તાંજાવુર (તાંજોર) : ભારતના અગ્નિખૂણે આવેલા તમિળનાડુ રાજ્યનો એક જિલ્લો, જિલ્લામથક અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 10 °48´ ઉ. અ. અને 79° 09´ પૂ. રે.. આ જિલ્લાની ઉત્તરે આરિયાલુર, ઈશાને નાગપટ્ટિનમ્, પૂર્વમાં થિરુવરુર, દક્ષિણે પાલ્કની સામુદ્રધુની, નૈર્ઋત્યે પુડુકોટ્ટાઈ, પશ્ચિમે તિરુચિરાપલ્લી જિલ્લા આવેલા છે. જિલ્લાનું ક્ષેત્રફળ 3476 ચોકિમી. તથા કુલ વસ્તી 24,02,781 (2011) છે.

આ જિલ્લો આશરે 8°થી 10° ઉ. અ. વચ્ચે ઉષ્ણકટિબંધમાં આવેલો હોવા છતાં સમુદ્રના સામીપ્યને લીધે આબોહવા સમધાત રહે છે. (નૈર્ઋત્ય અને ઈશાની મોસમી પવનોને લીધે) ઉનાળા તથા શિયાળામાં 1000 મિમી. અને 400 મિમી. વરસાદ પડે છે. ચક્રવાતને કારણે તે જૂન અને ઑક્ટોબર દરમિયાન અવારનવાર વાવાઝોડાનો ભોગ બને છે. સરાસરી વાર્ષિક તાપમાન 27.5° સે. રહે છે. ઉનાળા તથા શિયાળામાં અનુક્રમે 30° થી 32° સે. અને 25.5° સે. થી 27° સે. તાપમાન રહે છે.

દરિયાકિનારે આવેલ ત્રિકોણપ્રદેશમાં નાળિયેર, આંબા અને કેળનાં વૃક્ષો જોવા મળે છે. ડાંગર, શેરડી અને મગફળીના મુખ્ય પાક ઉપરાંત મકાઈ, તમાકુ, મરચાં વગેરેનો પણ પાક થાય છે. કાવેરીની નહેરોને કારણે ડાંગરનો પાક બે વખત લેવાય છે. નેવેલીમાં લિગ્નાઇટની ખાણો છે.

બૃહદીશ્વર મંદિર, તાંજાવુર

જિલ્લામાં કાપડની મિલો ઉપરાંત ખોરાકી ચીજોના તથા હાથસાળ કાપડના મુખ્ય ઉદ્યોગો છે. 70 ટકા લોકો ખેતીમાં રોકાયેલા છે.

ત્રણ શહેરો તાંજાવુર, નાગપટ્ટીનમ અને કુંભકોણમ્ સિવાયનો બાકીનો ગ્રામવિસ્તાર છે. નાગપટ્ટીનમ્ મધ્યમ કક્ષાનું બંદર છે. કુંભકોણમ્ તીર્થક્ષેત્ર છે. તે સાતમી સદીમાં ચોલ રાજ્યનું પાટનગર હતું.

તાંજાવુર કાવેરી નદીની શાખા ઉપર ત્રિકોણાકાર પ્રદેશને પશ્ચિમ છેડે નાગપટ્ટીનમ્થી 97 કિમી. પશ્ચિમે આવેલું છે. નવમીથી અગિયારમી સદી દરમિયાન તે ચૌલ રાજાઓની રાજધાની હતું. આ શહેર વહીવટી કેન્દ્ર ઉપરાંત જિલ્લાનું વેપારીકેન્દ્ર અને દક્ષિણ રેલવેનું મહત્વનું મથક છે. અહીં કાપડ, ખેતીની પેદાશો ઉપર આધારિત ઉદ્યોગો ઉપરાંત હાથવણાટ, વીણા, ઝવેરાત, ગાલીચા અને ધાતુકામ વગેરેના ગૃહઉદ્યોગો વિકસ્યા છે. તે જમીનમાર્ગો તથા રેલવે દ્વારા ચેન્નાઈ, ચિત્તુર, સાલેમ, કરૂર, બૅંગાલુરુ, નાગપટ્ટીનમ સાથે જોડાયેલું છે. રાજરાજ પહેલાએ ઈ. સ. 1000માં બંધાવેલ 50મી. ઊંચા ગોપુરમવાળું બૃહદીશ્વર મંદિર તથા કિલ્લો જોવાલાયક છે. 2011માં તાંજોર નગરની વસ્તી 24,02,781 હતી.

ઇતિહાસ : તાંજાવુર પર દસમી સદીના મધ્યભાગથી ચોલ રાજાઓનું 1400થી હોયસલ વંશનું અને 1465થી વિજયનગરનું શાસન હતું. તે બિજાપુરના સુલતાન નીચે હતું ત્યારે શિવાજીના પિતા શાહજી તેનો વહીવટ સંભાળતા હતા. શાહજીનો પુત્ર વ્યંકોજી 1676માં તાંજોરની ગાદીએ બેઠા. સરફોજી બીજાએ તાંજોર અને આસપાસના થોડા વિસ્તાર સિવાયનો બધો પ્રદેશ 1799માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સોંપી દીધો હતો. છેલ્લો રાજા શિવાજી (1833–55) અપુત્ર હોવાથી તેનું રાજ્ય 1855માં ડેલહાઉસીએ ખાલસા કર્યું હતુ.

મરાઠા રાજાઓ વિદ્યા-કલાના આશ્રયદાતા હતા. વ્યંકોજીએ તેલુગુમાં દ્વિપદ રામાયણ રચી છે. તુકોજીએ ‘સંગીત સારામૃત’ જેવા સંગીતના ગ્રંથો રચ્યા છે. શાહજીના સમયમાં અનેક તમિળ નાટકો લખાયાં હતાં. તુલાજી અદ્વૈત વેદાંતનો અભ્યાસી હતો. તેના સરસ્વતીસદનમાં અનેક અમૂલ્ય હસ્તપ્રતો હતી. સરફોજી-બીજાએ આઠ માળની ‘મનોર’ તરીકે ઓળખાતી ઇમારત બંધાવી હતી. વૈદકના ગ્રંથોનો તે રચયિતા હતો. તેણે અન્નક્ષેત્રો સ્થાપ્યાં હતાં અને ધર્મશાળાઓ બંધાવી હતી. ચિત્રકલા તથા શાસ્ત્રોના અભ્યાસમાં તે રસ ધરાવતો હતો. તેણે પુસ્તકો છાપવા શિલાપ્રેસ શરૂ કર્યું હતું. પશ્ચિમના સાહિત્યમાં પણ તેણે રસ લીધો હતો.

શિવપ્રસાદ રાજગોર