આધમખાન (આઝમખાન) (અ. 1562) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે આગ્રાથી અગ્નિખૂણે આશરે 80 કિમી. દૂર આવેલું હતકન્ત ક્ષેત્ર ભદૌરિયા રાજપૂતોને હસ્તક હતું. તેઓ દિલ્હીના બાદશાહની વિરુદ્ધ વારંવાર વિદ્રોહ કરતા રહેતા. તેથી અકબરે આધમખાનને તેમની સામે સૈન્ય સાથે મોકલ્યો હતો. તેણે એ રાજપૂતોને હરાવીને એ હતકન્તને મુઘલ સત્તાને આધીન કરી દીધું.
બૈરમખાનની હત્યા પછી આધમખાનની માતા માહમ આંગાએ અકબર વિરુદ્ધ ખટપટો અને દાવપેચ શરૂ કર્યાં. અકબરે મુનીમખાનને સ્થાને શમ્સ–ઉદ્–દીન આગાખાનને મુખ્યમંત્રીપદે નીમ્યો. તેથી માહમ આંગા, આધમખાન અને મુનીમખાન અકબરની સામે વધુ ને વધુ પ્રપંચો ખેલવા લાગ્યાં. 1561માં આધમખાને પીરમુહમ્મદની મદદથી માળવા જીતી લીધું, ખૂબ લૂંટ્યું અને અત્યાચાર ગુજાર્યો. એ પછી તેણે ઈ. સ. 1562ની 16મી મેના રોજ આગાખાનનું ખૂન કર્યું. તેથી અકબર ખૂબ રોષે ભરાયો. તેને શિક્ષા કરવા અકબર આગ્રાથી માળવા ગયો, પરંતુ માહમ આંગાની દરમિયાનગીરીથી તેણે આધમખાનને ક્ષમા આપી, પણ તેને સ્થાને પીરમુહમ્મદને માળવાના શાસક તરીકે નીમ્યો. એ પછી અકબરે આધમખાનની હત્યા કરાવી. માહમ આંગા પણ પુત્રના શોકથી 1562ની 24મી જૂનના રોજ અવસાન પામી.
મંગુભાઈ રા. પટેલ