શિવ નાદર ( જ. 14 જુલાઈ 1945, મૂલાઈપોઝી, મદ્રાસ પ્રેસિડેન્સી, હાલનું તમિળનાડુ) : ભારતીય ઉદ્યોગપતિ, ઉદ્યોગસાહસિક, સેવાભાવી અને પરોપકારી. ભારતની અગ્રણી આઇટી સેવા કંપનીઓમાંની એક, એચસીએલ ટૅક્નૉલૉજીસના સ્થાપક તરીકે જાણીતા છે.

તમિળ હિન્દુ પરિવારમાં જન્મ થયો હતો. તેમનાં માતાપિતા શિવસુબ્રમણ્ય નાદર અને વામસુંદરી દેવી હતાં. નાદરે 1967માં અમેરિકન કૉલેજ, મદુરાઈમાંથી પ્રી-યુનિવર્સિટી ડિગ્રી અને પીએસજી કૉલેજ ઓફ ટૅક્નૉલૉજી, કોઈમ્બતુરમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી. શિવ નાદરે 1967માં પુણેમાં વાલચંદ ગ્રૂપની કૂપર એન્જિનિયરિંગ લિમિટેડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેમણે ટૂંક સમયમાં જ ઘણા મિત્રો અને સાથીદારો સાથે ભાગીદારીમાં પોતાનું સાહસ શરૂ કરવા માટે આ કંપની છોડી દીધી. નાદર અને તેમના ભાગીદારોએ જે પ્રારંભિક સાહસ શરૂ કર્યું તે માઇક્રોકોમ્પ હતું, જે ભારતીય બજારમાં ટેલિડિજિટલ કેલ્ક્યુલેટર વેચવા પર ધ્યાન કેન્દ્રિત કરતી કંપની હતી.

બાદમાં 1976માં તેમણે એચસીએલની સ્થાપના કરી, કમ્પ્યૂટર હાર્ડવેરથી શરૂઆત કરીને અને પછી વૈશ્વિક આઇટી સેવાઓ અને સૉફ્ટવૅર સૉલ્યુશન્સમાં વિસ્તરણ કર્યું. તેમના નેતૃત્વ હેઠળ, એચસીએલ એક બહુરાષ્ટ્રીય કંપનીમાં વિકસ્યું, હજારો નોકરીઓનું સર્જન કર્યું અને ભારતના ડિજિટલ પરિવર્તનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું.

વ્યવસાય ઉપરાંત, શિવ નાદરને શિક્ષણ અને સામાજિક કલ્યાણમાં તેમના યોગદાન માટે ખૂબ જ આદર આપવામાં આવે છે. શિવ નાદર ફાઉન્ડેશન દ્વારા, તેમણે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટે શિવ નાદર યુનિવર્સિટી (જે અંડરગ્રૅજ્યુએટ, અનુસ્નાતક અને વ્યાવસાયિક ડિગ્રીઓ પ્રદાન કરે છે) સહિત અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓની સ્થાપના કરી છે.

તેમણે ચેન્નાઈમાં SSN કૉલેજ ઑફ એન્જિનિયરિંગની સ્થાપના કરી, જે આજે દેશની શ્રેષ્ઠ ખાનગી એન્જિનિયરિંગ કૉલેજોમાંની એક છે. 2008 માં તેમના દ્વારા ઉત્તરપ્રદેશમાં વિદ્યાજ્ઞાન જાહેર શાળાઓની સ્થાપના કરવામાં આવી, જે ગ્રામીણ બાળકોને મફત, વિશ્વસ્તરીય શિક્ષણ પૂરું પાડે છે.

2008માં જ શિવ નાદરને IT ઉદ્યોગમાં તેમના પ્રયાસો માટે પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

શિવ નાદરની પુત્રી રોશની નાદર હવે HCLનાં અધ્યક્ષ છે. તેમનાં પત્ની કિરણ નાદર, એક કલા સંગ્રાહક અને સમાજસેવી છે.

ઑક્ટોબર 2021 માં, ફૉર્બ્સ મૅગેઝિન દ્વારા તેમને 31 બિલિયન યુએસ ડૉલરની અંદાજિત નેટવર્થ સાથે ભારતના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. શિવ નાદર 2024 ના સૌથી ઉદાર દાતાઓની યાદીમાં ટોચ પર હતા, કારણ કે તેમણે વર્ષમાં દરરોજ લગભગ 6 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.

શિવ નાદર માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ શિક્ષણ અને ટૅક્નૉલૉજી દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત એક સ્વપ્નદ્રષ્ટા સમાજસેવી પણ છે. તેમના કાર્યોની કદર રૂપે  ET અને FICCI લાઇફ ટાઈમ ઍચીવમેન્ટ ઍવૉર્ડ્સ સહિતના ઘણા સન્માનો પણ પ્રાપ્ત થયા છે

ત્રિલોક સંઘાણી