અનેકરંગિતા (iridescence) : કેટલાંક ખનિજોમાં જોવા મળતા વિવિધ રંગદર્શનનો ભૌતિક ગુણધર્મ. રંગવૈવિધ્યની આ પ્રકારની ઘટના ઓપલ જેવાં રત્નો, છીપલાં તથા પીંછાંની દાંડી પર વિશિષ્ટપણે જોવા મળે છે.

1,500થી 3,000 Åના વ્યાસવાળા ગોળ કણોની અતિસૂક્ષ્મ પડરચનાને કારણે કીમતી ઓપલમાં આ પ્રકારના રંગવૈવિધ્યની જમાવટ થતી હોય છે. સામાન્ય ઓપલમાં નિયમિત પડરચના થતી ન હોઈ પ્રકીર્ણ પ્રકાશ(scattered light)ને લીધે માત્ર દૂધિયો રંગ જ દેખાય છે. વિશિષ્ટ પ્રકારના હેમેટાઇટ, સ્ફૅલેરાઇટ, લૅબ્રેડોરાઇટ, પેરિસ્ટેરાઇટ જેવાં ખનિજો અનેકરંગિતાની ઘટના દર્શાવે છે.

ગિરીશભાઈ પંડ્યા