કૃતિ-કૃતિત્વ : કલાત્મક રચના. લેખક, કવિ કે કલાકારના કર્તૃત્વથી રચાયેલ સાહિત્ય, સંગીત, મૂર્તિ કે ચિત્ર. પ્રત્યેક કલાત્મક કૃતિ એ વિચારો, ભાવનાઓ અને સંવેદનાઓનું પ્રકટીકરણ છે, જેનું વ્યક્ત સ્વરૂપ જુદાં જુદાં માધ્યમો દ્વારા વિશિષ્ટ સંકેત રૂપે વ્યક્ત થાય છે. આ વ્યક્ત સ્વરૂપ પ્રતીક બનીને ભોક્તા કે ભાવકના મનમાં કલાકારના વિચારો, તેની ભાવનાઓ કે સંવેદનાઓને પ્રગટ કરે છે. આ રીતે ‘કૃતિ’ શબ્દનો વ્યવહાર સ્થૂળ કલાસંકેતો અને સૂક્ષ્મ તેમ વિશિષ્ટ સંવેદનાજગત એમ બંને માટે થતો હોય છે. ક્રોચે કલાકૃતિને માનસિક વધુ ગણી છે અને અનુભૂતિ સાથે એનું તાદાત્મ્ય કર્યું છે. ‘અનુભૂતિ જ વ્યંજના (અભિવ્યક્તિ) છે’ – એ ક્રોચેનો કલા-સિદ્ધાંત છે અને એમાં અભિવ્યક્તિને કૃતિની બહિરંગ ન માનતાં તેને  અંતરંગ જ માનેલ છે.

પ્રવીણચંદ્ર પરીખ