અક્ષયવટ : પ્રયાગમાં ગંગા-યમુનાના સંગમ પાસે ઊભેલ વડના ઝાડને પુરાણોમાં ‘અક્ષયવટ’ કહેલો છે. ચીની યાત્રી હ્યુ-એન-ત્સાંગે પોતાની યાત્રાના સંદર્ભમાં આનો ઉલ્લેખ કર્યો છે. આ વૃક્ષની નિકટ દક્ષિણે મૌર્ય સમ્રાટ અશોક અને ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તના લેખવાળો સ્તંભ હતો. અકબરના સમયમાં આ વડ પરથી સંગમમાં કૂદીને લોકો આત્મવિલોપન કરતા. પુરાણો અનુસાર આ વૃક્ષની પૂજા કરવાથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે.

ગયામાં પણ આ પ્રકારનો એક અક્ષયવટ છે. લોમશ ઋષિના ઉપદેશ અનુસાર પાંડવોએ વનવાસકાળમાં આ વૃક્ષનાં દર્શન કર્યાં હતાં. તુલસીદાસે ‘રામચરિતમાનસ’માં એનું મહત્ત્વ દર્શાવતાં લખ્યું છે ‘પૂજહિં માધવ પદ જલજાતા, પરસિ અખય બહુ હરષહિં ગાતા.’

પ્રવીણચંદ્ર પરીખ