હરિવંશ : સૌતિએ રચેલું મહાભારતનું ખિલ (પરિશિષ્ટ) પર્વ. સોળ હજાર શ્લોકોથી અધિક બૃહદ્ આ ગ્રંથ છે. વ્યાસ અને વૈશંપાયને જે મહાભારત ગ્રંથની રચના કરી એમાં મહાભારતના યુદ્ધનો પૂરો વૃત્તાંત અપાયો છે પરંતુ કૃષ્ણ અને યાદવ વંશ વિશે એમાં ખાસ માહિતી નથી. આ કમીને પૂરી કરવા માટે સૌતિએ હરિવંશની રચના કરી. એમાં કૃષ્ણનું ચરિત અને યાદવસંઘનો વિસ્તૃત વૃત્તાંત આપવા ઉપરાંત એમાં ધ્રુવ, દક્ષ અને તેની પુત્રીઓ, પૃથુ, વિશ્વામિત્ર, વશિષ્ઠ વગેરેનાં આખ્યાનો પણ ઉમેરાયાં છે. હરિવંશનું અંતિમ સ્વરૂપ ગુપ્તકાલમાં ઈ. સ.ની ચોથી-પાંચમી સદીમાં અપાયાનું મનાય છે.

પ્રવીણચંદ્ર પરીખ