હિલિયોદોરસ (ઈ. પૂ. 2જી સદી) : ઇન્ડો-ગ્રીક રાજા એન્ટિઅલસીડાસે ભારતના શુંગ વંશના રાજા ભાગભદ્ર કાશીપુત્રના દરબારમાં મોકલેલ યવન રાજદૂત. તે તક્ષશિલાનો વતની હતો. તેણે ભાગવત એટલે વૈષ્ણવ ધર્મ સ્વીકાર્યો હતો. તેણે બેસનગર (ભીલસા) મુકામે એક ગરુડ સ્તંભ કરાવ્યો હતો. ભાગભદ્ર ઘણુંખરું શુંગ વંશનો પાંચમો રાજા હતો. તેના રાજ્ય-અમલના 14મા વર્ષે એટલે કે આશરે ઈ. પૂ. 113માં હિલિયોદોરસને વિદિશાના દરબારમાં સત્કારવામાં આવ્યો હતો. હિલિયોદોરસ જેવો યવન ભગવાન વાસુદેવ એટલે કે વિષ્ણુનો ભક્ત બન્યો હતો. આ હકીકત ભાગવત-વૈષ્ણવ ધર્મના, તે સમયે બહોળા પ્રચારની સૂચક છે.

જયકુમાર ર. શુક્લ