બેટાઈ, સુંદરજી (‘દ્વૈપાયન’, ‘મિત્રાવરુણૌ’)

January, 2000

બેટાઈ, સુંદરજી (‘દ્વૈપાયન’, ‘મિત્રાવરુણૌ’) (જ. 10 ઑગસ્ટ 1905, બેટ દ્વારકા; અ. 16 જાન્યુઆરી 1989) : ગુજરાતી ભાષાના નામાંકિત કવિ અને વિવેચક. 1928માં મુંબઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી-ગુજરાતી સાથે બી.એ. થયા. 1932માં એલએલ.બી. અને 1936માં ગુજરાતી-સંસ્કૃત સાથે એમ.એ. થયા.

સુંદરજી બેટાઈ

પચાસેક વર્ષ સતત કાવ્ય-સર્જન કરનારા ગાંધીયુગના કવિ છે. પ્રારંભનાં કેટલાંક વર્ષ ‘હિંદુસ્તાન અને પ્રજામિત્ર’માં ઉપતંત્રી રહ્યા. ત્યારપછી મુંબઈની એસ.એન.ડી.ટી. વિમેન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ઇન્ડિયન પી.ઈ.એન.ના સભ્ય અને નર્મદ સુવર્ણચંદ્રક-વિજેતા.

‘જ્યોતિરેખા’ (1934), ‘ઇન્દ્રધનુ’ (1939), ‘વિશેષાંજલિ’ (1952), ‘સદગત ચન્દ્રશીલાને’ (1959), ‘તુલસીદલ’ (1961), ‘વ્યંજના’ (1969), ‘અનુવ્યંજના’ (1974), ‘શિશિરે વસંત’ (1976) અને ‘શ્રાવણી ઝરમર’ (1982) તેમના કાવ્યગ્રંથો છે.

‘ગુજરાતી સાહિત્યમાં સૉનેટ’ (1935), ‘સુવર્ણમેઘ’ (1964) અને ‘આમોદ’ (1978) તેમના વિવેચનસંગ્રહો છે. ‘નરસિંહરાવ’ (1980) ચરિત્રપુસ્તિકા છે.

‘સાહિત્યમાધુરી’, ‘સાહિત્યોદ્યાન’, ‘સાહિત્યસુષમા’ એ શાળોપયોગી સંપાદનો છે.

તેમણે થૉરોના ‘વૉલ્ડન’નો, ભગવદગીતાનો તથા મહાભારતનાં છેલ્લાં 4 પર્વોનો અનુવાદ પણ આપ્યો છે.

‘જ્યોતિરેખા’માં બેટાઈએ પૌરાણિક અને ઐતિહાસિક પ્રસંગો પર આધારિત 5 ખંડકાવ્યો આપ્યાં છે. અધ્યાત્મચિંતન, પ્રણય, પ્રકૃતિ, સ્વજનમૃત્યુથી જન્મતો શોક એમની કવિતાના મુખ્ય વિષયો છે. બેટાઈની વિશિષ્ટતા સંસ્કૃત-પ્રચુર શબ્દો અને અનુષ્ટુપ છંદના વિનિયોગની છે. ‘બંદર છો દૂર છે’, ‘મારી વાડીમાં ચાંપો મ્હોરિયો રે’, ‘પાછલી રાતુંની મારી નીંદરા ડ્હોળાણી’ જેવી તેમની ગેય રચનાઓ જાણીતી છે. વિષાદને પ્રસાદ માનનારા આ કવિ સંવેદનને વિશાળ ફલક પર મૂકી આત્મલક્ષી કવિતાની અનુભૂતિને પણ પરલક્ષિતાના સીમાડા સુધી વિસ્તારવાની કલાગતિ દાખવે છે.

વીણા શેઠ