ગોન યુદ્ધા રેડ્ડી : પ્રસિદ્ધ તેલુગુ લેખક અડિવિ બાપ્પીરાજુની નવલકથા તથા મુખ્ય પાત્રનું નામ. ગોન રેડ્ડી કાકતીય સામ્રાજ્યનો સેનાપતિ હતો. એ ઐતિહાસિક નાયકના ચરિત્રને આધારે નવલકથાની રચના થઈ છે. સ્વાભાવિક રીતે આ ચરિત્રપ્રધાન નવલકથા છે. ગોન રેડ્ડીએ યુદ્ધકૌશલથી યુદ્ધો જીતેલાં એ તો ખરું જ, પણ એ મુત્સદ્દીગીરીમાં પણ એટલો જ કુશળ હતો. લેખકે નવલકથામાં ગોનના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંનો પરિચય આપ્યો છે. ગોન તેલુગુ નવલકથા-સાહિત્યના એક જીવંત પાત્ર તરીકે લોકહૃદયમાં સ્થાન પામેલ છે.

પાંડુરંગ રાવ