ઋભુગણ : ત્રણ ‘મર્ત્ય’ ભાઈઓ. ‘ઋભુ’, ‘વિભ્વન્’ અને ‘વાજ’ નામ છે. ઇન્દ્ર માટે અશ્વોનું, અશ્વિનૌ માટે રથનું અને બૃહસ્પતિ માટે અમૃતપદ ગાયનું નિર્માણ; પોતાનાં વૃદ્ધ માતાપિતાને યૌવન-પ્રદાન અને એકમાંથી ચાર चमस(સોમપાનનું પાત્ર)નું સર્જન : सुहस्ता: જેવું યથાર્થ વિશેષણ પામેલ ઋભુત્રયીના અદ્ભુત હસ્તકૌશલનાં આવાં કાર્યોથી પ્રભાવિત થયેલા દેવોએ ઋભુઓને દેવત્વ આપ્યું. મરણશીલ માનવો પણ પુરુષાર્થથી અમરત્વનો દરજ્જો મેળવી શકે છે, એ સિદ્ધિના પ્રતીક તરીકે વેદોમાં ઋભુગણનું વ્યક્તિત્વ સ્મરણાર્હ છે.

જયાનંદ દવે