બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ નવમાથી અભ્યાસ છોડીને સ્વદેશી ચળવળમાં ભાગ લેવા માંડ્યો. આ દરમિયાન ક્રાંતિકાર સત્યેન બોઝના સંપર્કમાં આવવાથી તે ક્રાંતિકારી જૂથમાં જોડાયા. ત્યાં તેમને શારીરિક, નૈતિક અને રાજકીય શિક્ષણ આપવામાં આવ્યું. તેમણે ભગવદગીતા, મેઝિની અને ગૅરિબાલ્ડીનાં જીવનચરિત્રો, ફ્રાંસની ક્રાંતિ તેમજ અમેરિકન સ્વાતંત્ર્યયુદ્ધનો અભ્યાસ કર્યો. ત્યાં રિવૉલ્વરનો ઉપયોગ પણ શીખવવામાં આવ્યો. બંગભંગની ચળવળ (1905) દરમિયાન બ્રિટિશ માલનો બહિષ્કાર તથા તેની હોળી કરવામાં તેમજ ‘વંદે માતરમ્’ પત્રિકા વહેંચવામાં પણ તે ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા. ‘સોનાર બાંગ્લા’ નામની રાજદ્રોહી પત્રિકા વહેંચતાં 28 ફેબ્રુઆરી 1906ના રોજ પોલીસે મિદનાપુરમાં તેમની ધરપકડ કરી, ત્યારે પોલીસને ઘાયલ કરી તે નાસી ગયા.

ખુદીરામ બોઝ
તેમની ફરી વાર ધરપકડ કરી કેસ ચલાવવામાં આવ્યો, પરંતુ સગીર વય હોવાથી 16 મે, 1906ના દિવસે તેમને છોડી દેવામાં આવ્યા. તેમણે 1907માં હરગાચામાં ટપાલના થેલા લૂંટવામાં ભાગ લીધો. બંગાળના ગવર્નરની સ્પેશ્યલ ટ્રેન પર 6 ડિસેમ્બર, 1907ના રોજ નારાયણગઢ રેલવે સ્ટેશન પાસે બૉંબ નાખવામાં તેમણે ભાગ લીધો હતો. 1908માં વૉટસન અને બેમ્ફિલ્ડ ફુલર નામના બે અંગ્રેજ અધિકારીઓને મારી નાખવાના પ્રયાસોમાં પણ તેઓ સંકળાયેલા હતા.
યુગાન્તર જૂથના ક્રાંતિકારી નેતા બારીન્દ્રકુમાર ઘોષે (અરવિંદ ઘોષના ભાઈ) અગાઉ કૉલકાતાના ચીફ પ્રેસિડન્સી મૅજિસ્ટ્રેટ કિંગ્સફર્ડની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું, કારણ કે રાષ્ટ્રવાદી ચળવળને કચડી નાખવા તે ક્રાંતિકારીઓને ઘણી કડક સજા કરતો હતો. કિંગ્સફર્ડની મુઝફ્ફરપુર(બિહાર)ના સેશન્સ જજ તરીકે બદલી થઈ હતી. બારીન્દ્ર ઘોષે ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીને બૉંબ આપીને કિંગ્સફર્ડની હત્યા કરવા મોકલ્યા. તેમણે 30 એપ્રિલ 1908ના રોજ કિંગ્સફર્ડની બગ્ગી પર બૉંબ નાંખ્યો. તેમાં કિંગ્સફર્ડ નહોતા, પરંતુ તેમાં બેઠેલાં શ્રીમતી કેનેડી અને તેની પુત્રી મરણ પામ્યાં. તેમની ધરપકડ કરી તેમને મૃત્યુદંડની સજા કરવામાં આવી. મુઝફ્ફરપુરની જેલમાં 11 ઑગસ્ટ, 1908ના રોજ તેમને ફાંસી આપવામાં આવી. દેશના સ્વાતંત્ર્ય માટે, ફાંસીની સજા ભોગવનાર પ્રથમ શહીદ તરીકે તેમને યાદ કરવામાં આવે છે.
જયકુમાર ર. શુક્લ