પેટલાદ : ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. આ તાલુકો 22o 21’થી 22o 40′ ઉ. અ. અને 72o 40’થી 72o 56′ પૂ. રે. વચ્ચે આવેલો છે. ‘પુરાતન પ્રબંધસંગ્રહ’ અને ‘પ્રબંધકોશ’માં પેટલાદનો ‘પેટલાઉદ્ર’ તરીકે ઉલ્લેખ મળે છે. તેરમી સદીના વિનયચંદ્રના ‘કાવ્યશિક્ષા’ ગ્રંથમાં ‘પેટાલપદ્ર’ અને ‘પેટલાઉદ્ર’ બે નામો મળે છે. અનુશ્રુતિ પ્રમાણે સોલંકી વંશના ગોધરા-શાખાના સ્થાપકની ચૌદમી પેઢીના વંશજે ઈ. સ. 456માં આ સ્થળે ગાદી સ્થાપી હતી. તે પંપાવતી તરીકે જાણીતું હતું. વીસલદેવ વાઘેલા પાસે તેના ભાઈ વીરમે પાંચ ગામો માગેલાં, તેમાં પેટલાદનો સમાવેશ થતો હતો.

આ તાલુકાનું ક્ષેત્રફળ 475.2 ચોકિમી. છે. તાલુકામાં એક શહેર અને 84 ગામો આવેલાં છે. 2011માં તાલુકાની વસ્તી આશરે 2,87,924 હતી. આ તાલુકાની ઉત્તરે માતર અને નડિયાદ તાલુકાઓ, દક્ષિણે ખંભાત અને બોરસદ તાલુકાઓ, પૂર્વમાં આણંદ અને બોરસદ તાલુકાઓ અને પશ્ચિમે ખંભાત અને માતર તાલુકા આવેલા છે. તાલુકાનું નામ તાલુકામથક પરથી પડેલું છે.

આ તાલુકાનું ભૂપૃષ્ઠ સપાટ છે. જમીન ગોરાડુ અને ફળદ્રૂપ છે. આંબા, આંબલી, રાયણ, મહુડા જેવાં વૃક્ષો તથા કાયમી લીલાંછમ ખેતરોને કારણે સમગ્ર પ્રદેશ રળિયામણો લાગે છે. અહીં નદીઓ કે જંગલો નથી.

અહીં ઉનાળા પ્રમાણમાં ગરમ અને શિયાળા પ્રમાણમાં ઓછા ઠંડા રહે છે. ઉનાળામાં મે માસનું મહત્તમ અને લઘુતમ તાપમાન 46o સે. અને 26o સે. તથા શિયાળામાં જાન્યુઆરી માસનું મહત્તમ અને લઘુતમ તાપમાન 32o સે. અને 15o સે. જેટલું રહે છે. વરસાદની ઋતુ 15મી જૂનથી 15 સપ્ટેમ્બર સુધીની ગણાય છે, જે દરમિયાન સરેરાશ 700-750 મિમી. જેટલો વરસાદ પડે છે. 1989માં અને 1990માં અહીં અનુક્રમે 902 અને 1530 મિમી. વરસાદ પડ્યો હતો.

આ તાલુકાની કુલ 40,978 હેક્ટર ખેતીલાયક જમીન પૈકી 79 %થી 83 %  વિસ્તારમાં ઘઉં, ડાંગર, બાજરી, કઠોળ, શેરડી, મરી-મસાલા અને શાકભાજી જેવા ખાદ્યપાકો તથા બાકીના વિસ્તારમાં તમાકુ, કપાસ, તેલીબિયાં અને ઘાસ જેવા અખાદ્ય પાકોનું વાવેતર થાય છે. 32થી 34 હજાર હેક્ટર જમીનને નહેરો, પાતાળકૂવા અને સાદા કૂવા દ્વારા સિંચાઈનો લાભ મળે છે.

અહીં કાંકરેજી ગાય, બળદ, સુરતી ભેંસ, બકરાં તથા મરઘાં-બતકાંનો ઉછેર કરવામાં આવે છે. પશુપાલનમાંથી દૂધ-વેચાણનો વ્યવસાય વિકસ્યો છે.

તાલુકાના પેટલાદ શહેરમાં મુખ્યત્વે યંત્ર-સંચાલિત ઉદ્યોગો વિકસ્યા છે. પેટલાદ અને સોજિત્રાની ઔદ્યોગિક વસાહતોમાં કેટલાંક કારખાનાં કાર્યરત છે. તાલુકાનાં મોટાં ગામોમાં બીડી વાળવાનો ગૃહઉદ્યોગ હવે અંશત: ચાલે છે. વેપાર-ઉદ્યોગની સુવિધા માટે તાલુકામાં રાષ્ટ્રીય બૅંકોની અને સહકારી બૅંકોની શાખાઓ આવેલી છે. તાલુકામાં જાહેર બાંધકામ ખાતા હસ્તક અને જિલ્લા પંચાયત હસ્તક 555 કિમી.ના રસ્તાઓ છે.

તાલુકાની કુલ વસ્તી પૈકી 55,330 વસ્તી શહેરી અને 2,32,594 વસ્તી ગ્રામીણ છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. કુલ વસ્તીના 70 % લોકો ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છે.

આ તાલુકો અગાઉ જ્યારે વડોદરા રાજ્યમાં હતો ત્યારે અહીં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હતું, પુસ્તકાલય-પ્રવૃત્તિને પ્રોત્સાહન અપાયું હતું. આ કારણે આ તાલુકાનું એક પણ ગામ શાળા વિનાનું નથી. તાલુકામાં બાળમંદિરો, પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શાળાઓ તેમજ ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ છે.  સંસ્કૃત પાઠશાળાઓ, તથા તાલુકા-પુસ્તકાલય,  અન્ય પુસ્તકાલયો અને પ્રૌઢશિક્ષણ-કેન્દ્રો હતાં.

પેટલાદ (શહેર) : 22o 28′ ઉ.અ. અને 72o 48′ પૂ. રે. તે આણંદથી 22 કિમી. દૂર, આણંદ-ખંભાત બ્રૉડગેજ રેલમાર્ગ પર તથા નડિયાદ-ભાદરણ નૅરોગેજ રેલમાર્ગ પર આવેલું છે અને રેલમાર્ગ પરનું જંક્શન છે. તે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનની બસ દ્વારા અમદાવાદ, વડોદરા, ખંભાત, નડિયાદ, આણંદ, સોજિત્રા સાથે જોડાયેલું છે. પેટલાદ તાલુકામથક હોવાથી આજુબાજુનાં ગામોના લોકો માટેનું ખરીદ-વેચાણનું કેન્દ્ર બની રહેલું છે. અહીંના માર્કેટયાર્ડમાં અનાજ, કઠોળ, તેલીબિયાં, તમાકુ, કપાસ વગેરે વેચાવા માટે આવે છે. વેપારની અનુકૂળતા માટે અહીં જુદી જુદી બૅંકની શાખાઓ, ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બૅંક તથા પેટલાદ નાગરિક સહકારી બૅંકની સગવડ છે.

પેટલાદમાં  વિવિધ પ્રકારના નાના પાયા પરના ઔદ્યોગિક એકમો આવેલા છે.

પેટલાદ તેની આજુબાજુના વિસ્તાર માટેનું મહત્ત્વનું શૈક્ષણિક કેન્દ્ર પણ છે. બાળમંદિરો, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાનની કૉલેજો, સંસ્કૃત પાઠશાળાઓ, માધ્યમિક શિક્ષકો માટેનું અધ્યાપન મંદિર અહીં આવેલાં છે. આ ઉપરાંત મોતીભાઈ અમીને શરૂ કરેલું પાટીદાર વિદ્યાર્થીગૃહ તથા અન્ય જ્ઞાતિઓનાં છાત્રાલયો પણ છે.

પેટલાદ શહેરની વસ્તીમાં પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ લગભગ સરખું છે. તે પૈકી આશરે 40 % લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. આ નગરમાં 1609નો શિલાલેખ ધરાવતી શિકોતરી માતાની વાવ, પાંડવ તળાવ, સોમનાથ, રામનાથ અને વૈજનાથ મહાદેવનાં મંદિરો, રણછોડજી અને લક્ષ્મીનારાયણનાં મંદિરો, કાલિકા અને ચામુંડા માતાનાં મંદિરો, રોકડિયા હનુમાનનું મંદિર, અરજણશા અને ગેબનશા પીરની દરગાહ તથા કુંડ જોવાલાયક સ્થળો છે. અગાઉના વખતમાં આ નગર સમગ્ર ચરોતર પંથક માટેનું 104 ગામોનું કેન્દ્રીય મથક હતું.

શિવપ્રસાદ રાજગોર