કિસરવી એહમદ

January, 2008

કિસરવી, એહમદ (વીસમી સદીનો પૂર્વાર્ધ) : ઈરાનના મશહૂર લેખક. તેમનું મૂળ વતન તબરીઝ હતું અને તે તહેરાનમાં સ્થાયી થયા હતા. ઈરાનમાં ‘મશરૂતિય્યત’ નામે ઓળખાતી રાજકારણ તથા સાહિત્યમાં આધુનિકીકરણની ચળવળ દરમિયાનના તે આગળ પડતા કાર્યકર હતા. તે પ્રખર ભાષાશાસ્ત્રી હતા. તેમણે પહેલ્વી અને અવેસ્તા જેવી ઈરાનની પ્રાચીન ભાષાઓ તથા માઝન્દરાની દમાવન્દી શૂશતરી, સિમ્નાની સરખઈ, કુર્દી વગેરે ઈરાની બોલીઓનો બહોળો અભ્યાસ કર્યો હતો. તે ‘પયમાન’ નામના સામયિકના તંત્રી હતા.

ભાષાશાસ્ત્ર તથા અન્ય સાહિત્યિક અને સાંસ્કૃતિક વિષયો ઉપરના તેમના અભ્યાસ-લેખોનો સંગ્રહ ‘મકાલાતે કિસરવી’ (બે ભાગ) અને ફારસી ભાષા વિશેના તેમના વિચારો દર્શાવતું એક પુસ્તક ‘ઝબાને ફારસી’ તેહરાનથી પ્રગટ થયેલ છે. ફારસીના શિષ્ટ કવિ ખ્વાજા હાફિઝ શીરાઝી વિશેના કિસરવીના પુનર્મૂલ્યાંકને ફારસી સાહિત્યવર્તુળોમાં રસપ્રદ ચર્ચા જગાવી છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી