જોશી, અનિલ રમાનાથ (જ. 28 જુલાઈ 1940, ગોંડલ; અ. 26 ફેબ્રુઆરી 2025, મુંબઈ) : ગુજરાતી કવિ, નિબંધકાર, કટારલેખક. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં લીધું. અમદાવાદની એચ. કે. આર્ટ્સ કૉલેજમાંથી 1964માં ગુજરાતી તથા સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા. 1962થી 1969 દરમિયાન હિંમતનગર અને અમરેલીમાં શિક્ષક રહેલા. પછી મુંબઈમાં ‘કૉમર્સ’ના તંત્રી વાડીલાલ ડગલીના અંગત સહાયક તરીકે 1971થી 1976 સુધી સેવાઓ આપી. 1976–77માં ત્યાં જ પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક રહ્યા. 1977થી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ‘લૅંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ’માં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર હતા.
‘કદાચ’ (1970) અને ‘બરફનાં પંખી’ (1981) એમના કાવ્યસંગ્રહો છે. સાતમા-આઠમા દાયકાના નવતર કવિઓમાં અનિલ જોશીનું મહત્ત્વનું સ્થાન રહ્યું છે. 1960 પછી કવિતામાં આધુનિક વલણો દેખાયાં અને વિસ્તર્યાં ત્યારે ગીતને પણ આધુનિકતાનો સંસ્પર્શ થયો. ગુજરાતી ગીતમાં આધુનિકતાનો એવો ઉન્મેષ અનિલ જોશીનાં ગીતોમાં પમાયો. પરંપરાગત ગુજરાતી ગીતને એમણે દૃઢ તર્ક વગેરેમાંથી મુક્ત કર્યું. મર્યાદિત ભાવ-અર્થબોધના પ્રણાલિકાગત સંદર્ભોમાંથી પણ અનિલ જોશીને હાથે ગીત મુક્તિ પામે છે. આપણી ગીત કવિતાને સંવેદનાસભર સમૃદ્ધિ અને તાજપથી ભરી દેતાં અનિલ જોશીનાં ગીતોની પંક્તિઓ આ રહી :
સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે…
જાન વળાવી વળતો દીવડો થરથર કંપે
ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે.
*
અમે બરફનાં પંખી રે ભાઈ ! ટહુકે ટહુકે પીગળ્યા
લૂમાં તરતો ઘોર ઉનાળો
અમે ઉઘાડે ડિલે
ઓગળતી કાયાનાં ટીપાં
કમળ પાંદડી ઝીલે…
*
જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર
ક્યાંક કાગડો ન થઈ જાય રાતો…
*
ગીતના પરંપરાબદ્ધ સ્વરૂપને સાચવીને આ કવિએ ગીતમાં આધુનિકતા આણવાના સફળ પ્રયોગો કર્યા છે :
ક્રાઉં ક્રાઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં
કીડીએ ખોંખારો ખાધો
તમને નથી ને કંઈ વાંધો…
*
બાવળિયાની ડાળે કોણે જાસાચિઠ્ઠી બાંધીજી
ધીંગાણાની ગમાણમાંથી બોલી બકરી ગાંધીજી…
*
પાણીમાં ગાંઠ પડી ગઈ…
મારાં ઘેટાં ખોવાઈ ગયાં ઊનમાં…
ગીતમાં એમણે નવતર અને સાંપ્રત જીવનસંદર્ભોને નવા ભાવાર્થસાહચર્યોથી રજૂ કર્યા, અપરિચિત શબ્દસાહચર્યો વડે ગીતમાં નવું વાતાવરણ તથા અરૂઢ મિજાજ એ લઈ આવ્યા. તળપદા ભાવો, શબ્દો, તળપદા લય વગેરે પ્રયોજવા સાથે એમણે ગીતમાં શિષ્ટ અભિવ્યક્તિ પણ સિદ્ધ કરી. દીર્ઘલયનાં ગીતો પણ એમનો વિશેષ રહ્યો છે. પ્રેમસંવેદન ઉપરાંત યંત્રચેતનાગત ભાવસ્પંદનો પણ એમની કવિતામાં ધ્યાન ખેંચે છે. ખાસ તો લયબદ્ધ અને અછાંદસ કવિતામાં નાગરી ચેતનાનો અનુભવ થાય છે. એમની અછાંદસ કવિતા વ્યંગ, કાકુ વગેરેથી પણ સ્પર્શ્ય બનેલી છે. ગઝલ એમને ખાસ સદી નથી. ‘બરફનાં પંખી’ને જયન્ત પાઠક પારિતોષિક મળ્યું છે. ‘રંગ સંગ કિરતાર’ (2005)માં એમનાં ચિંતનાત્મક લખાણો છે. ‘અનિલ જોશીની કેટલીક વાર્તાઓ’ એમનું વાર્તા સંપાદનનું પુસ્તક છે.
‘સ્ટૅચ્યૂ’ (1988) અને ‘પવનની વ્યાસપીઠ’ (1988) એમના અંગત તથા લલિત નિબંધોના સંગ્રહો છે. ‘જળની જન્મોતરી’, ‘ઓરાં આવો તો વાત કરીએ’ (2002) અને ‘ઊર્મિનો ઓચ્છવ’, ‘શબ્દનો સહવાસ’ (2005), ‘બોલપેન’, ‘બારીને પડદાનું કફન’, ‘દિવસનું અંધારું છે.’ વગેરે એમના અન્ય નિબંધસંગ્રહો છે. ‘ગાંસડી ઉપાડી શેઠની’ (2023) એમની નિખાલસ આત્મકથા છે. ‘જન્મભૂમિ-પ્રવાસી’ આદિ વર્તમાનપત્રોમાં લખાયેલા આ નિબંધો ગદ્યકાર અનિલ જોશીનો પરિચય કરાવે છે. ‘સ્ટૅચ્યૂ’ સંગ્રહને 1990નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મળ્યું છે. 2010માં નરસિંહ ઍવૉર્ડથી સન્માનિત થયા છે.
મુખ્યત્વે કવિ તરીકે સ્થાપિત અને લોકપ્રિય બનેલા કવિ અનિલ જોશીની આત્મકથાનું સહજ, સરળ અને નર્મમર્મયુક્ત ગદ્ય-આલેખન એમને ગદ્યકાર ઠેરવવા સમર્થ છે. એમના નિબંધો એટલા પ્રભાવક નથી રહ્યા. ‘ગાંસડી ઉપાડી શેઠની’ – આત્મકથામાં આપણને ગુજરાતી કવિતાનાં છેલ્લાં પચાસ વર્ષની ભૂમિકાનો પરિચય મળે છે. ગોંડલ – કવિનું વતન અહીં સરસ ઝિલાયું છે. મકરંદ દવે તરફનો સ્નેહાદર, અધ્યાત્મપુરુષ નાથાભાઈની કવિને મળતી પ્રેમહૂંફ અને સર્વત્ર વ્યાપ બનતી ‘મા’ – અનિલ જોશીના લેખનમાં અને જીવનમાં ઘણું નોખાપણું લાવ્યાં છે.
છેલ્લા દોઢેક દાયકામાં પ્રજાજીવનમાં વર્તાતી મૂલ્યહીનતા અને વરવાં વિચાર-વલણો પ્રત્યે કવિનો વિદ્રોહશીલ અવાજ ડિજિટલ મીડિયામાં વધારે તીવ્રતાથી અને નિસબત સાથે વ્યક્ત થતો રહ્યો હતો. દેશવિદેશના અનેક કવિઓની કવિતા ટાંકીને એ આપણા સમયની પીડાને વાચા આપતા રહ્યા છે. 84 વર્ષની વયે એમણે પૃથ્વીલોકથી ઊર્ધ્વલોક તરફ મહાપ્રસ્થાન કર્યું…એમની ખોટ સાલશે…પણ એમની કવિતા આપણને આનંદ સાથે મૂલ્યબોધ કરાવતી રહેશે.
મણિલાલ હ. પટેલ