અવરોધ (resistance) : વિદ્યુત-પરિપથમાં વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તેના માર્ગમાં આવતું નડતર. અવરોધનું કાર્ય વિદ્યુતપ્રવાહને અવરોધવાનું છે. આથી વિદ્યુત-પરિપથમાં અવરોધને પાર કરવા માટે  પૂરતા પ્રબળ વિદ્યુતચાલક બળ(electromotive force)ની જરૂર પડે છે. આવું વિદ્યુતચાલક બળ વિદ્યુતપ્રવાહનું નિર્માણ કરતા વિદ્યુતભારોને ઊર્જા પૂરી પાડે છે. વાહકના અવરોધને કારણે ઊર્જાનો વ્યય થતો હોય છે. તે દરમિયાન વિદ્યુત-ઊર્જાનું ઉષ્મા-ઊર્જામાં રૂપાંતર કરે છે. પરિપથમાં પેદા થતી ઉષ્મા વાહકના વિદ્યુત અવરોધના સમપ્રમાણમાં હોય છે. જેમ વાહકનો અવરોધ વધુ તેમ વધુ પ્રમાણમાં ઉષ્મા પેદા થાય છે. આવા વાહકને પ્રતિરોધક (resistor) કહે છે.

સૂત્રની દૃષ્ટિએ જોવા જતાં અવરોધ એ વિદ્યુતસ્થિતિમાનના તફાવત (V) અને વાહકમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહ(I)નો ગુણોત્તર છે. એટલે કે

અથવા V = IR જે ઓહમના નિયમનું ગણિતીય સ્વરૂપ છે. અવરોધનો એકમ ઓહમ (Ohm) છે.

વિદ્યુતપ્રવાહ પ્રત્યાવર્તી (A.C.) હોય તો વિદ્યુત-પ્રતિબાધા (impedance) Zનો વાસ્તવિક ભાગ અવરોધ બને છે.

પ્રતિબાધા Z = R + iX થાય છે જ્યાં R અવરોધ, X પ્રતિઘાત (reactance) અને  છે.

અવરોધોની દૃષ્ટિએ વિદ્યુત-પરિપથને ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાય છે :

(1) શ્રેણી-પરિપથ જોડાણ : તેમાં અવરોધો એક પછી બીજો અને બીજા પછી ત્રીજો એમ જોડાય છે. બધા અવરોધોમાં એક જ (સરખો) વિદ્યુતપ્રવાહ વહે છે. પરિપથમાં ત્રણ અવરોધો R1, R2, R શ્રેણીમાં જોડેલા હોય તો પરિપથનો કુલ વિદ્યુત-અવરોધ

R = R1 + R2 + R3

થાય છે. અવરોધોના શ્રેણી-જોડાણમાં કુલ અવરોધમાં હંમેશાં વધારો થાય છે.

આકૃતિ 1 : અવરોધોનું શ્રેણી-જોડાણ

(2) સમાંતર પરિપથ જોડાણ : તેમાં અવરોધોના એકબાજુના છેડા એક જ બિંદુએ અને બીજી બાજુના છેડા બીજા બિંદુએ જોડાવામાં આવે છે. અવરોધોને સમાંતર રીતે જોડવાથી કુલ અવરોધ નીચેના સૂત્રથી મળે છે.

અવરોધોના સમાંતર જોડાણમાં પરિપથનો કુલ અવરોધ ઘટે છે.

આકૃતિ 2 : અવરોધોનું સમાંતર જોડાણ

(3) મિશ્ર પરિપથ : r આવા જોડાણમાં શ્રેણી અને સમાંતર જોડાણોનું સંયોજન થતું હોય છે. એટલે તે જટિલ હોય છે.

આકૃતિ 3 : અવરોધોનું મિશ્ર જોડાણ

તાર(કે વાહક)નો અવરોધ તેની લંબાઈ (l)ના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળ(A)ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે R = જ્યાં ρ વિશિષ્ટ અવરોધ છે, જેને અવરોધકતા (resistivity) પણ કહે છે. આથી અવરોધકતા  તેનો એકમ ઓહ્મ મીટર છે. એકમ લંબાઈ અને આડછેદના એકમ ક્ષેત્રફળ ધરાવતા તારના અવરોધને અવરોધકતા કહે છે. જેમ તાર લાંબો તેમ અવરોધ વધુ અને જેમ તાર પાતળો તેમ તેનો અવરોધ વધુ. ઉપરાંત તારનો અવરોધ ધાતુની જાત ઉપર પણ આધારિત છે.

તારનું તાપમાન અચળ રહે તો તેનો અવરોધ પણ અચળ રહે છે. સામાન્ય રીતે ધાતુઓની બાબતે તાર(વાહક)નું તાપમાન વધે તેમ તેનો અવરોધ પણ વધે છે. એટલે કે સુવાહક(good Conductor)માં આ પ્રમાણે થાય છે. અર્ધવાહક(semiconductor)ની બાબતે જેમ તેનું તાપમાન વધે છે તેમ અવરોધ ઘટે છે અને વિદ્યુતવાહકતા વધે છે. અવાહક (insulater) પદાર્થોનો અવરોધ ઘણો વધારે હોય છે.

સોનું, ચાંદી, તાંબું અને પારાનો અવરોધ ઘણો ઓછો હોય છે જ્યારે કાચ, લાકડું, ક્વાર્ટ્ઝનો અવરોધ ઘણો વધારે હોય છે.

પ્રહલાદ છ. પટેલ