મિત્રવૃંદા : અવંતિ નરેશ જયસેનની પુત્રી. તેની માતાનું નામ રાજાધિદેવી હતું અને રાજાધિદેવી શ્રીકૃષ્ણની ફોઈ થતી હતી. તેના પુત્રો અનુવિંદ અને વિંદ પોતાની બહેન મિત્રવૃંદાનાં લગ્ન શ્રીકૃષ્ણ વેરે થાય એ ઇચ્છતા નહોતા. મિત્રવૃંદા માટે સ્વયંવર રચવામાં આવ્યો ત્યારે શ્રીકૃષ્ણે આક્રમણ કરીને એ બંને ભાઈઓને પરાજિત કરી મિત્રવૃંદાનું અપહરણ કર્યું. મિત્રવૃંદાને પોતાની આઠ પટરાણીઓ પૈકીની એક તરીકે સ્થાન પ્રાપ્ત થયું. શ્રીકૃષ્ણથી મિત્રવૃંદાએ દશ પુત્રોને જન્મ આપ્યો હતો. દ્વારકામાંના મિત્રવૃંદાના વૈભવશાળી મહેલની દેવગણ પણ પ્રશંસા કરતા હતા.

પ્રવીણચંદ્ર પરીખ