માતા ભવાનીની વાવ

January, 2002

માતા ભવાનીની વાવ : અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી 14મી સદીમાં બંધાયેલી વાવ. આ વાવના બાંધકામનો ચોક્કસ સમય નક્કી થઈ શકતો નથી, પરન્તુ તે સલ્તનતકાળમાં તો હશે જ એટલું પ્રતીત થાય છે. તેનું બાંધકામ જોતાં લાગે છે કે આ વાવ અમદાવાદ શહેર વસ્યું તે પહેલાંની હશે. આ વાવનું ચડાણ સીધું છે, તેથી તેનાં પગથિયાં સીધાં બનાવવાને બદલે થોડે દૂર કાપીને આડાં બનાવ્યાં છે. તેમાંના થાંભલા તથા બીજું કેટલુંક કોતરકામ પાછળથી થયેલું જણાય છે. ‘મિરાતે અહમદી’ ગ્રંથમાં મીરઝા મુહમ્મદ હસન ઉર્ફે અલી મુહમ્મદખાને આ વાવનો ઉલ્લેખ કર્યો છે. આ વાવમાં ગોખમાંની ભવાનીમાતાની મૂર્તિ પ્રાચીન જણાતી નથી. આ વાવને ત્રણ માળ અને એક પ્રવેશદ્વાર છે. તેથી આ વાવ નંદા પ્રકારની ગણાય છે. તેની રચના હિંદુ બાંધકામપદ્ધતિને અનુકૂળ છે. તેમાં વાવનો વિસ્તાર ઓછી જગ્યા રોકતો હોય છે અને એટલી જગ્યામાં વધુ ઊંડાણવાળું ખોદકામ કરવામાં આવેલું હોય છે.

શિવપ્રસાદ રાજગોર