યોગરાજ (શાસનકાળ : ઈ. સ. 850થી 885) : વનરાજ ચાવડાનો ઉત્તરાધિકારી રાજા. એનો રાજ્યકાળ 35 વર્ષનો ગણાય છે. એની પ્રશસ્તિમાં એને પરાક્રમી અને પ્રતાપી રાજા આલેખવામાં આવ્યો છે. એ ધનુર્વિદ્યામાં નિપુણ અને રાજનીતિમાં પ્રવીણ હતો. ‘પ્રબંધ-ચિંતામણિ’માં આપેલી અનુશ્રુતિ મુજબ તેણે મનાઈ કરવા છતાં તેના પુત્રોએ વહાણોમાં પ્રભાસપાટણ આવેલો અન્ય રાજાનો માલ ગુપ્ત રીતે લૂંટી લીધો. તેથી તેને ઘણું દુ:ખ થયું. તેણે જણાવ્યું કે તેના પૂર્વજોનું ચૌરવૃત્તિનું કલંક વધ્યું હોય એમ લાગે છે. ત્યારબાદ તેણે પ્રાયોપવેશન (અન્નજળનો ત્યાગ) કરી ચિતાપ્રવેશ કર્યો. તેણે ભટ્ટારિકા યોગેશ્વરીનું મંદિર બંધાવ્યું હતું. તેના પછી ક્ષેમરાજ, રત્નાદિત્ય, વૈરિસિંહ અને સામંતસિંહ એ ચાર રાજાઓ થયા હતા.

જયકુમાર ર. શુક્લ