શર્યાતિ : વૈવસ્વત મનુના દસ પુત્રોમાંનો ત્રીજો પુત્ર. એ શૂર હતો અને વેદવેદાંગનો ઊંડો અભ્યાસી હતો. અંગિરાઋષિના સત્રમાં બીજા દિવસનું બધું કામ એણે એકલાએ કર્યું હતું. એને ઉત્તાનબર્હિ, આનર્ત, ભૂરિષેણ, હૈહય ને તાલજંઘ – એમ પાંચ પુત્રો હતા. એને સુકન્યા નામે દીકરી હતી. આ સુકન્યાએ ધ્યાનમગ્ન ચ્યવન ઋષિની આંખોમાં કાંટા ખોસી દીધા. તેથી ક્રોધિત ચ્યવન ઋષિને શાંત કરવા વાસ્તે શર્યાતિએ તેની પુત્રી સુકન્યાને ચ્યવન સાથે પરણાવી તથા અશ્ર્વિનીકુમારો દ્વારા ઋષિને યૌવન અપાવ્યું. યૌવન પ્રદાન કરતી આ ઔષધિ પછી ‘ચ્યવનપ્રાશ’ નામથી પ્રસિદ્ધ થઈ.

શર્યાતિ અશ્ર્વિનીકુમારોનો કૃપાપાત્ર અને ઇન્દ્રનો મિત્ર હતો. તે એક પ્રસિદ્ધ યજ્ઞકર્તા રાજા હતો. તેને ઘેર ઇન્દ્ર સોમપાન કરવા વખતોવખત જતા હતા.

જયકુમાર ર. શુક્લ