ઈશ્વરસેન (ઈ. સ. 248-249) : ઉત્તર મહારાષ્ટ્રનો આભીર વંશનો પ્રથમ રાજા. તેના રાજ્યકાલનો એક અભિલેખ નાસિકના પાંડુલેણ ડુંગરમાંની ગુફા નં. 10માં કોતરાયો છે. એમાં ઈશ્વરસેનને માઢરીનો તથા શિવદત્તનો પુત્ર કહ્યો છે. એના રાજ્યકાલના નવમા વર્ષમાં વિષ્ણુદત્તા નામે બૌદ્ધ ઉપાસિકાએ ત્રિરશ્મિ (પાંડુલેણ) પર્વતના વિહારમાં રહેતા ભિક્ષુસંઘને એક કાયમી દાન આપેલું. પછીના સમયમાં કલચુરિ કે ચેદિ સંવત તરીકે ઓળખાયેલો સંવત પ્રાય: આ આભીર રાજાના રાજ્યારોહણથી ઈ. સ. 248-49માં શરૂ થયેલો. એના વંશમાં બીજા નવ રાજા થયા, જેમણે લગભગ ઈ. સ. 415 સુધી રાજ્ય કર્યું હતું. તેના રાજ્યના વિસ્તારની ચોક્કસ માહિતી મળતી નથી.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી