જાડેજા, દિલાવરસિંહ દાનસિંહજી

January, 2012

જાડેજા, દિલાવરસિંહ દાનસિંહજી (જ. 5 સપ્ટેમ્બર 1933, પીપળિયા, જિ. રાજકોટ, સૌરાષ્ટ્ર; અ. 19 ડિસેમ્બર 2005, વલ્લભવિદ્યાનગર, જિ. આણંદ) : સાહિત્ય અને કેળવણીના ઉપાસક તથા શ્રી અરવિંદના સાધક. તેમણે માધ્યમિક શિક્ષણ ધ્રોળમાં, ઉચ્ચ શિક્ષણ રાજકોટ તથા અમદાવાદમાં લઈ 1956માં ગુજરાત યુનિવર્સિટીની એમ.એ.ની ડિગ્રી મેળવી. ‘ગુજરાતી કવિતામાં પ્રતિબિંબિત રાષ્ટ્રીય અસ્મિતા’ વિષય પર મહાનિબંધ લખી 1965માં મ. સ. યુનિવર્સિટી(વડોદરા)માંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી.

દિલાવરસિંહ દાનસિંહજી જાડેજા

તેમણે વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલય, વલ્લભવિદ્યાનગર ખાતે ગુજરાતીના અધ્યાપક તરીકે ઑગસ્ટ, 1956થી કારકિર્દી શરૂ કરી. જૂન 1967થી 1990 સુધી વલ્લભવિદ્યાનગરની નલિની-અરવિંદ અને ટી. વી. પટેલ આર્ટ્સ કૉલેજના પ્રિન્સિપાલ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી. કૉલેજના નોંધપાત્ર સંચાલનની કદર કરીને 1990માં ગુજરાતની સર્વોત્તમ આર્ટ્સ કૉલેજ તરીકે ગુજરાત સરકાર તરફથી તેમને ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે ફૅકલ્ટી ઑવ્ આર્ટ્સના ડીન તરીકે તથા અન્ય શૈક્ષણિક હોદ્દાઓ પર રહીને અનેકવિધ સેવાઓ આપી છે. તેઓ અનુસ્નાતક અધ્યાપક અને સંશોધન-માર્ગદર્શક હતા. 1974–75માં તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તથા 1991માં કોઇમ્બતૂરમાં મળેલા સાહિત્ય પરિષદના અધિવેશનમાં વિવેચન-સંશોધન વિભાગના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી હતી.

કૉલેજના આચાર્ય તરીકે, નબળી આર્થિક સ્થિતિના વિદ્યાર્થીઓ વાસ્તે, રેક્ટરની મદદ લઈ, વીસેક વર્ષ સુધી સ્વયંપાકી છાત્રાલય ચલાવ્યું હતું. નબળી સ્થિતિના સર્વ જ્ઞાતિઓના વિદ્યાર્થીઓ વાસ્તે તેમણે શિષ્યવૃત્તિ તથા લોન-શિષ્યવૃત્તિની જોગવાઈ કરી હતી. આ પ્રયોગ અનેક વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન હતો. એપ્રિલ 1990થી 1996 સુધી, બે સત્ર તેમણે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના કુલપતિ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. તે દરમિયાન તેઓ શૈક્ષણિક, સાહિત્યિક તથા શ્રી અરવિંદની આધ્યાત્મિક પ્રવૃત્તિમાં વિશેષ રસ ધરાવતા હતા.

ડૉ. જાડેજાએ 1978માં, યુનાઇટેડ સ્ટેટ્સ એજ્યુકેશનલ ફાઉન્ડેશન ઇન ઇન્ડિયાના ઉપક્રમે અમેરિકાની કેટલીક યુનિવર્સિટીઓમાં છ સપ્તાહની અભ્યાસ-મુલાકાત લીધી હતી. 1987માં કૅન્યાની, 1993માં બ્રિટનની યુનિવર્સિટી ઑવ્ વેલ્સના ઉપક્રમે સ્વાન્ઝીમાં અને 1996માં માલ્ટામાં મળેલી ઍસોસિયેશન ઑવ્ કોમનવેલ્થ યુનિવર્સિટીઝના એક્ઝિક્યુટિવ હેડ્ઝની પરિષદમાં તેમણે ભાગ લીધો હતો. ઑગસ્ટ 1995માં શિકાગોના મેયરે તેમને શિકાગો મુકામે તે શહેરની ‘ઑનરરી સિટીઝનશિપ’ એનાયત કરી હતી.

ડૉ. જાડેજાએ મહાનિબંધ ઉપરાંત ‘પ્રતિધ્વનિ’, ‘વિવક્ષા’, ‘સમરુચિ’, ‘ધૂમકેતુ’ વગેરે વિવેચનગ્રંથો તથા ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન’ વગેરે ગ્રંથો આપ્યા છે. તેમના કેટલાક સંપાદનગ્રંથો પણ છે. શ્રી અરવિંદ અને માતાજીનું જીવનદર્શન તથા લેખન, સંપાદન, વિદ્યાર્થીકલ્યાણની પ્રવૃત્તિઓ ઇત્યાદિમાં તેઓ વિશેષ રસ ધરાવતા હતા. શ્રી અરવિંદ સાધના કેન્દ્ર, વલ્લભવિદ્યાનગરના તેઓ અધ્યક્ષ હતા. જાન્યુઆરી 1999થી કેટલોક સમય તેઓ ‘અખંડ આનંદ’ માસિકના તંત્રીમંડળના અધ્યક્ષ રહ્યા હતા. તેઓ સરદાર પટેલ સ્મારક ભવન, કરમસદના માનાર્હ નિયામક પણ હતા. એમના એક અનુવાદ-ગ્રંથનું નામ ‘રાજકારણમાં મનુષ્યસ્વભાવ’ છે.

જયકુમાર ર. શુક્લ