મુઝફ્ફરનગર (જિલ્લો) : ઉત્તરપ્રદેશ રાજ્યના સહરાનપુર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક.
ભૌગોલિક સ્થાન : તે 29 28´ થી 29 48´ ઉ. અ. અને 77 42´ થી 77 70´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે સહરાનપુર જિલ્લો, દક્ષિણે મેરઠ જિલ્લો, પશ્ચિમે હરિયાણા રાજ્યના કરનાલ જિલ્લાના પાણીપત અને થાનેસર તાલુકા (જે યમુના નદીથી જુદા પડે છે) જ્યારે પૂર્વમાં બિજનોર જિલ્લો સરહદ રૂપે આવેલા છે. ગંગા નદી તેની પૂર્વ સરહદ અને તેની પશ્ચિમે યમુના નદી સરહદ રચે છે. આથી આ જિલ્લો બે નદીઓના ‘દોઆબ’ વિસ્તારમાં આવેલો છે. (દોઆબ એટલે બે નદીઓ વચ્ચેનો વિસ્તાર) આ જિલ્લો સમુદ્રસપાટીથી આશરે 232 મીટર ઊંચાઈએ છે.
ભૂપૃષ્ઠ – આબોહવા – વનસ્પતિ : આ સમગ્ર વિસ્તાર ‘દોઆબ’ એટલે ગંગા અને યમુના નદીના કાંપ-માટીના નિક્ષેપથી નિર્માણ પામ્યો છે. આ જમીન સૂક્ષ્મ ફળદ્રૂપ માટી-કણોથી રચાયેલી છે. આ મેદાની વિસ્તાર પ્રમાણમાં સમતળ છે. આ જિલ્લાની મુખ્ય નદીઓ ગંગા અને યમુના છે. આ સિવાય શાખા નદીઓમાં હિંદણ, કાલી, સોલાની છે. અહીં નિર્માણ પામેલાં મેદાનોનો ઢોળાવ પ્રમાણમાં મંદ છે. આ ઢોળાવ દર કિલોમીટરે 25 સેમી. જેટલો છે.
આ જિલ્લાની આબોહવા ઉપઉષ્ણકટિબંધીય ભેજવાળી કહી શકાય. ઉનાળો અતિશય ગરમ જ્યારે શિયાળો પ્રમાણમાં ઓછો ઠંડો રહે છે. આ જિલ્લાનું સરેરાશ તાપમાન 24.2 સે. રહે છે. ઉનાળો ગરમ રહેતો હોવાથી જૂન માસમાં તાપમાન 30.2 સે. રહે છે. કેટલીક વાર 45 સે. સુધી પણ પહોંચી જાય છે. શિયાળામાં એટલે કે જાન્યુઆરી માસનું તાપમાન 12.5 સે. જેટલું નીચું અનુભવાય છે. વર્ષાઋતુમાં જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન વાતાવરણમાં ભેજ અધિક રહે છે. સરેરાશ વરસાદ 929 મિમી. જેટલો રહે છે.
આ મેદાની વિસ્તારમાં મોટે ભાગે વૃક્ષોમાં ખાખરો, લીમડો, સીસમ, સરગવો, તુન, મહુડો, વડ, પીપળો વગેરેનો સમાવેશ થાય છે. ફળાઉ વૃક્ષોમાં આંબો, જાંબુડો, સફરજન પણ જોવા મળે છે. આ સિવાય ઔષધિના છોડ પણ છે. સ્થાનિક સસ્તનવાળાં પ્રાણીઓ પણ જોવા મળે છે.
ખેતી – પશુપાલન : આ જિલ્લાની જમીન ફળદ્રૂપ હોવાથી ખેતીકીય દૃષ્ટિએ ઉત્તમ છે. અહીંના મુખ્ય ખેતીકીય પાકોમાં ઘઉં, ડાંગર, શેરડી, તેલીબિયાં, તમાકુ છે. આ સિવાય કઠોળમાં અડદ, ચોળા, કાળા ચણા તેમજ રાઈની ખેતી લેવાય છે.
ખેતી સાથે પશુપાલન અને મરઘાં-બતકાં ઉછેરની પ્રવૃત્તિ પણ વિકસી છે. પશુઓમાં ગાય, ભેંસ, ઘેટાં, ટટ્ટુ મુખ્ય પાલતુ પ્રાણીઓ છે. નદીઓને કારણે મત્સ્ય પકડવાની પ્રવૃત્તિ પણ જોવા મળે છે.
અર્થતંત્ર : આ જિલ્લામાં આર્થિક ર્દષ્ટિએ મહત્ત્વની કોઈ ખનિજ-પેદાશો મળતી નથી. ખાંડનાં કારખાનાં અહીંના મુખ્ય ઔદ્યોગિક એકમો છે. આ ઉપરાંત આટાની મિલો, કાગળના માવાના, વનસ્પતિ-ઘી, દૂધની અને રબ્બરની પેદાશોના તથા જંતુનાશક દવાઓના એકમો આવેલા છે. વળી નાનામોટા ગૃહઉદ્યોગો પણ વિકસ્યા છે. અહીં ચોખા, હાથસાળનું કાપડ, ઊન, માટીના ઘડા, કોથળા અને થેલા, ધાબળા, ગરગડીઓ, લોખંડના સળિયા, બળદગાડાં, ગોળ અને ખાંડનું ઉત્પાદન થાય છે. આ પૈકીની ઘણીખરી પેદાશો તથા શેરડી, ચામડાનાં પગરખાં, ફળો, ડુંગળી અને રાતાં મરચાંની નિકાસ થાય છે; જ્યારે કાપડ, દવાઓ, કેરોસીન, યાંત્રિક ભાગો, ચામડાં, લાકડાં, બૉલબેરિંગ, ઊનના રેસા, લોખંડ અને ખેતીનાં ઓજારોની આયાત કરવામાં આવે છે.
પરિવહન : આ જિલ્લામાં રસ્તા અને રેલમાર્ગનું જાળું ઉત્તમ પ્રકારનું છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 58 પસાર થાય છે. રાજ્યમાં ધોરી માર્ગો અને જિલ્લા માર્ગો પણ આવેલા છે. દહેરાદૂન શતાબ્દી એક્સપ્રેસ અને જનશતાબ્દી એક્સપ્રેસ મુઝફ્ફરનગર જંકશને રોકાય છે. જિલ્લામાં આશરે 70 કિમી. લંબાઈનો રેલમાર્ગ આવેલો છે. આ સિવાય રાજ્ય પરિવહનની બસો અને ખાનગી બસો, ટૅક્સી, રિક્ષા વગેરે પરિવહનનાં સાધનો અહીં ઉપલબ્ધ છે. આ જિલ્લામાં કોઈ હવાઈ સેવા ઉપલબ્ધ નથી.
વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 2,991 ચોકિમી. છે. જ્યારે વસ્તી (2025 મુજબ) 48,00,673 છે. આ જિલ્લાને સદર, બુધાના, જનસાથ અને ખટાઉલી એમ ચાર તાલુકામાં વહેંચવામાં આવેલ છે. વસ્તીગીચતા દર ચોકિમી. 1034 છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 889 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ લગભગ 70% છે. લઘુતમ વસ્તી આશરે 40% છે. ધાર્મિક દૃષ્ટિએ વસ્તીનું પ્રમાણ જોઈએ તો હિન્દુ (57.70%), મુસ્લિમ (41.11%), જૈન (0.43%) જ્યારે અન્ય ધર્મના લોકોનું પ્રમાણ (0.76%) છે. પછાત જાતિનું પ્રમાણ આશરે 14.63% છે. અહીં મુખ્યત્વે હિન્દી (86.28%), ઉર્દૂ (13.29%) ભાષા મુખ્ય છે. જ્યારે અન્ય ભાષા બોલનારાની સંખ્યા આશરે 0.43% છે. આ જિલ્લામાં પ્રાથમિક શાળા, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. આ સિવાય કૉલેજો પણ આવેલી છે.
જોવાલાયક સ્થળો : જિલ્લામાં પુરાતત્ત્વીય ર્દષ્ટિએ મહત્ત્વનાં ગણી શકાય એવાં કેટલાંક સ્થળો આવેલાં છે. આ પૈકી ઝિંઝાણા, કૈરાના અને થાણા-ભવનની મસ્જિદો ઉલ્લેખનીય છે. મઝેરા, જનસથ, મિરાનપુર અને કૈથાણા જેવાં સ્થળો પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવે છે. આ ઉપરાંત ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં કેટલાંક સ્થળો પણ આવેલાં છે. જિલ્લામાં વારતહેવારે મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.
ઇતિહાસ : ઈ. સ. પૂ. છઠ્ઠી સદીમાં આ જિલ્લાના પ્રદેશમાં કુરુ નામનું મહાજનપદ (રાજ્ય) આવેલું હતું. પુરાતત્ત્વીય અવશેષો તથા મળી આવેલા સિક્કા ઉપરથી અનુમાન કરી શકાય છે કે આ વિસ્તારમાં,
ઈ. સ. પૂ.ની ત્રીજી સદી અને ઈ. સ.ની પ્રથમ સદી વચ્ચેના સમયમાં મૌર્ય, શુંગ અને કુશાન રાજાઓની સત્તા પ્રવર્તતી હતી. સાતમી સદીની મધ્યમાં તે સમ્રાટ હર્ષની સત્તા હેઠળનો પ્રદેશ હતો. ચીની યાત્રી હ્યુ એન શ્વાંગે આ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેરમી સદીથી દિલ્હી સલ્તનતનો તે એક ભાગ બન્યો. તે પછી મુઘલ શહેનશાહ અકબરના સમયમાં સહરાનપુર સરકાર(પ્રાંત)માં આ જિલ્લાનો સમાવેશ થયો હતો. શાહજહાંના સમયમાં સૈયદ મુઝફ્ફરખાન ખાનજહાનના માનમાં મુઝફ્ફરનગરની સ્થાપના કરવામાં આવી. 1803માં અંગ્રેજોએ આ પ્રદેશ જીતીને મોરાદાબાદ જિલ્લામાં તેનો સમાવેશ કર્યો. 1826માં મુઝફ્ફરનગરનો અલગ જિલ્લો રચવામાં આવ્યો. આ વિસ્તારમાં જાટ લોકોની વસ્તી વધારે છે. 14 મે, 1857ના રોજ મુઝફ્ફરનગરમાં લોકોએ બળવો કરીને સરકારી દફતર અને અધિકારીઓના બંગલા બાળી નાખ્યા હતા. ક્લેક્ટર અને ડેપ્યુટી ક્લેક્ટર નાસી ગયા હતા અને જિલ્લાનાં ગામોમાં પણ હિંસક બનાવો બન્યા હતા. સહરાનપુરમાં પણ આવા બનાવો બન્યા હતા.
મુઝફ્ફરનગર (શહેર) : મુઝફ્ફરનગર જિલ્લાનું વડું વહીવટી મથક તથા શહેર.
તે 29 47´ ઉ. અ. અને 77 69´ પૂ. રે. પર આવેલું છે. તેનો વિસ્તાર 204.8 ચોકિમી. છે. તે સમુદ્રસપાટીથી આશરે 267 મીટર ઊંચાઈ ધરાવે છે. આ શહેર ગંગા-યમુના નદીના ‘દોઆબ’ પ્રદેશમાં આવેલું છે. આ દોઆબનો મેદાની પ્રદેશ સમતળ છે, તેનો ઢોળાવ પ્રમાણમાં મંદ છે.
અહીં ભેજવાળી ઉપઉષ્ણકટિબંધીય આબોહવા અનુભવાય છે. અહીંની આબોહવાનું વિશિષ્ટ લક્ષણ જોઈએ તો ઉનાળો વધુ ગરમ અને શિયાળો પ્રમાણમાં ઠંડો રહે છે. જૂન માસમાં તાપમાન સરેરાશ 30.2 સે. જ્યારે જાન્યુઆરી માસમાં સરેરાશ તાપમાન 7 સે. જેટલું નીચું ચાલ્યું જાય છે. આ શહેરમાં 29 મે, 1994માં 45 સે. જેટલું મહત્તમ તાપમાન જ્યારે 1990માં 23 ડિસેમ્બરના રોજ -2.6 સે. જેટલું લઘુતમ તાપમાન અનુભવાયું હતું જે એક રેકૉર્ડ સમાન છે. અહીં સરેરાશ વરસાદ 929 મિમી. પડે છે. ભૂતકાળમાં નવેમ્બર માસમાં 8 મિમી. જેટલો ઓછો વરસાદ અને જુલાઈ માસમાં મહત્તમ વરસાદ 261.4 મિમી. નોંધાયેલો છે. World Air Quality Report 2024 મુજબ ભારતનાં સૌથી પ્રદૂષિત 20 શહેરોમાંનું આ એક શહેર છે.
આ શહેરના અર્થતંત્રમાં ખેત-પેદાશોનો ફાળો સૌથી વધુ છે. ખાસ કરીને શેરડીને આધારે ખાંડ બનાવવાની 11 મિલો આવેલી છે. આથી આ જિલ્લાને ‘ભારતના ખાંડના વાટકા’ તરીકેની ઓળખ મળી છે. અહીં ગોળ- (Jaggery)નું ઉત્પાદન પણ વધુ થાય છે. શહેરની કુલ વસ્તીના 70 લોકો ખાંડ અને ગોળના એકમોમા રોકાયેલા છે. આ સિવાય લોખંડ-પોલાદના એકમો, પેપર બનાવવાની મિલો વગેરેનો ફાળો અહીંના અર્થતંત્રમાં વધુ રહેલો છે. દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કૉરિડૉર આવેલો છે તેવો અમૃતસર-દિલ્હી-કૉલકાતા ઇન્ડસ્ટ્રિયલ કૉરિડૉર પણ આવેલો છે.
આ શહેર રસ્તા અને રેલમાર્ગ દ્વારા જિલ્લા અને રાજ્યનાં મુખ્ય શહેરો સાથે સંકળાયેલું છે. શહેરમાંથી ગાઝિયાબાદ અને સહરાનપુરને સાંકળતો રેલમાર્ગ પસાર થાય છે. નવી દિલ્હી, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ અને દક્ષિણ ભારતનાં રાજ્યો સાથે આ શહેર રેલમાર્ગથી સંકળાયેલ છે. આ શહેરમાં રસ્તામાર્ગનું ઉત્તમ જાળું પથરાયેલું છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 58 આ શહેરમાંથી પસાર થાય છે. ઉત્તરાખંડનાં અનેક યાત્રાધામો જેવાં કે, બદરીનાથ, કેદારનાથ, હૃષીકેશ, દહેરાદૂન સાથે પણ રસ્તામાર્ગે આ શહેર સંકળાયેલ છે. આ શહેરની નજીકનું હવાઈ મથક દિલ્હીનું ‘ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક’ છે. દિલ્હી અને મુઝફ્ફરનગર વચ્ચેનું અંતર 125 કિમી. છે.
આ શહેરની વસ્તી (2025 મુજબ) આશરે 5,72,000 જ્યારે મેટ્રો શહેરની વસ્તી 8,37,000 છે. સેક્સ રેશિયો આશરે દર 1000 પુરુષોએ 897 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 85.16 છે. અહીં મહત્તમ બોલાતી ભાષામાં ખડીબોલી (Khadiboli) છે જે મોટે ભાગે હરિયાણવી કહી શકાય. સરકારી કાર્યાલયોમાં હિન્દી ભાષાનો વધુ ઉપયોગ થાય છે. આ સિવાય ઉર્દૂ અને અંગ્રેજી ભાષા બોલાય છે. ધર્મના સંદર્ભમાં જોઈએ તો હિન્દુ, મુસ્લિમ અને જૈન લોકોનું પ્રમાણ અનુક્રમે 55.79%, 41.39% અને 1.76% છે. અન્ય ધર્મના લોકોનું પ્રમાણ આશરે 2% છે. શહેરમાં આરોગ્યના સંદર્ભમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો, હૉસ્પિટલો આવેલી છે. જે સરકારી અને ખાનગી પણ છે.
પ્રવાસનના સંદર્ભમાં જોઈએ તો રાષ્ટ્રીય ધોરી માર્ગની બંને બાજુએ રિસોર્ટ, ધાબા, હોટેલ, રેસ્ટોરન્ટની વ્યવસ્થા છે. ખટૌલીના નહેર માર્ગ ઉપર ‘ચિત્તલ’ નામનું જંગલઉદ્યાન આવેલું છે. આ ઉદ્યાનમાં વન્ય પ્રાણીઓ જોવા મળે છે. જેમાં સસલાં, હરણ, સાબર, નીલગાય જેવાં ઘાસ ઉપર આધારિત પ્રાણીઓ વધુ જોવા મળે છે.
ભૂતકાળમાં આ શહેરમાં બ્રાહ્મણો અને રાજપૂત લોકો વસતા હતા. ત્યાર બાદ વિચરતી જાતોમાં જાટ અને ગુર્જર લોકો પણ વસવા લાગ્યા. 1633માં મુઘલ સેનાધ્યક્ષ સૈયદ મુઝફ્ફરખાન ભારાએ આ શહેરની સ્થાપના કરી હતી. સમય જતાં 1710ના વર્ષમાં ‘સૈયદભાઈઓ’નું શાસન સ્થપાયું હતું. 1910માં બ્રિટિશરોના શાસનમાં આ શહેર આગ્રા અને અવધપ્રાંતમાં સમાવેશ થતાં તેનો મેરઠ વિભાગમાં સમાવેશ થયો હતો. ભારત સ્વતંત્ર થતાં તે મુઝફ્ફરનગર શહેર તરીકે ઓળખાવા લાગ્યું.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ
નીતિન કોઠારી