એનેક્સાગોરાસ

January, 2004

એનેક્સાગોરાસ (ઈ. પૂ. પાંચમી સદી) : ગ્રીસનો મહાન તત્ત્વજ્ઞ, ચિંતક, ખગોળશાસ્ત્રી અને ઍથેન્સના પેરિક્લીઝનો સૉફિસ્ટ શિક્ષાગુરુ. તેણે ખગોળશાસ્ત્ર પર, ‘ઑન નેચર’ નામે ગ્રંથ લખીને ‘હવામાનશાસ્ત્ર’નો પાયો નાખ્યો. તેના જીવનનું ધ્યેય સૂર્ય, ચંદ્ર અને સ્વર્ગની માહિતીની શોધ હતું. તે કહેતો કે, ‘પૃથ્વીની નજીક આવેલા, પરપ્રકાશિત ચંદ્ર પર પર્વતો, ખીણો અને મેદાનો છે. વાદળોના ઘર્ષણથી વીજળી ઉત્પન્ન થાય છે.’ તેના જ્ઞાનનિવેદનથી ઉશ્કેરાયેલી ઍથેન્સની ધર્મચુસ્ત પ્રજાએ, તેના પર નાસ્તિક હોવાનો આરોપ મૂક્યો. પેરિક્લિસની સલાહથી તે છેવટે ઍથેન્સ છોડી ગયો હતો.

મહેશચંદ્ર પંડ્યા