અશ્વાવબોધતીર્થ

January, 2001

અશ્વાવબોધતીર્થ : અશ્વને જ્યાં પૂર્વભવનો અવબોધ થયેલો તે ભરૂચનું જૈન તીર્થ. ભૃગુપુર(ભરૂચ)ના રાજા જિતશત્રુના અશ્વમેધ ઘોડાને રેવા (નર્મદા) નદીના દર્શનથી જાતિસ્મરણ થયું. પૂર્વભવના મિત્રસમા અશ્વને પ્રતિબોધ આપવા સુવ્રતસ્વામી ખાસ ભરૂચ આવ્યા. મુનિને વંદન કરી જિતશત્રુએ અશ્વનો પૂર્વભવ પૂછ્યો. સુવ્રતસ્વામીના કહેવા પ્રમાણે ચંપાનગરીના રાજા  સુરસિદ્ધનો મિત્ર મતિસાર બીજા ભવમાં સાગરદત્ત નામે સાર્થવાહ થયો. ઉત્તરાયણે સાગરદત્તે એક શિવાલયમાં ઘીના લિંગ ઉપરની કીડીઓને કચડી નાખતા તાપસોને જોઈને તે ધર્મની નિંદા કરી. તાપસોથી તિરસ્કારાયેલો સાગરદત્ત ધર્મવિમુખ થયો અને બીજા ભવમાં અશ્વ રૂપે અવતર્યો. છ માસ પછી તે મરણ પામી દેવ થયો. અવધિજ્ઞાનથી પૂર્વભવ જાણી ભરૂચમાં વીસમા તીર્થંકર સુવ્રતસ્વામી અને અશ્વની પ્રતિમા સાથેનું જિનાલય બંધાવ્યું. આમ અશ્વને થયેલા આ અવબોધને કારણે સ્થળ અશ્વાવબોધતીર્થ તરીકે ખ્યાતિ પામ્યું છે.

રસેશ જમીનદાર