ઠક્કુર, નારાયણ વિસનજી

January, 2014

ઠક્કુર, નારાયણ વિસનજી (જ. 17 ફેબ્રુઆરી 1880, મુંબઈ; અ. 17 ફેબ્રુઆરી 1938, મુંબઈ) : ગુજરાતી નવલકથાકાર અને કવિ. ગુજરાતીનો અભ્યાસ શાળામાં કર્યા પછી ખાનગીમાં અંગ્રેજી, સંસ્કૃત ઉપરાંત ફારસી, ઉર્દૂ, મરાઠી અને બંગાળીનો પણ પરિચય મેળવેલો. પિતા ઠક્કુર વિસનજી ચત્રભુજ વેપારી અને વડવાઓ અફીણના સરકારી ઇજારદાર હતા. જ્ઞાતિએ કચ્છી લોહાણા. સંન્યાસ લીધા પછી જગન્નાથપુરીમાં નિવાસ, માતાનું નામ લાછબાઈ. વાચનના અત્યંત શોખને કારણે સંખ્યાબંધ પુસ્તકો વસાવેલાં અને વાંચેલાં. અવિરત લેખનની પ્રવૃત્તિ કરી હતી, જે નાની વયે નાટક કંપનીમાં નટ તરીકે કામ કરેલું ત્યારથી મૃત્યુ સુધી ચાલુ રહેલી. મરાઠી, હિંદી, ઉર્દૂ અને બંગાળીમાંથી કેટલાક અનુવાદ કરેલા. નાટક કંપનીમાં કામ કરવાને લીધે તે વાણી ઉપર સારું પ્રભુત્વ ધરાવતા હતા.

‘ગુજરાતી’ના તંત્રીએ તેમની પાસે ચાલુ સાંસારિક વાર્તાઓ લખાવી તેમજ ઐતિહાસિક નવલકથાનાં પુસ્તકો ભેટ રૂપે આપી ઠક્કુરને પ્રસિદ્ધિ અપાવી હતી. પરિણામે વિશાળ વાચકવર્ગ મેળવનાર અને માત્ર લેખનના વ્યવસાય ઉપર જ નિર્વાહ ચલાવનાર થોડા ગુજરાતી લેખકોમાં નારાયણ ઠક્કુર હતા.

સમય જતાં તેમની કલમનું આકર્ષણ ઓછું થયું ત્યારે હિંદુત્વને લગતાં પુસ્તકો ‘હિંદુ ગૌરવ ગ્રંથમાળા’ નામે બહાર પાડેલાં. તેઓ લોહાણા કોમનું એક સાપ્તાહિક ચલાવતા. પોતાની કોમના નામાંકિત પુરુષોનાં જીવનચરિત્રો એકત્રિત કરી મોટો ગ્રંથ તૈયાર કરવાનું કામ ઉપાડેલું, પરંતુ હૃદય બંધ પડવાથી મૃત્યુ થતાં તે કાર્ય અધૂરું રહેલું.

એમનાં પ્રસિદ્ધ પુસ્તકોની સંખ્યા સો ઉપરની છે. અપ્રસિદ્ધ સાહિત્ય પણ ઘણું છે. એમની ઐતિહાસિક નવલકથાઓમાં ‘પ્લાસીનું યુદ્ધ અથવા ક્લાઇવનું કપટતંત્ર’ (1905), ‘હલદીઘાટનું યુદ્ધ અથવા અકબરનો પરાજય’ (1906), ‘પદ્મિની અથવા ભસ્મીભૂત ચિતોડ’ (1910), ‘હમ્મીર હઠ અથવા રણથંભોરનો ઘેરો’ (1914), ‘અનંગભદ્રા અથવા વલભીપુરનો વિનાશ’ (1918); ‘કચ્છનો કાર્તિકેય અથવા જાડેજા વીર ખેંગાર’ (1922), ‘મહારાણી મયણલ્લા અથવા ગુજરાતની માતા’ (1924), ‘અમર ગર્જના અથવા સુષુપ્તિ અને જાગરણ’ (1930) વગેરે મુખ્ય છે. ઉપરાંત ‘વિશ્વરંગ’ (પાંચ ઐતિહાસિક વાર્તાઓ), ‘2500 વર્ષ પૂર્વેનું હિંદુસ્તાન’, ‘ચક્રવર્તી બાપા રાવળ’, ‘બેગમ બાઝાર’ (3 ખંડ), ‘બાદશાહ બાબર’, ‘નાદિરનો દોરદમામ’, ‘યૌવનચક્ર’ (બે ખંડ), ‘રત્નદેવી’ વગેરે અનેક કૃતિઓ પણ તેમના નામે છે.

સામાજિક નવલકથાઓમાં ‘આજકાલનો સુધારો કે રમણીય ભયંકરતા’, ‘મુગ્ધા મીનાક્ષી’, ‘કુસુમકંટક અથવા રમણી કે રાક્ષસી’, ‘બાળવિધવા કલ્યાણી’, ‘વિલાયતી વિલાસમાં ફૅશનબાઈ ખલાસ’, ‘ચુડેલનો વાંસો અથવા એક નટીની આત્મકથા’ (બે ખંડ), ‘સંસાર સમસ્યા’, ‘મારી ભયંકર સંસારયાત્રા’, ‘આજકાલનું હિંદુસ્તાન’ (4 ભાગ), ‘વીસમી સદીની વસંતસેના’ (બે ભાગ) છે. ‘માલવકેતુ’ (1927), ‘સંસાર પારિજાત’ અને ‘કૃષ્ણભક્ત બોડાણો’ એમણે લખેલાં નાટકો છે. કાવ્યસંગ્રહ ‘કાવ્ય-કુસુમાકર’ 1939માં મરણોત્તર પ્રગટ થયેલો. તેમનાં ઇતિહાસ, ધર્મ અને તત્વજ્ઞાનને લગતાં પુસ્તકોમાં ‘મૃગશીર્ષ અને વેદોમાં આર્યોનો ઉત્તરધ્રુવનિવાસ’, ‘જ્ઞાનેશ્વરી ગીતા’, ‘અમૃતાનુભવ’, ‘વિવેકાનંદ વિચારમાળા’ (પાંચ ભાગ), ‘અમરલાલ ચરિત્ર’, ‘અરવિંદ વિચારમાળા’ (બે ખંડ), ‘નારાયણ ગદ્યગંગા’, ‘ધર્મભ્રષ્ટોનું શુદ્ધીકરણ’, ‘દંપતીશાસ્ત્ર’, ‘હિંદુ સંગઠન’, ‘સૌભાગ્યરાત્રિ’, ‘હિરણ્યગર્ભ હિંદુ’ વગેરે છે.

‘ભારત લોકકથા’(ભા. 1થી 10)માં લોકકથાઓ છે. એમનાં અપ્રસિદ્ધ નાટકોના ઑપેરાની ‘પરશુરામ’, ‘બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર’, ‘ચાલુ જમાનો’, ‘દગાબાજ દુનિયા’, ‘દેવી દમયંતી’, ‘સાધુ કે શયતાન’, ‘માયા મોહિની’,  ‘અનંગ પદ્મા’, ‘ગર્વખંડન’ જેવી પુસ્તિકાઓ બહાર પડેલી.

તેમનું ગદ્ય ચિત્રાત્મક, કૃત્રિમ ઝડઝમકવાળું અને સંસ્કૃત તથા ફારસી શબ્દોથી ખીચોખીચ એક જ ધાટીમાં બંધાયેલું હતું.

મધુસૂદન પારેખ