સુવર્ણમંજરીવિષય : અપરસુરાષ્ટ્રમંડલ(પશ્ચિમ સૌરાષ્ટ્ર)ના સૈંધવ વંશના રાજાઓની સત્તા હેઠળનો પ્રદેશ. સૈંધવ વંશના રાણકના ઈ.સ. 874-75ના, અગ્ગુક 3જાના ઈ.સ. 886-87ના તથા જાઈક 2જાના ઈ.સ. 915ના દાનશાસનમાં સુવર્ણમંજરીનો ઉલ્લેખ થયો છે. આ દાનશાસનોમાંના એ વિષયનાં ગામોના સંદર્ભમાં એ વિષયના વડા મથક સુવર્ણમંજરીનું સ્થાન નિશ્ચિત કરવાના પ્રયાસો થયા છે. હરિપ્રસાદ ગં. શાસ્ત્રીએ રાજકોટ જિલ્લામાં ધોરાજીથી ઉત્તરે નવેક કિમી. દૂર આવેલા ‘સનાળા’ વિશે સંભાવના કરી છે. અલતેકરે વિકલ્પ લેખે ઉત્તર સૌરાષ્ટ્રમાં આવેલા સોનપુર નામનાં ગામોમાંનું એક, અથવા ઘૂમલીથી વીસેક કિમી. ઉત્તરપૂર્વે ‘સોનવડિયા’ હોવાનું જણાવ્યું છે.

જયકુમાર ર. શુક્લ