નજર પોતાના રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વ ઉપર રાખવી જરૂરી છે. જે રાષ્ટ્ર કે સમાજ આ બધું સક્ષમ અને અસરકારક રીતે પાર પાડે છે તેને મહત્તમ ફાયદો થાય છે. વિવિધ વૈજ્ઞાનિક શોધો અને ટેક્નૉલૉજીનો વિકાસ ઉત્પાદનલક્ષી હોવો જરૂરી છે. આ સાથે, કમનસીબે, યુદ્ધશસ્ત્રોનું પણ ઉત્પાદન વધે છે. વધુ ઉત્પાદનના હેતુથી ઘણા દેશો ટેક્નૉલૉજીના વિકાસ માટે R & D પાછળ ઘણાં નાણાં ખર્ચે છે. રોકેલાં નાણાંનું મહત્તમ વળતર મેળવવા કોશિશ કરવામાં આવે છે. આ રીતે, ટેક્નૉલૉજી ફોરકાસ્ટિંગ ખુદ વિજ્ઞાન બની રહે છે.

ટેક્નૉલૉજીને ત્રણ રીતે જોવી-વિચારવી ઘટે : (1) સમય માટેની ટેક્નૉલૉજી, જેમાં ગતિવાળાં સાધનો સમયની બચત કરે છે; (2) ઉત્પાદન-ટેક્નૉલૉજી, જે માનવશ્રમનો વિકલ્પ બની શકે છે; (3) સંહારક ટેક્નૉલૉજી, જે વિનાશનું કારણ પૂરું પાડે છે. આ ત્રણેયના સંદર્ભમાં ટેક્નૉલૉજીના હસ્તાંતરણ(transfer)ની ભૂમિકા, એકવીસમી સદીમાં, મહત્વની રહેવાની છે.

વિજ્ઞાન અને ટેક્નૉલૉજીના વિકાસનો ઇતિહાસ એટલે સર્જન અને સંહારની ગાથા. ન્યૂક્લિયર ટેક્નૉલૉજીથી ઊર્જા મળે છે. વળી રેડિયો-સમસ્થાનિકો (isotopes) વડે સંશોધન, તબીબી અને કૃષિક્ષેત્રે રચનાત્મક કાર્યો થઈ શકે છે. ન્યૂક્લિયર મેડિસિન આજે રોગોના નિદાન અને ઉપચાર માટે નિર્ણાયક ભાગ ભજવે છે. ન્યૂક્લિયર ટેક્નૉલૉજીનું વિનાશક પાસું સૌ કોઈને જાણીતું છે. હીરોશીમા અને નાગાસાકીના વિનાશની ઐતિહાસિક ઘટના તેની સાક્ષી છે.

ચોમાસામાં આકાશ મધ્યે વીજળીના પ્રબળ લિસોટા બાદ થતા જોરદાર કડાકા અને ભડાકા દરમિયાન આશરે 10 કરોડ વોલ્ટ જેટલું વિદ્યુતદબાણ, 20,000 ઍમ્પિયર વિદ્યુતપ્રવાહ અને 33,000° સે. તાપમાન પેદા થાય છે. આ ઘટનાને નાથી નિયંત્રિત કરી શકાય તો અકલ્પ્ય ઊર્જા મળી રહે. એટલે કે આશરે 20 લાખ મેગાવૉટ, જે ભારતના તમામ ઊર્જાસ્રોતમાંથી પેદા થતી વિદ્યુત કરતાં વધારે છે. આ ઊર્જાને વ્યવહારોપયોગી બનાવવા તેને અનુરૂપ ટેક્નૉલૉજીની આવશ્યકતા છે. આ સિદ્ધ કરવા માટે આગામી સદીના ટેક્નૉલોજિસ્ટો સામે મોટો પડકાર છે. આવી બીજી આપત્તિજનક પ્રાકૃતિક ઘટનાઓમાંથી વિપુલ ઊર્જા મેળવી શકાય.

અવકાશ-ટેક્નૉલૉજીએ તો આખી દુનિયાને સાંકડી બનાવી દીધી છે. કૃત્રિમ ઉપગ્રહોને આધારે આંતરદેશીય સંદેશાવ્યવહાર સરળ અને સુલભ બન્યો છે. પૃથ્વીના પેટાળની અંદરનાં સંસાધનો(ખનિજો)ની ખોજ શક્ય બની છે. હવામાન અને મોસમની જાણકારી વેળાસર મળવા લાગી છે. સંશોધનની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. અવકાશવિજ્ઞાન અને ટેક્નૉલૉજીનું આ જમા પાસું છે.

ભવિષ્યમાં ઉપગ્રહો યુદ્ધના કમાન્ડરો બનવાના છે. વિદ્યુતચુંબકીય સ્પંદ (પલ્સ) એટલે કે ઈ-બૉમ્બ શત્રુના દેશ ઉપર એવા સમયે અને સ્થળે ત્રાટકી શકે કે જેથી બધાં જ તંત્રો અને વ્યવસ્થા એકસાથે ઠપ થઈ જાય. આ રીતે ટેક્નૉલૉજી-આધારિત યુદ્ધનું સ્વરૂપ બદલાઈ જવાનું છે. આ છે ટેક્નૉલૉજીના વિકાસનું નકારાત્મક પાસું.

આધુનિક ટેક્નૉલૉજીએ સૂક્ષ્મીકરણ(miniaturisation)ની દિશા પકડી છે. વાલ્વની જગાએ ટ્રાન્ઝિસ્ટર, ટ્રાન્ઝિસ્ટરની જગાએ સંકલિત પરિપથો (integrated circuits  IC). તે પછી બૃહદ્ માપક્રમ (large scale) ICનું આગમન થયું. આથી ઇલેક્ટ્રૉનિક ઉપકરણોનું કદ ખૂબ જ ઘટી ગયું. તે સસ્તાં થયાં તથા આયુષ્ય અને ક્ષમતામાં વધારો થયો. આનાથી અવકાશ-સંશોધન અને અન્ય ટેક્નૉલૉજીને ખાસ વિશેષ ફાયદા થયા છે; ઉદ્યોગો જેવાં અન્ય ક્ષેત્રોને પણ. આ બધાંની આર્થિક અને સામાજિક વ્યવસ્થાઓ ઉપર અસર થતાં માણસની કાર્ય અને જીવનશૈલીમાં ભારે પરિવર્તન આવતું રહ્યું છે.

હવે તો નૅનોટેક્નૉલૉજીનો યુગ શરૂ થયો છે. નૅનોમિટર એટલે મિટરનો અબજમો ભાગ (1 nm = 109 m). તે જ રીતે નૅનોસેકન્ડ એટલે સેકન્ડનો અબજમો ભાગ (1 ns = 109 s). નૅનો વિસ્તારમાં દ્રવ્યના ગુણધર્મો બદલાતા હોય છે. આમાંથી એવાં દ્રવ્યો તૈયાર થવા લાગ્યાં છે, જેમનો તબીબી, બાયૉટેક્નૉલૉજી, ઑપ્ટોઇલેક્ટ્રૉનિક્સ અને ઇજનેરી ક્ષેત્રે વ્યાપક રીતે ઉપયોગ થવા લાગ્યો છે. ઇલેક્ટ્રૉનિક પરિપથો કરતાં નૅનોટેક્નૉલૉજી-આધારિત પરિપથો હજાર ગણા નાના હોય છે. નૅનોટ્યૂબના વાહક ગુણધર્મોનો ઉપયોગ કરીને વિદ્યુતનેટવર્ક, રોબૉટ અને નૅનોયંત્રો ભવિષ્યમાં તૈયાર કરી શકાશે. છેલ્લાં દસ-વીસ વર્ષથી ઇન્ટરનેટ અને બાયૉટેક્નૉલૉજીએ ઘણું મોટું કદ ધારણ કર્યું છે.

બાયૉટેક્નૉલૉજી એટલે જૈવ-તંત્રો, જૈવ-માહિતી અને જૈવ-પ્રક્રિયાઓનો ઉદ્યોગોમાં ઉપયોગ. આ અર્થમાં બાયોટેક્નૉલૉજી હજારો વર્ષોથી વ્યવહારમાં પ્રયોજાયેલ છે. સૂક્ષ્મ જીવો ઉપર નિયંત્રણ રાખવાની ક્ષમતા અને તેમના વિવિધ ઉપયોગોથી બાયૉટેક્નૉલૉજીને વર્તમાન સ્વરૂપ મળ્યું છે. તેમાંથી જનનિક (genetic) ઇજનેરીનો ઉદ્ભવ થયો. આ જનનિક ઇજનેરીના આધારે સૂક્ષ્મ જટિલ અણુ ડી. એન. એ.નો વિસ્તૃત અભ્યાસ શક્ય બન્યો. ડી.એન.એ.ને માણસની નૅનો-પ્રતિકૃતિ ગણી શકાય. અર્થાત્, ડી.એન.એ. વ્યક્તિનાં તમામ સ્વાભાવિક અને શારીરિક લક્ષણોનું પ્રતિનિધિત્વ કરે છે. જનનિક ઇજનેરીને આધારે ડી.એન.એ.માં પરિવર્તન (ફેરફાર) કરવાનું શક્ય બન્યું છે. આ શક્યતાના આધારે ડી.એન.એ.માંથી વાંધાજનક લક્ષણો દૂર કરી શકાય છે; એટલું જ નહિ, પણ ઇચ્છિત લક્ષણો ઉમેરી શકાય છે. વંશપરંપરાગત રોગો નિર્મૂળ કરવામાં સફળતા મળશે. આટલું બધું થયા પછી જનીન-થેરપીનો મહિમા વધશે. પરિણામે તેનો અસામાજિક અને ગેરકાનૂની ઉપયોગ પણ વધશે. અન્ય ટેક્નૉલૉજીની જેમ જ બાયૉટેક્નૉલૉજીનાં સારાં અને નરસાં પરિણામો આવી શકે છે.

ચંદ્રયાન-I

ડી.એન.એ.માં જરૂરી પરિવર્તનો કરીને વ્યક્તિ પોતાનાં બાળકોને વિજ્ઞાની, સૈનિક, ખેલાડી કે અભિનેતા બનાવી શકશે. 2050ની સાલ સુધીમાં આ બાબત કદાચ સાર્વત્રિક અને સર્વસામાન્ય બને તો નવાઈ નહિ. જનનિક ઇજનેરી માણસની સુધારેલી (?) આવૃત્તિ બહાર પાડવા સમર્થ બનશે. વિકસિત સમાજ જ્યાં સર્વ ટેક્નૉલૉજીનો પ્રચુર વિકાસ થયો હશે અને અવિકસિત સમાજ જ્યાં ટેક્નૉલૉજીનો નહિવત્ વિકાસ થયો હશે, તેમની વચ્ચે સામાજિક અને રાજકીય ગંભીર સમસ્યાઓ પેદા થશે.

બ્રહ્માંડનાં રહસ્યો જાણવા માટે યુ.એસ.એ. ક્લેમન્ટાઇન, લ્યૂનર પ્રોસ્પેક્ટસ અને સમાનવ ઍપોલો મિશન સાથે ચંદ્ર સુધી પહોંચવાના કાર્યક્રમો યોજ્યા. તે માટેની જરૂરી ટેક્નૉલૉજી 1963થી વિકસાવવાની શરૂઆત કરી હતી. ભારતે પણ ચંદ્રના વિગતવાર અભ્યાસ માટે થોડાક સમયથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. અવકાશસંશોધનની સંસ્થા ઇસરો મારફતે ચંદ્ર ઉપર મોકલવાના ચંદ્રયાનIની ટેક્નૉલૉજિકલ તૈયારીઓ તડામાર ચાલી રહી છે. અંદાજે આ કાર્યક્રમ 2006 સુધીમાં પાર પડશે. ચંદ્રની સપાટી અને તેના આંતરિક બંધારણ ઉપરથી પૃથ્વી અને સૌર મંડળના ઉદ્ગમ તથા બંધારણનો અભ્યાસ કરવાની તેમાં ગણતરી રહેલી છે. ચંદ્રયાનI ચંદ્રના ધ્રુવોની આસપાસ ભ્રમણ કરતો ઉપગ્રહ છે. ચંદ્રની સપાટીનો ભૂરાસાયણિક, ખનિજીય (mineralogical) અને ફોટો-ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસ એકસાથે કરવાનું મિશન તે ધરાવે છે. તે અદ્યતન સીમાંતક ટેક્નૉલૉજી-આધારિત ઉપકરણોથી સજ્જ હશે. ચંદ્રયાનI મિશનની રૂપરેખા આકૃતિમાં દર્શાવી છે.

ચંદ્રની સપાટી ઉપરાંત ઑલિવિન હિલ, ભાભા અને બોઝ ગર્ત-(crater)ના ઊંડાણે રહેલાં દ્રવ્યોનો અભ્યાસ રસપ્રદ હશે. ભારતના ચંદ્રયાનI તથા યુ.એસ.ના SMART-I, SELENE, LUNAR A, CHANGE-1 અને અન્ય મિશનો સતત પાંચ વર્ષ સુધી ચંદ્રની સપાટી અને આંતરિક રચનાનાં અવલોકનો કરશે. લગભગ 2010 સુધીમાં આ મિશનોનાં અવલોકનો અને અભ્યાસને આધારે ચંદ્રની સપાટીની રાસાયણિક, ખનિજીય અને ભૂસ્તરશાસ્ત્રીય ઉત્ક્રાંતિને લગતા મહત્વના સવાલોના જવાબ મળવા સંભવ છે. આ સાથે દૂર ભૂતકાળમાં પૃથ્વી-ચંદ્રની આંતરક્રિયા તથા ગ્રહીય પિંડો(planetary bodies)ની કદ-આધારિત ઉત્ક્રાંતિની વિશેષ માહિતી મળશે.

વિજ્ઞાન અને ટેક્નૉલૉજીના વિકાસની રફતાર (દર) આ રીતે ચાલુ રહે તો માણસ પૃથ્વી ઉપર બંધાયેલો નહિ રહે. ટેક્નૉલૉજીના ટેકે તે પૃથ્વી-ગ્રહની બહાર નીકળી અન્ય ગ્રહો ભણી ગતિ કરશે. અત્યારે શુક્રના અભ્યાસ માટે મેસેન્જર-યાન તથા શનિના અભ્યાસ માટે કેસીની-યાન નીકળી ચૂક્યાં છે. ત્યાંની તસવીરો આવવા લાગી છે. મંગળ ઉપર જળ તથા જીવનની માહિતી મેળવવા માર્સ-મિશન પુરજોશમાં કાર્ય કરે છે. અન્ય ગ્રહોના અભ્યાસ માટે વાઇકિંગ અને વૉયેજર યાનો પોતપોતાના ધ્યેય તરફ આગળ વધી રહ્યાં છે. હબ્બલ સ્પેસ ટેલિસ્કોપ (HST) વડે વિશ્વદર્શનની શક્યતાઓ વધતી ગઈ છે. તે રીતે, હવે અપાર્થિવ અભિનવ યંત્રવિજ્ઞાનનો યુગ શરૂ થયો છે. માણસ એક બાજુ અણુ-પરમાણુની ભીતરી સંરચના અને શક્તિની ખોજ કરવા મથી રહ્યો છે તો બીજી બાજુ તે વિરાટ વિશ્વ ભણી દોટ મૂકીને તેની ગતિવિધિ જાણવા મથી રહ્યો છે. પોતાના જેવી વિકસિત માનવ-સંસ્કૃતિની તલાશમાં તે બહાર અંતરિક્ષમાં જવા માગે છે. આમ, અન્ય ગ્રહો ઉપર પોતાના જેવી માનવજાતિનો ભેટો થશે અને ક્યારે થશે તેનો આધાર ટેક્નૉલૉજીના ઝડપી વિકાસ ઉપર છે.

નવી શરૂ થયેલી ત્રીજી સહસ્રાબ્દીના અંત સુધી માનવજાત જો ટકી રહેશે તો તેને આ જ તથા અગાઉની વિજ્ઞાનની કલ્પના-કથાઓ (science fictions) હકીકતો (facts) બનીને પાયાના સિદ્ધાંત તરીકે તેની સામે આવશે. ત્યારે સમાજ અને રાષ્ટ્રના દીદાર કેવા હશે તેની તો કલ્પના પણ આજે કરવી મુશ્કેલ છે.

ભારતને લાગેવળગે છે ત્યાં સુધી નવી ઊર્જા ટેક્નૉલૉજી(જેવી કે, ફ્યુઝન)ની તાતી જરૂરિયાત છે. તે માટે ફ્યુઝનના વિજ્ઞાન અને ટેક્નૉલૉજી સંબંધે વેગ વધારવો જરૂરી છે. તે માટે એશિયામાં ચીન, ભારત અને કોરિયા આગળ આવી રહ્યાં છે. આ રીતે મળતી ઊર્જા શુદ્ધ, મહદંશે સલામત અને સસ્તી છે. ન્યૂક્લિયર વિકિરણનાં કોઈ જોખમો નથી. તેના ઈંધણ (ડ્યુટેરિયમ) અને પ્રાપ્ત ટ્રિટિયમનો જથ્થો વિપુલ (અખૂટ) છે. તેનું વ્યૂહાત્મક દ્રવ્ય આતંકવાદીઓની પહોંચ બહાર છે, તે છતાં અન્ય વિકલ્પો હોવાના કારણે પશ્ચિમના દેશો ફ્યુઝન-ઊર્જાના ઉત્પાદનમાં જોઈએ તેટલો રસ ધરાવતાં નથી, પણ ભારત માટે આ ઊર્જા મહત્વની છે. ફ્યુઝન-ટેક્નૉલૉજી માટે ઇન્સ્ટિટ્યૂટ ફૉર પ્લાઝ્મા રિસર્ચ (ભાટ, ગાંધીનગર) વિશ્વસ્તરે પોતાની ઊંચાઈ વધારી રહ્યું છે.

જીવાશ્મી (fossil) ઈંધણનો જથ્થો મર્યાદિત અને પ્રદૂષણકારી હોઈ, ભારતે જરૂરી ઊર્જા ઉત્પાદન માટે પુન:પ્રાપ્ય (renewable) ઊર્જા કાર્યક્રમ તરફ પોતાનું સઢ ફેરવ્યું છે. પવન-ઊર્જા-ક્ષેત્રે ભારત વિશ્વમાં મોખરે છે. સૌર ઊર્જામાંથી ઉષ્મા (ગરમી) અને વિદ્યુતના ઉત્પાદન માટે ટેક્નૉલૉજી વિકસાવી છે, પણ તેને વ્યવહારુ અને કિફાયત બનાવવાનું બાકી છે. ભારતના 6,100 કિમી. લાંબા દરિયાકિનારાની દૃષ્ટિએ જળઊર્જાસ્રોત ઘણો આશાસ્પદ છે. ટકાઉ વિકાસ માટે આ પરિબળો  પવન, પાણી અને પ્રકાશ  યથોચિત ટેક્નૉલૉજી હાથ લાગતાં, પાયાનું કામ કરી શકે તેમ છે.

માહિતી અને સંચાર ટેક્નૉલૉજી (Information and Communication Technology – ICT) અર્થવ્યવસ્થા મજબૂત અને સરળ બનાવવામાં પ્રાણ પૂરે તેટલી ક્ષમતા ધરાવે છે. તેને આધારે આગળ દસ વર્ષમાં GDP બમણો અને સૉફ્ટવેરનું બજાર દસ ગણું થાય તેમ છે. માહિતી પ્રૌદ્યોગિકી (I.T.) અને ICT કોઈ પણ રાષ્ટ્ર, ખાસ કરીને ભારત માટે અડીખમ આધારસ્તંભો બની રહ્યા છે. ભારત સૉફ્ટવેર ક્ષેત્રે સુપર પાવર બની રહે તેવાં તમામ લક્ષણો ધરાવે છે. IT, ICT અને ઑટોમેશનના આગમન અને તેમના પ્રયોજનથી વ્યવહારો ઉત્પાદનલક્ષી બનતાં સમાજકલ્યાણનો માર્ગ સરળ બની રહ્યો છે.

છેલ્લા બે દસકામાં જનીન (gene) અને IT ક્રાંતિએ મોટું કદ ધારણ કર્યું છે. પરંપરાગત અને અગ્ર-ટેક્નૉલૉજીના સમન્વયથી ઈકૉટેક્નૉલૉજીનો ઉદ્ભવ થયો છે, જેનાથી અર્થવ્યવસ્થા, પારિસ્થિતિકી સમાનતા, રોજગારી અને ઊર્જાની તાકાતમાં ઑર વધારો થયો છે.

સંચારણ અને પારકલન (computing) ટેક્નૉલૉજીએ પૃથ્વીવાસીઓના જીવન ઉપર ઘેરી અસર પેદા કરી છે. ઇન્ટરનેટનું સ્વરૂપ વૈશ્વિક બની રહ્યું છે. ગણક-પ્રક્રિયાઓથી અનુકરણ (simulation) પરિરૂપ રચાતાં પારિતંત્ર (ecosystem) અને હવામાનક્ષેત્રે અભ્યાસની સરળતાઓ વધી છે. સૉફ્ટવેર ઉદ્યોગથી નવાં નવાં સાધનો મળી રહેશે. પરિણામે સંશોધનકાર્યો અને કૃષિપારિતંત્ર(agroecosystem)ની સમજ વધશે. દૂરસંવેદન (remote sensing) અને અવકાશી ઉપગ્રહોથી મળતાં પરિણામો વિગતવાર ભૌગોલિક માહિતી માટે ઉપયોગી છે તથા ભૂમિગત પ્રાકૃતિક સંસાધનોના પ્રબંધનમાં સહાયરૂપ થાય છે.

ટકાઉ ઊર્જા-વિકાસ માટે સીમાંતક ટેક્નૉલૉજી, નૅનોવિજ્ઞાન અને પ્રગત દ્રવ્યો, જૈવવિજ્ઞાન અને સંજનીન(genome)ક્ષેત્રે સંશોધનથી ઉદ્ભવતી ટેક્નૉલૉજી, જ્ઞાન(માહિતી)-આધારિત સમાજ માટે માહિતીવિજ્ઞાન અને ટેક્નૉલૉજી, આહાર, પોષણ તથા પર્યાવરણને લગતી સલામતી; ઔષધ અને રોધક્ષમતા પ્રત્યેનાં વલણો વિજ્ઞાન અને ટેક્નૉલૉજીના વિકાસનાં સીમાચિહ્નો છે.

એકવીસમી સદીના અંતે અને ત્યારબાદ નવી નવી ટેક્નૉલૉજીનો પુષ્કળ માત્રામાં વિકાસ અને ઉપયોગ થશે. માણસના રોજબરોજના કાર્યક્રમોનું સંચાલન કમ્પ્યૂટર કરશે. યંત્ર-નિયંત્રિત જીવન હશે. આજે જુદી જુદી ટેક્નૉલૉજી એટલી બધી ત્વરાથી વિકસી રહી છે કે માણસ પોતાના જ જીવનકાળ દરમિયાન બદલાતી જતી સંસ્કૃતિથી અજાણ્યો બની જશે. આ સાથે માણસ કદાચ પોતાની અસ્મિતા (ઓળખ) ગુમાવી બેસે.

ભારતમાં કેન્દ્ર સરકાર સ્તરે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ(Department of Science & Technology)ની સ્થાપના 1971માં કરવામાં આવી. આ વિભાગનો મુખ્ય હેતુ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક સાથે સંકળાયેલાં નવાં ક્ષેત્રોનો દેશમાં પ્રચાર અને વિકાસ કરવો તેમજ તે માટે જરૂરી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરી તેમનું આયોજન અને સંકલન કરવું વગેરે છે.

કોઈ ચોક્કસ પ્રૉજેક્ટ અને કાર્યક્રમો માટેની વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગની મુખ્ય જવાબદારી નીચે મુજબ છે :

(1) વિજ્ઞાન અને ઉદ્યોગની નીતિ તેમજ તેની રૂપરેખા તૈયાર કરવી તેમજ વિવિધ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્ષેત્રોના વિકાસ માટે રસ અને ક્ષમતા ધરાવતી વિવિધ સંસ્થાઓનું સંકલન કરવું.

(2) ગ્રામવિસ્તાર અને નબળા વર્ગોનાં સામાજિક વર્તુળમાં વિજ્ઞાન અને ઉદ્યોગ સાથે સંકળાયેલા આવિષ્કારોને મદદ કરવી.

(3) વિજ્ઞાન અને ઉદ્યોગનો પ્રચાર અને પ્રસાર કરવો.

(4) સ્વરોજગારીની તકો ઊભી કરવી અને ઔદ્યોગિક સાહસિકતાનો વિકાસ કરવો.

(5) વિજ્ઞાન અને ઉદ્યોગ માટેની સૂચના-પદ્ધતિનું વ્યવસ્થાપન અને સંકલન કરવું.

(6) ખેતીવાડી, વૉટર-રિસોર્સિસ મૅનેજમેન્ટ, કુદરતી આફતોની ચેતવણી વગેરે માટે જરૂરી હવામાનને લગતી સૂચનાઓ અને સેવાઓ પૂરી પાડવી.

(7) અદ્યતન મેડિકલ સંશોધન અને ખગોળશાસ્ત્રીય માહિતીમાં વિશેષતા ધરાવતી સ્વનિર્ભર સંશોધક સંસ્થાઓને મદદ કરવી.

(8) દેશની રાષ્ટ્રીય સંસ્થાઓમાં થતાં પાયાનાં સંશોધનોને મદદ કરવી.

(9) ઊભરતા સાયન્સ અને ટેક્નૉલૉજીના કાર્યક્રમોને હાથ ધરવા.

ગુજરાત રાજ્યમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના મુખ્ય બે વિભાગો છે :

(1) સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી

(2) બાયૉટેક્નૉલૉજી

આ પૈકી સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી વિભાગમાં નીચેની સંસ્થાઓ કાર્યરત છે :

(1) ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી

(2) ગુજરાત કાઉન્સિલ ઑવ્ સાયન્સ સિટી

(3) ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્પેસ ઍપ્લિકેશન ઍન્ડ જિયૉઇન્ફૉર્મેટિક્સ

(4) ગુજરાત ઇન્ફૉર્મેટિક લિમિટેડ

(5) ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સિસ્મૉલોજિકલ રિસર્ચ

ગુજરાત રાજ્યના દરેક વિસ્તારમાં વિજ્ઞાનનાં પ્રચાર અને પ્રસારનું કાર્ય ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી અને ગુજરાત કાઉન્સિલ ઑવ્ સાયન્સ સિટી દ્વારા કરવામાં આવે છે; જેમાં નીચે મુજબના કાર્યક્રમોનો સમાવેશ થાય છે :

(1) લોકોને વિજ્ઞાનથી અભિમુખ કરવા.

(2) બાળકો તથા નાગરિકોમાં વૈજ્ઞાનિક વલણ વિકસાવવું.

(3) બાળકો-વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં વિવિધ તબક્કે વિજ્ઞાનપ્રવૃત્તિઓ પૂરી પાડવી.

(4) બાળકો તથા નાગરિકોમાં વિજ્ઞાન અને વિદ્યાર્થીઓને વિજ્ઞાનશિક્ષણમાં ઉપયોગી થવું.

(5) વિજ્ઞાન-વિષયક પ્રવૃત્તિઓનું આયોજન અને સંચાલન કરવું.

(6) જીવનના વિવિધ તબક્કે, વિજ્ઞાનની ઉપયોગિતા અને તેનું મહત્વ સમજાવવું.

(7) સામાજિક વિકાસમાં વિજ્ઞાનનો ફાળો મહત્વનો છે તેની સમજ આપવી.

(8) સમાજના વિવિધ સ્તરે વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓને શોધવી અને પ્રોત્સાહન પૂરું પાડવું.

(9) સંગ્રહસ્થાન(મ્યુઝિયમ)ના માધ્યમ દ્વારા જનસંપર્ક વધારવો તથા જનસમાજમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવો.

(10) શહેરી તથા ગ્રામવિસ્તારમાં પ્રવર્તતી સમાજને નુકસાનકારક અને અવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ તેમજ સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા, વહેમ કે કુરિવાજો જેવી બદીઓ સામે લોકજાગૃતિ કેળવવી તથા તેની નાબૂદી અંગેના પ્રયત્નો કરવા.

(11) વૈજ્ઞાનિક અભિગમ દ્વારા સામાજિક અને આર્થિક વિકાસ કરવો.

પ્રહલાદ છ. પટેલ, અશ્વિન મોતીભાઈ પ્રભાકર