આસફખાન (સત્તરમી સદીનો ઉત્તરાર્ધ)

January, 2002

આસફખાન (સત્તરમી સદીનો ઉત્તરાર્ધ) : શહેનશાહ જહાંગીરના દરબારના એક અગ્રગણ્ય વિદ્વાન અને મનસબદાર. કિવામુદ્દીન મિરઝા જસ્ફર બેગ, શહેનશાહ અકબરના રાજ્યાભિષેકના બાવીસમા વર્ષે તે હિંદુસ્તાન આવ્યા અને પોતાના કાકા મિરઝા ગ્યાસુદ્દીન અલી આસફખાન બખ્શીની ભલામણથી શાહી દરબારમાં એમને પ્રવેશ મળ્યો. ધીમે ધીમે પ્રગતિ સાધીને જહાંગીરના રાજ્યઅમલ દરમિયાન એ પાંચહઝારી મનસબ પર નિમાયા. એમણે રણસંગ્રામમાં પણ પરાક્રમો દાખવ્યાં હતાં.

એમની નીતિ, લાયકાત અને સાહિત્યિક રુચિ વિશે મઆસિફલ ઉમરા લખે છે કે તે દરેક કળા અને વિદ્યામાં અનુપમ હોવાથી એ યુગની અવિસ્મરણીય વ્યક્તિ હતા. એમની તીવ્ર ગ્રહણશક્તિની ખ્યાતિ વિશેષ હતી. એ પોતે કહેતા કે જે વસ્તુને હું શીઘ્ર ન સમજી શકું તે અર્થહીન છે. કેવળ એક જ દૃષ્ટિપાતમાં તે બધી લખેલી લીટીઓનું વાચન કરી લેતા. એ રાજકીય અને હિસાબી બાબતોમાં પણ નિષ્ણાત હતા.

એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી