શિવકાંચી : દક્ષિણ ભારતનું એક શૈવ તીર્થ. અહીં 108 મંદિરો આવેલાં છે જેમાં મુખ્ય મંદિર એકાગ્રેશ્વરનું છે. સપ્તતીર્થ સરોવર પાસે આ વિશાળ મંદિર ત્રણ ગોપુર દ્વારોની ભીતર આવેલું છે. રેતિયા પથ્થરના મંદિરના ગર્ભગૃહમાં શ્યામવર્ણની લિંગમૂર્તિનાં દર્શન થાય છે. અહીં એકાગ્રેશ્વર પર જળાભિષેક થતો નથી. તેમનો અભિષેક ચમેલીના સુગંધિત તેલથી કરવામાં આવે છે. આ મંદિરની નિકટ દેવીનું મંદિર છે, જેને કામકોટિ કે કામાક્ષી પીઠ કહેવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ આદિ શંકરાચાર્યે કર્યાનું કહેવાય છે. અહીંનાં વામન મંદિર અને સુબ્રહ્મણ્ય મંદિર પણ જોવાલાયક છે.

પ્રવીણચંદ્ર પરીખ