અર્ધનારીશ્વર : હિંદુ ધર્મ અનુસાર અડધું પુરુષનું અને અડધું સ્ત્રીનું એવું શિવનું એક સ્વરૂપ.

અર્ધનારીશ્વર (ચેન્નાઈ)

નર-નારીના સંયુક્ત દેહની કલ્પનામાંથી આ રૂપાંકન આકાર પામ્યું છે. વિશ્વને જન્મ આપનાર સુવર્ણઅંડનાં બે અડધિયાં સ્ત્રી અને પુરુષ છે. વૈદિક સાહિત્યમાં એમને દ્યાવા-પૃથિવી કહ્યાં છે, જે વિરાટ સૃષ્ટિનાં આદિ માતા-પિતા છે. (द्यौः पिता पृथिवी माता). એમને જ પાર્વતી-પરમેશ્વર કે ઉમા-મહેશ્વર કહ્યાં છે (जगतः पितरौ पार्वती-परमेश्वरौ). વેદો (અથર્વ, 108-27)માં આ દ્વંદ્વને સ્ત્રી-પુરુષ અથવા કુમાર-કુમારી કહ્યાં છે (त्वं स्त्री त्वं पुमानसि त्वं कुमार उतवा कुमारी). ઋગ્વેદ(7-164-16)માં તો એટલે સુધી કહે છે કે પ્રત્યેક સ્ત્રી અર્ધભાગમાં પુરુષ અને પ્રત્યેક પુરુષ અર્ધભાગમાં સ્ત્રી છે. અર્ધનારીશ્વરનું રૂપ આ પ્રયોજનને સ્પષ્ટ કરવા માટે આકાર પામ્યું છે. કુષાણકાલ, ગુપ્તકાલ અને મધ્યકાલનાં મૂર્તિશિલ્પોમાં આ સ્વરૂપ વિશેષ નજરે પડે છે. અર્ધનારીશ્વરનાં મોટા ભાગનાં મૂર્તિશિલ્પો શંકર-પાર્વતીના સંયુક્ત સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે.

મત્સ્ય પુરાણમાં અર્ધનારીશ્વરનું વર્ણન આપ્યું છે : માથાના જમણા ભાગ પર જટાભાર, કપાળ પર ચંદ્રની કોર, ડાબી બાજુએ કુમકુમનું તિલક, જમણા કાનમાં વાસુકિનું કુંડલ અને ડાબા કાનમાં વાળી વગેરે સ્ત્રીઓના અલંકાર, જમણા હાથમાં નરકપાલ, ત્રિશૂળ વગેરે અને ડાબામાં કમળ, જમણે હાથે સર્પભૂષણ જ્યારે ડાબે હાથે રત્નકંકણો, જમણો પગ કમળ ઉપર, જ્યારે ડાબો નૂપુર પહેરેલો અળતાથી રંગેલો તથા જમણા પગથી સહેજ ઊંચો રાખેલો છે. દક્ષિણમાં શૈવધર્મ પ્રબળ હોવાથી ત્યાં આવી અનેક મૂર્તિઓ જોવા મળે છે. મદ્રાસ મ્યૂઝિયમમાં આવી એક સુંદર મૂર્તિ સુરક્ષિત છે. ઇલોરાના કૈલાસમંદિરમાં અર્ધનારીશ્વર શિવની પ્રભાવશાળી મૂર્તિ છે. પરંતુ આ બધામાં મથુરાની કુષાણકાલીન કલામાં પ્રથમ સદીમાં નિર્મિત થયેલી મૂર્તિ પ્રાચીનતમ છે. આ મૂર્તિનો જમણો ભાગ પુરુષનો છે અને ડાબો ભાગ સ્ત્રીનો છે.

Ardhanarishvara

અર્ધનારીશ્વર (ચોલ કાળ, 11મી સદી)ની મૂર્તિ, સરકારી સંગ્રહાલય, ચેન્નાઈ

સૌ. "Ardhanarishvara" | CC BY 2.0

ગીતા મહેતા

પ્રવીણચંદ્ર પરીખ