માર્શલ, જૉન હ્યૂબર્ટ (સર) (જ. 1876, ચેસ્ટર, ચેશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1958) : જાણીતા પુરાતત્વવિજ્ઞાની. તેમણે કેમ્બ્રિજ ખાતે પ્રશિષ્ટ સાહિત્યનો અભ્યાસ કર્યો; તેમણે ગ્રીસ ખાતે ઉત્ખનન-સંશોધન હાથ ધર્યું. 1902–31 સુધી તેમણે ભારતમાંના ‘ડિરેક્ટર જનરલ ઑવ્ આર્કિયૉલૉજી’ તરીકે કીમતી કામગીરી બજાવી; તેમણે હિમાલયની તળેટીમાં આવેલા તક્ષશિલા શહેરમાં 1913થી ’33 દરમિયાન ઉત્ખનન-કાર્ય કર્યું. ત્યારબાદ સાંચી તથા સારનાથ જેવાં બૌદ્ધ ધર્મનાં કેન્દ્રસ્થળો ખાતે પણ એવું કાર્ય હાથ ધર્યું. 1920ના દાયકામાં સિંધુ ખીણ-વિસ્તારમાં

જૉન હ્યૂબર્ટ માર્શલ

તેમણે મોહેં-જો-ડેરો તથા હરપ્પા ખાતે જે ઉત્ખનન કર્યું તેના જ પરિણામે ભારતીય સંસ્કૃતિની પ્રાચીનતા સૌપ્રથમ વાર સિદ્ધ થઈ શકી. 1914માં તેમને ‘સર’ નો ખિતાબ અપાયો હતો.

મહેશ ચોકસી