પ્રાકૃતાનન્દ : વરરુચિના પ્રાકૃત વ્યાકરણગ્રંથ ‘પ્રાકૃતપ્રકાશ’ પર લખાયેલો વિવરણગ્રંથ. તે અઢારમા શતકમાં રચાયેલો. તેના રચયિતા છે જ્યોતિર્વિદ્ સરસના પુત્ર પંડિત રઘુનાથ શર્મા. મુનિશ્રી જિનવિજયજીની સિંધી જૈન ગ્રંથમાળામાં ભારતીય વિદ્યાભવન તરફથી તે 1961માં પ્રકાશિત થયો છે. આ ગ્રંથમાં કુલ 419 સૂત્રો છે. તે બે પરિચ્છેદમાં વહેંચાયેલાં છે. પ્રથમ પરિચ્છેદમાં શબ્દવિચાર છે અને બીજામાં ધાતુવિચાર. છઠ્ઠી શતાબ્દીમાં થયેલા વરરુચિનો ‘પ્રાકૃતપ્રકાશ’ ગ્રંથ પ્રાકૃત વ્યાકરણનો પ્રથમ ઉપલબ્ધ ગ્રંથ હોઈ ઘણું મહત્વ ધરાવે છે. આથી તેના ઉપર ઘણી ટીકાઓ રચાઈ છે, જેમાંની ‘પ્રાકૃતાનન્દ’ એક છે. તે ટીકા કરતાં કાંઈક વિશેષ હોઈ, તેમાં ર્દષ્ટાંતો વગેરેની રજૂઆત સરસ રીતે કરાઈ છે. જેવી રીતે ત્રિવિક્રમે રચેલ વ્યાકરણનાં સૂત્રોને સમુદ્રબન્ધયજવનના પુત્ર પં. સિંહરાજે પોતાના ‘પ્રાકૃતરૂપાવતાર’માં, તેવી જ રીતે પં. રઘુનાથ શર્માએ વરરુચિના ‘પ્રાકૃતપ્રકાશ’નાં સૂત્રોને સરસ રીતે અહીં રજૂ કર્યાં છે.

જયન્ત પ્રે. ઠાકર