સંજીવનશક્તિ (regeneration) : સજીવોમાં ભાંગી ગયેલાં કે નુકસાન પામેલાં અંગો કે ઉપાંગોની પુન: સાજાં થવાની પ્રક્રિયા. વિવિધ સજીવ સમૂહોમાં આ સંજીવનશક્તિ ઓછાવત્તા પ્રમાણમાં હમેશાં થતી રહે છે. કેટલાક લેખકો આ ક્રિયાને પુન: સમગઠન (reconstruction) તરીકે ઓળખાવે છે.

પૌરાણિક કથાઓમાં કપાઈ ગયેલાં અંગોમાંથી રાક્ષસ પુન: પેદા થાય એવી ઘટનાઓ સાંભળવામાં આવે છે. ઍરિસ્ટોટલ અને પ્લિની આવી ઘટનાઓનો ઉલ્લેખ કરે છે. પુનર્જનન કે સંજીવન અંગેનો પ્રથમ પ્રયોગ-આધારિત ઉલ્લેખ 1740માં એ. ટ્રેમ્બ્લી (Trembley) દ્વારા થયો છે. તેમણે જળવ્યાળના ટુકડા કરી પુન:સર્જન કરી બતાવેલું. જળવ્યાળના દરેક ટુકડામાંથી આખા જળવ્યાળ પેદા થાય છે. તેવી જ રીતે 1768માં એલ. સ્પેલન્ઝાનિએ પ્રયોગશાળામાં ઉભયજીવી પ્રાણીઓમાં ઉપાંગો અને પૂંછડીના પુન:સજીવનનો રસપ્રદ પ્રયોગ કરી બતાવ્યો હતો.

પ્રાણીઓમાં પુનર્જનનશક્તિની ક્ષમતા ઓછીવત્તી હોય છે. પેશી બદલવી, ઘા રુઝાવવો, તૂટેલા હાડકાનું સંધાન, કપાયેલા અંગનું પુનર્જનન, આકસ્મિક કે વ્યાધિ જેવા કારણસર અંગનો કોઈ એક ભાગ તૂટી જતાં કે નિષ્ક્રિય થતાં તેના શેષ ભાગ દ્વારા વધારાનું કાર્ય ઉપાડી લેવું  આવી આવી શરીરનાં વિવિધ અંગોમાં જોવા મળતી કાર્યવિધિ સંજીવનશક્તિને આભારી છે. વળી શરીરની લગભગ બધી પેશીઓ ક્રમશ: ઘસાતાં ક્રમશ: નવી પેશીઓનું નિર્માણ થતું હોય છે, જેને લીધે શરીરની મોટાભાગની પેશીઓ કે અંગોનું મૌલિક સ્વરૂપ બદલાવા ઉપરાંત તેનાં રાસાયણિક દ્રવ્યોનું પુનરુત્પાદન થતું હોય છે, ત્વચા ઘસાઈ જતાં તેમજ ત્વચા પર ઊગેલાં ભીંગડાં, પીંછાં કે કેશ જેવાં અંગો ખરી જતાં તેમનાં સ્થાને નવું નિર્માણ થતું બાહ્ય કંકાલ (exoskeleton) પણ સંજીવનશક્તિને આભારી હોય છે.

સંજીવનશક્તિ આંશિક એટલે કે મર્યાદિત સ્વરૂપની અથવા તો સંપૂર્ણ હોઈ શકે છે; દાખલા તરીકે, જળવ્યાળમાં કપાઈ ગયેલા ભાગોમાંથી અલગ અલગ પણ સંપૂર્ણ સ્વતંત્ર જળવ્યાળ (hydra) પ્રાણીઓ પેદા થાય છે; જ્યારે ગરોળી જેવા સરિસૃપોમાં પૂંછડી જેવા ભાગો તૂટી જતાં નવી પૂંછડીના નિર્માણ પૂરતી એ સંજીવનશક્તિ મર્યાદિત હોય છે.

અકસ્માત, વ્યાધિ (દા.ત., રક્તપિત્ત  leprosy), રુધિર કૅન્સર (leukaemia) અથવા તો અન્ય કોઈ કારણસર શરીરનાં યકૃત, સ્વાદુપિંડ જેવાં અંગોમાં ક્ષતિ ઉત્પન્ન થતાં સંજીવનશક્તિને આધીન અસરગ્રસ્ત ભાગો કે અંગોનું પુનર્જનન થવાથી તેઓ સંપૂર્ણપણે પૂર્વવત્ કાર્યક્ષમ બને છે. આવા કેટલાક કિસ્સાઓમાં નવા ભાગોનું નિર્માણ થતું નથી, પરંતુ યકૃત કે સ્વાદુપિંડ જેવાં અંગોમાં ક્ષતિ ઉત્પન્ન થતાં કુદરતી પ્રક્રિયાને આધીન અથવા તો યોગ્ય ઉપચારની અસર હેઠળ ક્ષતિયુક્ત ભાગ મોટો થઈને વધારાનું કાર્ય ઉપાડે છે. આ પ્રકારની નવનિર્માણની ક્ષમતાને ક્ષતિપૂરક અતિવૃદ્ધિ (compansatory hypertrophy) કહે છે. ઓછેવત્તે અંશે આ પ્રક્રિયા મર્યાદિત સ્વરૂપમાં ગલગ્રંથિ (thyroid), અધિવૃક (adrenal), જનનાંગો કે ફેફસાં જેવામાં પણ જોવા મળે છે. દેડકાની આંખનો નેત્રમણિ (lens) કાઢી નાખતાં આંખની અન્ય પેશી મેટાપ્લાસિયા(metaplasia)ની પ્રક્રિયા દ્વારા નેત્રમણિમાં રૂપાન્તરિત થઈ નેત્રમણિનું કાર્ય ઉપાડે છે. સાંઢ(lobster)માં પણ તેની સદંડી આંખ કપાઈ જતાં તેની જગ્યાએ વધારાનો સ્પર્શક વિકાસ પામે છે. આમ સંજીવનશક્તિના એક પ્રકારમાં શરીરની પેશીનું કાર્યસ્વરૂપ (function) બદલાતું હોય છે.

સંજીવનશક્તિનું નિયંત્રણ (regulation of regeneration) : સામાન્યપણે આવા સંજીવનશક્તિના નિયંત્રિત કાર્ય માટે શરીર પર ઘા જેવી ઘટના થવી આવશ્યક ગણાય છે અને આ કાર્યની શરૂઆત માટે બીજજનન કોષ (blastema) પેશી આવશ્યક છે. આ ઉપરાંત તેની ઉત્તેજના માટે ચેતાતંત્રની સક્રિયતા જેવાં બાહ્ય પરિબળો પણ જરૂરી ગણાય છે. આમ સંજીવનશક્તિને માત્ર કપાયેલાં અંગોના પુનર્નિર્માણની ક્રિયા કહેવી તેના કરતાં શરીરના કોઈ પણ ત્રુટિયુક્ત કાર્યની પુન:પ્રાપ્તિની ક્રિયા કહેવી તે વધુ યોગ્ય છે. આ કાર્યમાં ચેતા ઉપરાંત અંત:સ્રાવો (hormones) પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઉચ્ચ કક્ષાનાં પૃષ્ઠવંશી પ્રાણીઓના ઘા રુઝાય છે ત્યારે ત્યાં ચાંદું (scar) પડે છે. આ પ્રકારે અંત:સ્થ તેમજ બાહ્ય શારીરિક પેશી વચ્ચે અવરોધક (barrier) ઘટના ઉદ્ભવતાં અંગનું પુનર્નિર્માણ અસંભવ બને તેવી શક્યતા રહે છે.

સંજીવનક્રિયાની વિવિધતા : જુદાં જુદાં પ્રાણીઓમાં સંજીવનની ક્રિયા સરખી રીતે થતી નથી. જળવ્યાળ અને જેલી ફિશમાં કપાયેલા ભાગની આસપાસની પેશી કપાયેલા ભાગના પુનર્જનનમાં ભાગ લે છે અને ખૂટતા ભાગ કે અંગની પૂર્તિ કરે છે. આવી પુનરાયોજન(reorganize)ની ક્રિયા સાદા જીવમાં ખૂબ જ કાર્યક્ષમ હોય છે. ઉચ્ચસ્તરીય પ્રાણીઓમાં સંજીવનક્રિયા પ્રમુકુલ(blastela)ની ઉત્પત્તિ દ્વારા થાય છે. પ્રમુકુલના કોષોની ઉત્પત્તિના સ્રોતો અલગ અલગ હોવા છતાંય બધા દેખાવે લગભગ સરખા હોય છે; જેમાંથી પેશી બની અંગનું પુનર્નિર્માણ થાય છે.

કેટલાંક પ્રાણીઓમાં પુનર્નિર્મિત ભાગ કે અંગ મૂળ ભાગના જેવું પ્રારૂપિક હોતું નથી. આને અપ્રારૂપિક સંજીવનશક્તિ (atypical regeneration) કહે છે; ઉદાહરણ તરીકે, અળસિયાના શરીરના અગ્ર ભાગના ગમે તેટલા ખંડ કપાયા હોય તોપણ નવા પાંચ જ ખંડ નિર્માણ થવા પૂરતી મર્યાદા હોય છે. કીટકોનાં ઉપાંગોનો કોઈ ભાગ તૂટી જતાં તેની જગ્યાએ માત્ર એક નાનકડું ઉપાંગ નિર્માણ થાય છે. તેવી જ રીતે દેડકાના બાળશિશુ(tadpole)ની પૂંછડી કપાતાં, કપાયેલી પૂંછડીના સ્થાને નાના કદની પૂંછડી નિર્માણ થાય છે. આમ ઘણી વખત કપાયેલા મૂળ અંગના પ્રમાણમાં તેની જગ્યાએ ઊગેલ નવું અંગ નાના કદનું બને છે. આમ સંજીવનશક્તિને કારણે ઉત્પન્ન થતું અંગ મૂળ અંગ જેટલા જ કદનું ન પણ હોય. એ રીતે નવનિર્મિત કામચલાઉ અંગ અસલ અંગની પ્રતિકૃતિ જ હોય તેવું અનિવાર્ય નથી.

અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં સંજીવનશક્તિ : (1) પ્રજીવો-(protozoa)નું શરીર બંધારણની દૃષ્ટિએ એક જ કોષનું બનેલું હોય છે. જો કોઈ કારણસર તેના શરીરમાંથી કોષરસ (cytoplasm) દ્રવ્યનું શોષણ થાય તો તેનું પુનરુત્પાદન થાય છે તથા શરીર બે ભાગમાં કપાઈ જતાં કોષકેન્દ્રયુક્ત ભાગમાં કપાઈ ગયેલા ભાગનું પુનર્જનન થાય છે.

(2) સછિદ્ર (porifera) સમુદાયનાં પ્રાણીઓમાં; ઉદા., સ્નાનવાદળીમાં પુનર્જનન એટલું સક્ષમ છે કે સ્નાનવાદળીના નાના નાના ટુકડા કરવામાં આવે અને તેને વસ્ત્રગાળ કરવામાં આવે તોપણ વિખૂટા પડેલા કોઈ બે કોષો પાસપાસે આવી જાય તો તે બંને મળીને આખી સ્નાનવાદળીનું પુન:સર્જન કરે છે. સ્નાનવાદળીના કોષોની આ પુનર્જનન-ક્ષમતાનો ઉપયોગ મોટા પાયે તેના વાવેતરમાં કરવામાં આવે છે, સ્નાનવાદળીના નાના નાના ટુકડા વાવી વ્યાપારી ધોરણે તેનું ઉત્પાદન મેળવવામાં આવે છે.

(3) કોષ્ઠાંત્રી (coelenterarata) : જળવ્યાળ, સમુદ્રફૂલ અને અન્ય કોષ્ઠાંત્રી પ્રાણીઓમાં પુનર્જનનક્રિયા નોંધપાત્ર છે. જળવ્યાળમાં પ્રાણીના આડા ત્રણ ટુકડા કરવામાં આવે તો નીચેનો પાયાનો ટુકડો ઉપરના ભાગમાં સૂત્રાંગ અને મુખપ્રદેશવાળો ભાગ ઉત્પન્ન કરશે. સૂત્રાંગ અને મુખપ્રદેશ ધરાવતો ઉપરનો ટુકડો તેના નીચેના ભાગમાંથી પુનર્જનન પામી તળિયાવાળો ભાગ ઉત્પન્ન કરશે, અને વચલો ટુકડો બંને છેડે પુનર્જનન કરી ઉપરના છેડે સૂત્રાંગ અને મુખપ્રદેશ ઉત્પન્ન કરશે અને પાછલો છેડો તળિયાનો ભાગ પેદા કરશે. કોષ્ઠાંત્રી પ્રાણીઓમાં તેના શરીર ઉપરથી અધિસ્તરના કોષો કાઢી અન્ય સ્થળે પુનરારોપણ કરવામાં આવે તો તે માત્ર અધિસ્તરના કોષો જ ઉત્પન્ન કરશે અને અંદર ગૅસ્ટ્રોડર્મિસ કોષોનું અન્ય સ્થળે પુનરારોપણ કરવામાં આવે તો માત્ર અંતસ્થ-ગૅસ્ટ્રોડર્મના કોષો જ ઉત્પન્ન કરશે. જળવ્યાળમાં પુનર્જનનનો ઊંડો અભ્યાસ કરતાં જોવા મળ્યું છે કે પ્રયોગ દરમિયાન કાપેલા ભાગના છેડે ઑક્સિજનનો પુરવઠો પૂરતા પ્રમાણમાં આપવામાં આવે તો તે છેડેથી સૂત્રાંગો અને મુખપ્રદેશ પેદા થાય છે; જ્યારે ઓછો ઑક્સિજન પૂરો પાડવામાં આવે તો તે છેડેથી જળવ્યાળનાં તળિયાનાં અંગો પેદા થાય છે. આમ ઑક્સિજનની સાંદ્રતા (concentration) વિવિધ અંગોના પુનર્જનન માટે અગત્યનો ભાગ ભજવે છે.

(4) પૃથુકૃમિઓ (platyhelminthes) : પ્લેનેરિયા અને અન્ય ચપટા કૃમિઓમાં પુનર્જનનના અખતરા કરવામાં આવ્યા છે. પ્લેનેરિયાના અનેક નાના ટુકડા કરવામાં આવે તો દરેક ભાગ ખૂટતા ભાગોનું પુનર્જનન કરવાને સક્ષમ હોય છે. જો પ્લેનેરિયાનો શીર્ષનો ભાગ કાપી નાખવામાં આવે અને બાકીના ભાગમાં ઊભો છેદ પાડવામાં આવે તો બે ઊભા ભાગોમાંથી અલગ અલગ માથાં એક જ પ્લેનેરિયાના શરીર ઉપર પેદા થાય છે. આવી રીતે બે પૂંછડીવાળો પ્લેનેરિયા પણ પુનર્જનનથી પેદા થઈ શકે છે. વિવિધ રાસાયણિક પદાર્થો વાપરીને મૂળસ્થાને એકને બદલે જુદા પ્રકારનાં અંગોનું પુનર્જનન પણ શક્ય બને છે. પ્લેનેરિયામાં વિશિષ્ટ પુનર્જનન-કોષો જોવા મળ્યા છે. આ કોષોની ઉત્પત્તિ અને કોષરસીય લાક્ષણિકતા વિશે વિશેષ માહિતી નથી, છતાં આવા ઉત્પાદનશીલ (formative) કોષોનું શરીરમાં પ્રમાણ પુનર્જનનના દર ઉપર અસર કરે છે. ક્ષ-કિરણો આપી આ ઉત્પાદનશીલ કોષોનો નાશ કરવામાં આવે તો પ્રાણીની પુનર્જનન-શક્તિનો નાશ થાય છે.

(5) નૂપુરક (annelids) : ખંડીય શરીરરચના ધરાવતાં આ પ્રાણીઓ પૈકી કેટલાંકમાં સંજીવનશક્તિનો તદ્દન અભાવ હોય છે, જ્યારે અળસિયું અને કેટલાંક દરિયાઈ બહુલોમી (polychaeta) નૂપુરકોમાં શરીરના અગ્ર કે પશ્ચખંડો કપાતાં નવા ખંડો ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય છે. અગ્રખંડો કપાઈ જતાં જો મધ્યવર્તી ચેતાતંત્ર સ્થાનભ્રષ્ટ થઈ જાય તો તેમાં પુનર્નિર્માણ થતું નથી. તે જ રીતે પશ્ચખંડો કપાતાં અગ્રખંડમાં આંતરડાનો સમાવેશ થયો હોય તો જ પાછળના ખંડોનું પુનર્નિર્માણ થઈ શકે છે. અળસિયામાં ખાસ અનામત કોષો જોવા મળ્યા છે જે પ્લેનેરિયાના ઉત્પાદક કોષોની માફક પુનર્જનનમાં ભાગ લે છે. આ કોષોની ઉત્પત્તિ વિશે પણ એકમત નથી. અળસિયામાં જોવા મળતા આ ખાસ કોષોને નિયોબ્લાસ્ટ કહે છે. આ નિયોબ્લાસ્ટ કોષો જ્યાં ઘા થયો હોય (કપાયેલા ભાગમાં) ત્યાં પહોંચી જાય છે અને ગુણન પામે છે. તેઓ ખંડોના મોટાભાગના પેટા ભાગોનું પુનર્જનન કરે છે, પરંતુ બધા જ ખંડોનું પુનર્જનન કરી શકતા નથી. ક્ષ-કિરણોથી નિયોબ્લાસ્ટ કોષોનો અને પુનર્જનનશક્તિનો પણ નાશ થાય છે. અળસિયામાં એવું પણ જોવા મળ્યું છે કે અગ્રછેડાથી દૂરના છેડે જતાં કપાયેલા ખંડો જેટલા દૂર હોય તેટલા પ્રમાણમાં પુનર્જનનની ક્ષમતા ઓછી થતી જાય છે.

(6) સંધિપાદ (arthropods) : આ સમુદાયમાં વિવિધ વર્ગો છે; જેમ કે, સ્તરકવચી (crustacea), કીટક (insecta), અષ્ટપાદી (arachnida), શતપાદી (centipeds), સહસ્રપાદી (millipeds) વગેરે. આમાં સ્તરકવચીમાં પુનર્જનન વિશે ઊંડો અભ્યાસ થયો છે. સ્તરકવચીમાં સાંઢ, ક્રેફિશ, કરચલાં વગેરેમાં સ્પર્શકો, સદંડી આંખો અને 10 જોડ ઉપાંગો શીર્ષરસના ભાગમાં જોવા મળે છે. સ્પર્શક અને આંખો દ્વારા સ્પર્શ અને દૃષ્ટિની સંવેદના અનુક્રમે અનુભવાય છે. બાકીનાં ઉપાંગો મુખાંગ અને ચલનપાદ તરીકે વપરાય છે. આ બધાં જ ઉપાંગો મોટા પાયે પુનર્જનનશક્તિ ધરાવે છે. ઘણી વાર સાંઢમાં નાનાંમોટાં ઉપાંગો જોવા મળે છે. આમાંનાં નાનાં ઉપાંગો મૂળ ભાંગી ગયેલા ઉપાંગનું પુનર્જનન હોય છે. આ પ્રાણીઓમાં ક્યારેક અપ્રારૂપિક ઉપાંગો પુનર્જનનથી પેદા થાય છે; જેમ કે સદંડી આંખ કપાઈ જતાં તેની જગ્યાએ સ્પર્શક પેદા થાય છે, પરંતુ જો સદંડી આંખ દૃષ્ટિચેતાની નજીકથી કપાઈ ગઈ હોય તો પુનર્જનનથી નવી આંખ જ પેદા થાય છે. તેવી જ રીતે ખોરાક ગ્રહણ કરનારાં મુખાંગોનાં ઉપાંગો પૈકી કોઈ ઉપાંગ ભાંગી જાય તો ત્યાં તેને બદલે ચલનપાદ (walking leg) પેદા થાય છે. આની સરખામણીમાં કીટક કે કરોળિયામાં પુનર્જનનશક્તિ ઓછી જોવા મળે છે. કીટકોમાં એકાદ પગ ભાંગી જતાં પુનર્જનનથી તે પુન:પ્રાપ્ત થતો જોવા મળે છે. કીટકો કરતાં તેમનાં ડિંભો/ઇયળ વગેરેમાં ઉપાંગોનું પુનર્જનન વધુ જોવા મળે છે. આવાં અંગ કે ઉપાંગો સામાન્ય રીતે બે નિર્મોચનક્રિયાના ગાળા વચ્ચે જ થાય છે.

(7) મૃદુકાય (mollusca) : અન્ય પ્રાણીઓની સરખામણીમાં મૃદુકાય પ્રાણીઓમાં સંજીવનશક્તિ ઓછી હોય છે. જોકે તેમનામાં આંખ, પગ તથા શીર્ષના કેટલાક ભાગ પુનર્જનન પામી શકે છે.

(8) શૂળત્વચી (echinodermata) : શૂળત્વચી પ્રાણીઓમાં કપાયેલા હસ્ત (arm) તથા બિંબ(disc)નું પુનર્નિર્માણ થાય છે. સમુદ્રતારા(star fish)માં કોઈ એક હસ્ત સાથે બિંબનો 4 જેટલો ભાગ પણ હોય તો તે ભાગમાંથી બાકીના શરીરનું પુનર્જનન થાય છે. સંકટ સમયે સમુદ્રકાકડી (sea cucumber) એકાએક ફાટીને તેનાં અંત:સ્થ અંગો(visceral organs)નો ત્યાગ કરે છે. આવી છિન્નભિન્ન થયેલી સમુદ્રકાકડી પુનર્જનનથી આખી થઈ જાય છે. ક્યારેક તારકમત્સ્યોમાં કે અન્ય શૂળત્વચી પ્રાણીઓમાં અપ્રારૂપિક અંગો એટલે કે વધારાના હસ્તો પુનર્જનનથી પેદા થાય છે.

પૃષ્ઠવંશીઓમાં પુનર્જનન : (1) મત્સ્યાદિ (pisces) : કેટલીક માછલીઓ વિશિષ્ટ અંગોનું પુનર્નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે; દા.ત., ભીંગડાં ચૂંટી લેવામાં આવે તો તેના સ્થાને થોડાક જ દિવસોમાં નવાં ભીંગડાં પેદા થાય છે. કપાયેલાં ઝાલરનાં તંતુઓ (gill filaments) પણ આસાનીથી ઊગી નીકળે છે. કેટલાંકમાં મીનપક્ષો (fins) પણ આસાનીથી ઊગી શકે છે; પરંતુ મીનપક્ષ સાથે સંકળાયેલી ચેતા (nerve) કપાઈ જાય તો મીનપક્ષનું પુનર્નિર્માણ થતું નથી.

(2) ઉભયજીવી (amphibians) : પૃષ્ઠવંશીઓમાં ઉભયજીવીઓ સૌથી વધુ પુનર્જનનશક્તિ દાખવે છે. સેલેમેન્ડરનાં ઉપાંગ કપાઈ જતાં ટૂંક સમયમાં જે તે અંગ પુન: પેદા થાય છે. કપાયેલા ભાગની આસપાસના વિસ્તારમાંથી અધિસ્તરીય કોષો (epidermal cells) સ્થળાંતર કરી ઘાના ભાગમાં જમા થાય છે અને પુનર્જનન પ્રમુકુલ (regeneration blastema) તૈયાર થાય છે. આ પ્રમુકુલ(blastema)ના કોષોમાંથી અધિસ્તર અને ચેતાના કોષો સિવાયની અંગરચના ઉદ્ભવે છે. પ્રમુકુલ કોષો જટિલ ઊતકીય ફેરફારો બાદ સંયોજક પેશી, કંકાલ અને સ્નાયુપેશીઓમાંથી પેદા થાય છે (histological changes). શરૂઆતમાં આ બ્લાસ્ટેમાના કોષો માત્ર એકસરખા કોષોના સમૂહ રૂપે હોય છે. વૃદ્ધિ અને વિકાસની સાથે વિભેદન દ્વારા નવી પેશીઓ – કંકાલ, સ્નાયુ અને સંયોજક પેશીઓ પેદા થાય છે. વિકિરણો દ્વારા જો આ બ્લાસ્ટેમા કોષોનો નાશ કરવામાં આવે તો જે તે અંગ કે પ્રાણીમાં પુનર્જનન અટકી જશે.

(3) સરિસૃપ (reptiles) : કેટલીક ગરોળીઓ (house lizards) પર જ્યારે દુશ્મન દ્વારા હુમલો થાય ત્યારે તેમની મૂળ પૂંછડીઓ તૂટી જાય અને ગરોળીઓ ભાગી જાય છે. તૂટેલી પૂંછડીઓ તરફડતી હોય તેવી રીતે થોડો સમય વર્તે છે. શિકારીને બેધ્યાન કરી તેનાથી દૂર ભાગવા આ વર્તન સંરક્ષણ માટે આવશ્યક છે. કપાઈ ગયેલી પૂંછડીને સ્થાને નવી પૂંછડી ઊગે છે. ગરોળીમાં પૂંછડી વિશિષ્ટ ભાગથી જ તૂટે છે. આ બિંદુ નિતંબમેખલા(pelvic girdle)ની પાછળના બે મણકાઓ પછી આવે છે અને કેટલાક સમય બાદ ત્યાંથી નવી પૂંછડી ઉદ્ભવે છે. આ નવી પૂંછડી મૂળ પૂંછડીની આબેહૂબ નકલ હોતી નથી; તેમાં ચેતાતંતુ અપૂર્ણ હોય છે ને કશેરૂકા અને જોડાયેલા સ્નાયુઓમાં સમખંડતા જળવાતી નથી.

(4) વિહગ અને (5) સસ્તન : પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓમાં પુનર્જનનશક્તિ માત્ર અધિસ્તરીય કોષો અને તેની વ્યુત્પત્તિઓ પૂરતી મર્યાદિત હોય છે. પીંછાં, વાળ, નખ જેવા ભાગો પુનર્જનનશક્તિને કારણે પુન:પુન: પેદા થાય છે. નર હરણમાં પ્રજનનકાળમાં શિંગડાં વૃદ્ધિ પામે છે અને અન્ય સમયમાં ખરી પડે છે કે કાયમી રહે છે. તેની પાછળ પણ દેહધાર્મિક ક્રિયા આધારિત પુનર્જનનશક્તિ કામ કરે છે. સંજીવનશક્તિ ઉચ્ચ કક્ષાનાં પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ક્રમે ક્રમે ક્ષીણ થતી જાય છે. મોટેભાગે અધિસ્તરીય કોષોમાં સંજીવનશક્તિ જળવાઈ રહે છે. શરીર ઉપરના ઘા કે ચામડી ફાટી ગઈ હોય તો તેની તિરાડો આપોઆપ રુઝાઈ જાય છે. ચેતાપેશી અને સ્નાયુપેશી પુનર્જનન ભાગ્યે જ પામે છે. વિવિધ પ્રાણીઓમાં વિવિધ પેશી કે અંગોમાં પુનર્જનનનો ઊંડાણમાં અભ્યાસ થઈ રહ્યો છે. બ્લાસ્ટેમાનું આસ્થાપન (establishment) અને તેની વિવિધતા વગેરે સ્થાનિક પરિબળો અને પ્રાણીના પ્રકાર ઉપર અવલંબે છે. ઉપાંગ ઉપર શસ્ત્રક્રિયા કયા સ્તરે કરવામાં આવી છે (level of amputation), તે મુજબ બ્લાસ્ટેમાની ક્ષમતા નક્કી થાય છે અને પુનર્જનન-પ્રક્રિયા કાર્યશીલ બને છે. વાઢકાપ કરેલી પેશીઓનું સ્થાન અને બ્લાસ્ટેમાના કોષો વચ્ચે આંતરપ્રક્રિયા થઈ ખૂટતા અંગ કે પેશીનું પુનર્જનન થાય છે.

શારીરિક પરિબળોમાં, વાઢકાપ કરેલા ભાગ(અંગ કે ઉપાંગ)માંથી ચેતાઓ દૂર કરવામાં આવે તો બ્લાસ્ટેમાની સ્થાપના થઈ શકતી નથી અને પરિણામે પુનર્જનનની પ્રક્રિયા સ્થગિત થઈ જાય છે. ચેતાતંતુઓની બ્લાસ્ટેમા ઉપર શું અસર થાય છે તેનો અભ્યાસ થઈ રહ્યો છે; પરંતુ તેમાંથી નિષ્કર્ષ પ્રાપ્ત થયો નથી. હાલમાં એટલું જાણી શકાયું છે કે પૂરતા પ્રમાણમાં ચેતાકોષો બ્લાસ્ટેમામાં પ્રવેશ પામે તો જ બ્લાસ્ટેમા પુનર્જનન માટે સક્ષમ બને છે.

ઉપાંગોના પુનર્જનનમાં અંત:સ્રાવી ગ્રંથિઓના પ્રભાવનો પણ અભ્યાસ થઈ રહ્યો છે. પિચ્યુટરી એડ્રિનલ અને થાયરૉઇડ ગ્રંથિના અંત:સ્રાવો, પિચ્યુટરી ગ્રંથિનો અંત:સ્રાવ જે એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજે છે તે બ્લાસ્ટેમાના નિર્માણમાં ભાગ ભજવે છે. ચેતાના કોષોનું પુનર્જનન અપૃષ્ઠવંશીઓમાં જેટલું વ્યાપક છે તેટલું પૃષ્ઠવંશીઓમાં નથી. પૃષ્ઠવંશીઓમાં પરિઘ ચેતાતંત્ર અમુક મર્યાદામાં પુનર્જનનની ક્ષમતા ધરાવે છે. તેમાં મધ્યસ્થ ચેતાતંત્ર માત્ર અલ્પ માત્રામાં પુનર્જનન દાખવે છે. પરિઘ ચેતાતંત્રમાં શ્વાનના કોષો કોષકેન્દ્ર ધરાવે છે અને તેથી તે સક્રિય હોય છે. ચેતાતંતુ કપાઈ જાય તો તે પુનર્જનન પામતો નથી; પરંતુ ચેતાતંતુની ફરતે આવેલા ક્રિયાશીલ શ્વાનના કોષો નવા ચેતાકોષ તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે. આમ પ્રાણીઓમાં સંજીવનશક્તિ વિવિધ રીતે ક્રિયાશીલ હોય છે.

વનસ્પતિમાં સંજીવનશક્તિ : પ્રાણીઓની સરખામણીમાં વનસ્પતિમાં સંજીવનશક્તિ કે પુનર્જનનપ્રક્રિયા લગભગ સર્વવ્યાપક છે. વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન એ મૂળભૂત રીતે પુનર્જનનની પ્રક્રિયા છે. વનસ્પતિ-પેશીઓ કેટલાક ગર્ભીય કોષો અને વૃદ્ધિકાળમાં ઉદ્ભવતા એધા(cambium)ના કોષો કલિકાસર્જન માટે જવાબદાર છે.

વનસ્પતિ કે પ્રાણીપેશીઓમાં મૂળભૂત કોષો (એધા, મૃદુતક પેશી, ગર્ભીય કોષો, બ્લાસ્ટેમા વગેરે) અવિભેદનશીલ (undifferentiated condition) અવસ્થામાં હોય છે. આને પરિણામે શરીરમાં જે પ્રકારનાં અવયવ કે ઉપાંગો તૈયાર કરવાની જરૂર પડે ત્યારે સંજીવનશક્તિ દ્વારા ખૂટતું અંગ પુન: પ્રાપ્ત કરી લે છે. આ જ શક્તિ તે સંજીવનશક્તિ.

વિનોદ સોની

રા. ય. ગુપ્તે