કનકામર (1065) : ‘કરકંડુચરિઉ’ નામે અપભ્રંશ સંધિબદ્ધ કાવ્યના રચયિતા દિગંબર જૈન મુનિ. તે મૂળ બ્રાહ્મણ કુળના હતા અને વૈરાગ્યના કારણે દિગંબર જૈન મુનિ બન્યા હતા. દેશાટન કરતાં કરતાં ‘આસાઇય’ નામે નગરીમાં પહોંચી તેમણે ‘કરકંડુચરિઉ’ની રચના કરી હતી. તેમની કૃતિમાંથી કવિના સમય વિશે કોઈ જાણકારી મળતી નથી, પરંતુ તેમણે આપેલાં પૂર્વકવિઓનાં નામોમાં અપભ્રંશ કવિ પુષ્પદન્તનું નામ છે. પુષ્પદન્તનો સમય ઈ.સ.ની દસમી સદી નિશ્ચિત છે. આથી કનકામરનો સમય તેમના પછીનો નિશ્ચિતપણે માની શકાય. ડૉ. હીરાલાલ જૈને કનકામરનો સમય લગભગ ઈ.સ. 1065 માન્યો છે અને આસાઇય નગરી બુંદેલખંડમાં આવી હોવાનું અનુમાન કર્યું છે.

‘કરકંડુચરિઉ’ કૃતિ 10 સંધિમાં નાયક કરકંડુ નામક પૌરાણિક રાજાની કથા પર રચાયેલી છે. કવિનો ઉદ્દેશ કાવ્ય દ્વારા જૈન ધર્મના સર્વસાધારણ સદાચરણના સિદ્ધાંતોનો ઉપદેશ આપવાનો છે.

રમણિકભાઈ મ. શાહ