રાજ્યાશ્રય : રાજ તરફથી કવિઓ અને કલાકારોને મળતો આશ્રય. રાજશેખરે પોતાના ‘કવિશિક્ષા’ ગ્રંથમાં રાજાઓ દ્વારા આયોજિત કવિ-સંમેલનો અને સંગીતસમારોહનું વિસ્તૃત વર્ણન કર્યું છે. રાજશેખરનું કહેવું છે કે રાજાઓ કવિઓ અને કાવ્યો તથા સંગીતકારો અને બીજા વિદ્યાકલાના વિદ્વાનોનું ગુણવત્તા અનુસાર પુરસ્કાર કરી બહુમાન કરતા. આવા વિદ્વાનોમાંથી શ્રેષ્ઠને રાજદરબારમાં કાયમી સ્થાન મળતું. રાજાઓ દ્વારા વિદ્વાનોની કસોટી માટે વાદ-સભાઓ યોજાતી. કાલિદાસ, ભારવિ જેવા કવિઓએ આવી કસોટીમાંથી પાર ઊતર્યાંનું સાહિત્યના ઇતિહાસમાં નોંધાયું છે. વિદ્વદ્-સભાઓના આયોજન માટે પ્રાચીનકાળમાં પાટલિપુત્ર અને મધ્યકાળમાં ઉજ્જયિની પ્રખ્યાત કેન્દ્ર હતું.

પ્રવીણચંદ્ર પરીખ