લિંગશરીર : પ્રાણમય, મનોમય, જ્ઞાનમય અને આનંદમય – આ ચાર કોશોથી નિર્મિત શરીર. વેદાન્તમાં આત્માનાં બે આવરણો બતાવેલાં છે. શુક્ર-શૉણિતથી નિર્મિત શરીર કે અન્નમય કોષ અને બીજા ઉપરોક્ત ચાર કોષોથી નિર્મિત લિંગશરીર. મૃત્યુ વખતે આત્મા અન્નમય કોષ એટલે કે સ્થૂળ શરીરથી છૂટો પડી જાય છે, પરંતુ બીજા ચાર કોષોરૂપ લિંગશરીરનો જલ્દી છુટકારો થતો નથી. મૃત્યુ બાદ આ લિંગશરીર જીવનમાં કરેલાં કર્મફલાત્મક સંસ્કારોને પોતાની સાથે લઈ જાય છે. સાંખ્યદર્શન અનુસાર મૃત્યુ પામતા લિંગશરીર પોતાની સાથે સમગ્ર ભાવો લઈ જાય છે. આમાં કર્મ અને ભાવ બંને એક જ છે. વેદાંતમાં જેને કર્મ કહેલ છે તેને સાંખ્યમાં ભાવ કહેલ છે. વેદાંતમાં આઠ પુરીઓની કલ્પના છે : (1) પાંચ જ્ઞાનેન્દ્રિયો, (2) પાંચ કર્મેન્દ્રિયો, (3) ચાર અંતઃકરણ, (4) પાંચ પ્રાણ, (5) પાંચ તન્માત્રા, (6) અવિદ્યા, (7) કામ અને (8) કર્મ. આ પુર્યષ્ટકને પણ લિંગશરીર કહેવામાં આવ્યું છે.

પ્રવીણચંદ્ર પરીખ