પોપ : પોપ ખ્રિસ્તી ધર્મના રોમન કૅથલિક સંપ્રદાયના વડા ધર્મગુરુ છે. પોપ શબ્દ લૅટિન ભાષાના Papa અર્થાત્ પિતા ઉપરથી ઊતરી આવ્યો છે. પોપ સુપ્રીમ પોન્ટીફ, રોમન પોન્ટિફ અથવા સોવેરીન પોન્ટિફ તરીકે પણ ઓળખાય છે. તેઓ રોમના બિશપ છે. આઠમી સદીથી 1870 સુધી પોપ પાપાલ રાજ્યના સાર્વભોમ અથવા વડા હતા અને 1929થી સૌથી નાનકડા વૅટિકન સ્ટેટના વડા છે. પોપ એ ઈસુ ખ્રિસ્તના પ્રતિનિધિ, સંત પીટરના ઉત્તરાધિકારી અને શ્રીસભા(કૅથલિક ધર્મસંઘ)ના અધ્યક્ષ છે. ઈસુએ પોતાના બાર શિષ્યો (પ્રેષિતો) પૈકી પીટરને સંબોધતાં કહ્યું હતું કે પીટર એટલે કે પર્વત ઉપર ધર્મસંઘની સ્થાપના કરીશ અને સ્વર્ગના રાજ્યની ચાવી સોંપવામાં આવી. આમ પ્રથમ પોપ સંત પીટર હતા. ત્યારથી પોપની પરંપરા ચાલુ છે.

જૉન પૉલ (બીજા) (વર્તમાન પોપ)

તેમનું કાર્યાલય પાપાસિ (Papacy) તરીકે ઓળખાય છે. તેમની ન્યાયિક હકૂમત હોલિ સી (Holy see) છે. see શબ્દ લૅટિન seat અથવા chair માટે વપરાય છે. અર્થાત્ પવિત્ર બેઠક. કૅથલિક પરંપરા પ્રમાણે આ પવિત્ર બેઠકની સ્થાપના સેંટ પીટર અને સેન્ટ પૉલે પ્રથમ સદીમાં કરી હતી. પાપાસી એ વિશ્વની મજબૂત સંસ્થાઓ પૈકીની એક છે. અને માનવઇતિહાસમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. ખ્રિસ્તી ધર્મના પ્રસારમાં પોપે ઘણી મદદ કરી છે. વિવિધ ધાર્મિક વિવાદોના ઉકેલ માટે પણ પોપે દરમિયાનગીરી કરી છે. એક વખત યુરોપના રાજકારણમાં પોપનો ઘણો જ પ્રભાવ હતો. ઈ. સ. 390માં સમ્રાટ થિઓડોસિયસે દલીલ કરી હતી કે સમ્રાટ ચર્ચમાં છે, પરંતુ પોપની ઉપર નથી. બીજી જગ્યાએ નોંધે છે કે શ્રદ્ધા સાથે સંકળાયેલ બાબતમાં ખ્રિસ્તી સમ્રાટોનો ન્યાય કરવાની પ્રથા છે, પરંતુ બિશપનો ન્યાય કરવાની સત્તા સમ્રાટને નથી. પોપગીરી (papacy) સદીઓ સુધી ટકી રહે તે માટે પોપ લિઓએ ઘણા માર્ગ અપનાવ્યા હતા. ગ્રેગરી ધી ગ્રેટ (590–604) છેલ્લા રોમન અને પ્રથમ મધ્યકાલીન પોપ હતા. તેઓ પોપગીરીને ખૂબ જ ઊંચા સ્થાને લઈ ગયા. મધ્યકાળના અને પોપના ઇતિહાસમાં ગ્રેગરી સાતમા (1073–1085) પોપ ખૂબ જ પ્રસિદ્ધ અને ખંતીલા હતા. તેમણે પોપની સત્તાનું મહત્ત્વ દર્શાવતા ઘણા વિચારો દાખલ કર્યા. જેમ કે માત્ર પોપના જ પગને રાજાઓ ચુંબન કરી શકતા. દેવળોમાં પોપનું નામ જ બોલવામાં આવે, પોપ સમ્રાટોને પદભ્રષ્ટ કરી શકે કે ગાદી પરથી ઉઠાડી શકે, પોપની પરવાનગી વિના કોઈ પણ પુસ્તક કે પ્રકરણને ધાર્મિક કાયદા (canonical) પ્રમાણેનું ગણી શકાય નહિ, તે પોતે જ પોતાનો ન્યાય તોળી શકે, બીજું કોઈ નહિ. ગ્રેગરીએ આ સત્તાનો દાવો કર્યો; એટલું જ નહિ, પણ તેનો અમલ પણ કર્યો હતો. ગ્રેગરીએ 1075માં જર્મનીના હેનરી ચોથાને પદચ્યુત કર્યો. પોપ ઇનોસન્ટ ત્રીજા(1198–1216)ના સમયમાં પોપશાહી તેના સર્વોચ્ચ સ્થાને પહોંચી હતી. તેમણે કોઈ પણ પોપ કરતાં વધારે પત્રો લખ્યા હતા. તેમણે રોમની પીઠ(કેન્દ્ર)ને રાજકીય દૃષ્ટિએ ઘણી મજબૂત બનાવી હતી. હાલ વર્તમાન પોપ તરીકે લિઓ 14મા છે તેમનું અસલ નામ રોબર્ટ પ્રવોસ્ટ છે અને તેઓ 267મા પોપ છે. 8 મે, 2025ના રોજ તેઓ પોપ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

ચીનુભાઈ નાયક

થોમસ પરમાર